Garba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વ

Thu, 03 Oct 2024-2:04 pm,

નવરાત્રી દરમિયાન ગરબા રમવાની સાથે ગુજરાતમાં માટીના ગરબાની સ્થાપના કરવાનું મહત્વ પણ જળવાયેલું છે. નવરાત્રી શરૂ થવાની હોય તેના થોડા દિવસો પહેલા બજારમાં રંગબેરંગી ગરબા મળવા લાગે છે. આ માટીના ગરબા અને માં આદ્યશક્તિ વચ્ચે શું સંબંધ છે ચાલો તમને જણાવીએ. 

ગરબા એટલે કે માટીની નાનકડી માટલી જેમાં આસપાસ છિદ્ર કરવામાં આવેલા હોય છે અને તેની વચ્ચે દીવો પ્રજવલિત કરવામાં આવે છે. ગરબાને ઘરના મંદિર કે પવિત્ર જગ્યાએ નવ દિવસ માટે સ્થાપિત કરવામાં આવે છે જેને ગરબો કોરાવ્યો પણ કહેવાય છે. 

ગરબાની અંદર અનાજ ભરી તેમાં નવ દિવસ સુધી રોજ દીવો પ્રજવલિત કરીને માતાજીના ગરબા ગાવામાં આવે છે. માન્યતા છે કે ગરબાની અંદર જે દીવો પ્રજવલિત થાય છે તે માતાજીનું સ્વરૂપ હોય છે. આ ગરબા કાચી માટીમાંથી તૈયાર કરવામાં આવે છે. 

માન્યતા એવી પણ છે કે ગરબો બ્રહ્માંડનું પ્રતીક છે. જેમ બ્રહ્માંડના કેન્દ્રમાં ઉર્જાનો સ્ત્રોત છે તેવી રીતે ગરબામાં પ્રજવલિત કરવામાં આવતો દીવો જગતજનની માં આદ્યશક્તિ છે એટલે કે બ્રહ્માંડનું સંચાલન કરનાર ઊર્જા છે. નવ દિવસ દરમિયાન આ શક્તિની પૂજા કરવામાં આવે છે. ગરબા માં આસપાસ રહેલા છિદ્રના માધ્યમથીમાં પ્રકાશ ચારે દિશામાં ફેલાય છે. 

નવરાત્રિના પહેલા દિવસે જે ઘટસ્થાપન થાય છે તેમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે જેને ઘટ અથવા તો ગર્ભ પણ કહેવાય છે. તેની આસપાસ 9 કે વધુમાં વધુ 27 જેટલા છિદ્ર હોય છે. ગરબાને શણગારી અને તેમાં માં અંબાની જ્યોત પ્રજવલિત કરવામાં આવે છે. આ જ્યોત પ્રજ્વલિત કરીને મહિલાઓ રાસ રમે છે અને પારંપરિત ગરબા ગાવામાં આવે છે. આ રીતે માં ની આરાધના કરવાથી મનોકામના પૂર્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link