નવી દિલ્લીઃ નવરાત્રિના પૂજનની શરૂઆત કળશ સ્થાપનથી કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધર્મગ્રંથો પ્રમાણે આ તમામ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. વિધિપૂર્વક સાથે પૂજા-અર્ચના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા દિવસે થાય છે માતા શૈલપુત્રીની પૂજા-
દેવી ભાગવત મુજબ હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રીએ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે.  તેઓ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતર્યા હોવાની માન્યતા છે. તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ છે. તેમણે મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે અને તેમનું વાહન ગાય છે.


શરદની નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કેન્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. પ્રથમ નોરતે શૈલપુત્રીનું પૂજન અર્ચન કરવાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે. હિમાલયની પુત્રી હોવાને લીધે આ દેવી પ્રકૃતિનું સ્વરૂપ પણ છે. મહિલાઓ માટે તેમની પૂજા કરવી જ શ્રેષ્ઠ અને મંગળકારી છે.


માતા શૈલપુત્રીની આરાધના માટે ભક્તોએ નીચે પ્રમાણેના મંત્રનો જાપ કરવો જોઈએ જેથી તેઓ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે


મંત્ર-
वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।
वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।
विशोका दुष्टदमनी शमनी दुरितापदाम्।
उमा गौरी सती चण्डी कालिका सा च पार्वती.


અર્થાત્-
માં ભગવતી તમે સમસ્ત મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. હૈ માં શૈલપુત્રી તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા છો અને ભક્તોની રક્ષા કરનારા છો.
આ મંત્ર જાપ સાચા ઉચ્ચારણથી કરવો જોઈએ અથવા તો બ્રાહ્મણને નિમંત્રણ આપી દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની મહાપૂજા કરી ચંડીપાઠ કરાવવો અને ભક્તોએ મંત્ર ન કરી શકે તો નવાર્ણ મંત્રની નવ માળા કરવી. આ સિવાય ‘ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:।’ બીજમંત્રનો જાપ કરવાથી પણ ધારેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે.