ઝી બ્યૂરો, અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં આવેલા ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરનું કામ પૂર્ણ થયું છે.. આગામી 11 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી મહાકાલ કોરિડોરનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટ બાદ મોટી સંખ્યામાં ભગવાન શિવના ભક્તો અહીં દર્શન માટે પહોંચશે જેનાથી પર્યટનને વધુ વેગ મળશે. અંદાજીત 750 કરોડના ખર્ચે ભવ્યથી અતિભવ્ય મહાકાલ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહાકાલ મંદિરની નજીક રુદ્રસાગર પાસે કોરિડોર બનાવવામાં આવ્યો છે.. જેમાં પત્થરો પર બારિક નક્શી કામ કરાયું છે સાથે આકર્ષણ લાઇટિંગથી કોરિડોરની ભવ્યતામાં ચાર ગણો વધારો જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાકાલ કોરિડોરમાં 180 સ્તંભ બનાવવામાં આવ્યા છે. જેના પર દેવી દેવતાઓના ચિત્રો જોવા મળશે. આ ઉપરાંત મહાકાલેશ્વર કોરિડોરમાં નિર્મિત નવગ્રહની મૂર્તિ અને ભગવાન શિવની સંબંધિત કથાઓ પર ચિત્રો કંડારવામાં આવ્યા છે. સાથે જ નીચે સરળ ભાષામાં તેનું વિવરણ પણ કરાયું છે. સમગ્ર કોરિડોરમાં ભગવાન શિવની પ્રતિમાઓ રાખવામાં આવી છે. જેમાં મહાદેવના 190 સ્વરૂપ રહેલા છે. રાત્રિના સમયે લાઇટિંગ શરૂ થયા બાદ ભવ્યથી અતિભવ્ય અદ્દભૂત નજારો જોવા મળશે. કોરિડોરની વચ્ચોવચ ભગવાન શિવની વિશાળ પ્રતિમા રાખવામાં આવી છે.


મહાકાલ કોરિડોરની આસપાસનો વિસ્તાર પણ વિકસીત કરવામાં આવી રહ્યો છે. સમગ્ર પરિસર 20 હેકટરમાં ફેલાયેલું છે. સાથે જ કોરિડોરમાં દેશનું પહેલું નાઇટ ગાર્ડન બનાવાયું છે. સાથે જ પૌરાણિક સરોવર રુદ્રસાગરનો પણ વિકાસ કરાયો છે. આ કોરિડોર કાશી વિશ્વનાથ કોરિડોરથી 4 ગણો વિશાળ છે. ત્યારે મહાકાલ કોરિડોરના લોકાર્પણના દિવસે મહાકાલની ઉજ્જૈન નગરીમાં દિવાળી જેવો તહેવાર ઉજવાશે.


વર્ષ 2019માં તત્કાલીન કમલનાથની સરકારે મહાકાલ મંદિરના વિસ્તૃતિકરણ માટે મંજૂરી આપી હતી. તે સમયે 300 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું હતું. બાદમાં વર્ષ 2020માં કમલનાથની સરકાર પડ્યા બાદ હાલના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોરિડોરના બજેટમાં વધારો કરી 750 કરોડ રૂપિયા સુધી લઇ જવાયું. આ પ્રોજેક્ટને ભવ્ય રૂપ આપવામાં આવ્યું છે. જે લોકોને આકર્ષિત કરશે. પ્રધાનમંત્રી મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈન આવશે. જેને લઇ મધ્ય પ્રદેશ સરકારે તૈયારીઓ શરૂ કરી છે.