દિવસમાં 3થી વધુ સેલ્ફી લો છો? તો ખાસ વાંચો આ અહેવાલ, નહીં તો ભરપેટ પસ્તાશો
શું તમે પણ સેલ્ફી લેવાના શોખીન છો? જો હા.. તો આ અહેવાલ ખાસ તમારા માટે છે.
નવી દિલ્હી: શું તમે પણ સેલ્ફી લેવાના શોખીન છો? જો હા.. તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. તમને કદાચ આઘાત પણ લાગે અને સેલ્ફી લેવાનું તમે છોડી પણ દો. આખા દિવસમાં કોઈ વ્યક્તિ ત્રણથી વધુ સેલ્ફી લે છતાં ધરાય નહીં તો જાણી લેવું કે આ એક બીમારી છે અથવા તો ઈન્ફેક્શનનો શિકાર છે.
હકીકતમાં લંડનની નોર્ટિંઘમ ટ્રેન્ટ યુનિવર્સિટી અને તામિલનાડુની ત્યાગરાજાર સ્કૂલ ઓફ મેનેજમેન્ટે આ દાવો પોતાના રિસર્ચમાં કર્યો છે. આ રિસર્ચ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ એડિક્શનમાં પ્રકાશિત થયું છે.
સેલ્ફાઈટિસ થયો હોઈ શકે
સંશોધનકર્તાઓએ રિસર્ચમાં સેલ્ફી સંબંધિત આ ડિસઓર્ડરને સેલ્ફાઈટિસ નામ આપ્યું છે. રિસર્ચ કરનારા નોર્ટિંઘમ યુનિવર્સિટીના માર્ક ગ્રિફિથના જણાવ્યાં મુજબ બીમારીના જાણકારી મેળવવા માટે તેમણે દુનિયાનો પહેલો 'સેલ્ફાઈટિસ બિહેવિયર સ્કેલ' પણ તૈયાર કર્યો છે. આ એક અનોખા બિહેવિયર સ્કેલને 200 લોકોના ફોકસ ગ્રુપ અને 400 લોકો પર કરાયેલા સર્વે બાદ તૈયાર કરાયો છે. તે મુજબ, વધુ સેલ્ફી લેનારાઓની આદતો મોટાભાગે નશાબાજી જેવી લાગતી હોય છે.
ભારતમાં કેમ કરાયો રિસર્ચ?
કારણ 1- ભારતમાં ફેસબુકના સૌથી વધુ યુઝર્સ છે
કારણ 2- સેલ્ફીના કારણે થતા મૃત્યુમાંથી 60 ટકા મૃત્યુ ભારતમાં થાય છે.
કારણ 3- માર્ચ 2014થી સપ્ટેમ્બર 2016 વચ્ચે દુનિયાભરમાં 127 મોત સેલ્ફી લેવા દરમિયાન થયા. જેમાંથી 76 મોત ફક્ત ભારતમાં થયાં.
સેલ્ફાઈટિસને આવી રીતે ઓળખો
અધ્યયન મુજબ સેલ્ફાઈટિસ બીમારીના ત્રણ સ્તર હોય છે.
પહેલો- દિવસમાં 3 કે તેથી વધુ સેલ્ફી લેવાની આદત હોવી પરંતુ તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરવી.
બીજો- સેલ્ફી સોશિયલ મીડિયામાં શેર કરવાનું શરૂ કરી દેવું.
ત્રીજો- દરેક સમયે પોતાની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની કોશિશ કરવી. આવા પ્રકારના લોકો ઓછામાં ઓછા 6 ફોટા પોસ્ટ કરતા હોય છે.
સેલ્ફીના કેમ થઈ જાય છે એડિક્ટેડ?
સંશોધનકર્તાઓએ જણાવ્યું કે સેલ્ફાઈટિસથી ગ્રસ્ત લોકો મોટાભાગે પોતાનો આત્મવિશ્વાસ,મૂડ ઠીક કરવા, યાદોનો સંગ્રહ કરવા, પોતાની સ્વીકૃતિ અપાવવા અને બીજાથી આગળ રહેવા માટે વારંવાર સેલ્ફી લે છે.
(કાર્નેજી મેલન યુનિવર્સિટી અને ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન દિલ્હીનો સર્વે રિપોર્ટ)