22 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે લગભગ 6 વાગે પોલીસને કર્ણાટકના કારવાર વિસ્તારમાં એક ઘર પર હુમલા અંગે સૂચના મળે છે. હુમલો તલવાર અને ચાકૂ જેવા ધારદાર હથિયારોથી કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિનાયક નાઈક નામના બિઝનેસમેનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જ્યારે પત્ની વૈશાલીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. વિનાયક મહારાષ્ટ્રના પુણેમાં વીજળીના ઉપકરણોનો બિઝનેસ કરતો હતો અને પરિવારના કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કર્ણાટકમાં પોતાના પૈતૃક ગામ આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનાયક અને તેની પત્ની વૈશાલી 3 સપ્ટેમ્બરે કર્ણાટકના કારવાર આવ્યા હતા અને 22 સપ્ટેમ્બરના રોજ પુણે પાછા ફરવાના હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. ઘરમાંથી કોઈ સામાન ગાયબ નહતો. હત્યા નિર્દયતાથી કરાઈ હતી. આવામાં શરૂઆતમાં એવું માનવામાં આવ્યું કે કદાચ આ હત્યા પાછળ વેપારી દુશ્મની કે પછી અંડરવર્લ્ડના લોકોનો હાથ છે. 


એક્સ્ટ્રા મેરિટલ અફેર
જો કે પોલીસે જ્યારે કેસ ફંફોળવાનું શરૂ કર્યું અને મૂળ સુધી પહોંચી તો કહાની કઈક અલગ જ નીકળી. આ મામલો એકસ્ટ્રા મેરિટલ અફેર અને તેનાથી પેદા થયેલી દુશ્મનીનો હતો. વિનાયકની હત્યા માટે પૂરા પ્લાનિંગ સાથે એક જૂની કાર ખરીદવામાં આવી હતી. સોપારી આપીને કોન્ટ્રાક્ટ કિલર બોલાવવામાં આવ્યા હતા અને હત્યા માટે પહેલેથી જ એક દિવસ પસંદ કરાયો હતો. 


હત્યાની આ ઘટના પાછળ ગુરુપ્રસાદ રાણેનો હાથ હતો. ગોવામાં દારૂનો વેપાર કરતા ગુરુપ્રસાદ રાણે અને વિનાયક નાઈક દૂરના સંબંધી હતા. બંને વચ્ચે એક સમયે ખુબ સારા સંબંધ હતા. રાણે અને નાઈક એક જ મહોલ્લામાં સાથે ઉછર્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ આ દરમિયાન રાણેના નાઈકની પત્ની સાથે અને નાઈકના રાણીની પત્ની સાથે અનૈતિક સંબંધો બંધાયા. 


કાર ખરીદી, કોન્ટ્રાક્ટ કિલર હાયર કર્યો
આ લગ્નેત્તર સંબંધોની જાણ જ્યારે બંને પરિવારોને થઈ તો તેમની વચ્ચે દુશ્મની પેદા થઈ. રાણે અને નાઈકના પરિવારો વચ્ચે અવારનવાર આ મુદ્દે ઝઘડા પણ થવા લાગ્યા. લગભગ 6 મહિના પહેલા બંને પરિવાર વચ્ચે ઝઘડા થયા અને એટલો વધી ગયો કે રાણેએ નાઈકની હત્યા કરાવવાનો નિર્ણય લઈ લીધો. આ કામ માટે તેણે એક જૂની સ્વિફ્ટ કાર ખરીદી અને કેટલાક કોન્ટ્રાક્ટ કિલરને કામે લગાડ્યા. 


જો કે રાણેએ કોન્ટ્રાક્ટ કિલરોને રોકીને રાખ્યા હતા કે જ્યાં સુધી તે ઈશારો ન કરે ત્યાં સુધી કશું કરવાનું નથી. આ દરમિયાન 3 સપ્ટેમ્બરે નાઈક તેની પત્ની સાથે માતાની વરસીઅને ગામના એક મેળામાં ભાગ લેવા માટે કર્ણાટકના પોતાના પૈતૃક ગામ કારવારમાં આવ્યો. પૂજા અને મેળામાં ભાગ લઈને પતિ પત્ની 22 સપ્ટેમ્બરે પુણે પાછા ફરવાના હતા. 


જો કે આ દરમિયાન 19 સપ્ટેમ્બરના રોજ રાણેની પત્ની ગામ પહોંચી અને નાઈકના પરિવાર સાથે ઝઘડો કર્યો. નાઈકે તરત જ રાણેને ફોન કર્યો અને ગાળો આપતા કહ્યું કે તેની પત્નીને પાછી બોલાવે. આ સાથે જ નાઈકે રાણેને તેના પરિવારથી દૂર રહેવાની વાત પણ કરી. હવે રાણેને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના કોન્ટ્રાક્ટ  કિલરોને નાઈકનું કામ તમામ કરી નાખવાનો ઈશારો આપી દીધો. 


ત્રણ દિવસ બાદ આ કોન્ટ્રાક્ટ કિલર 22 સપ્ટેમ્બરના રોજ સવારે નાઈકના ઘરે પહોંચ્યા અને હથિયારોથી પતિ અને પત્ની પર હુમલો કર્યો. હુમલામાં નાઈકનો જીવ ગયો જ્યારે પત્ની વૈશાલી ગંભીર રીતે ઘાયલ થઈ. પોલીસના જણાવ્યાં મુજબ જ્યારે કેસની તપાસ શરૂ કરાઈ તો નાઈકના પરિવારે અનૈતિક સંબંધોની વાત છૂપાવી. જેનાથી કેસ ગૂંચવાઈ ગયો હતો. 


કેવી રીતે હત્યારાઓ સુધી પહોંચી પોલીસ
તપાસ દરમિયાન પોલીસેએ કારને ટ્રેક  કરવાની શરૂ કરી જેનો ઉપયોગ હત્યારાઓ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ કાર તો પ્રવીણ સુધીર નામની વ્યક્તિએ ખરીદી હતી. ત્યારબાદ તેણે આ કાર અશોક રાણેને વેચી દીધી અને તેણે આ કાર ગુરુપ્રસાદ રાણેને વેચી. ત્યારબાદ કડીઓ જોડાઈ અને પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી. તેમની ધરપકડના સમાચાર ફેલાતા ગુરુપ્રસાદ રાણેએ ગોવામાં પોતાની જિંદગીનો અંત આણી દીધો.