ગુજરાતમાં વન્ય પ્રાણીઓ બન્યા માનવ લોહીના તરસ્યા, અમરેલીમાં સિંહણે રસ્તે જતા યુવક પર હુમલો કર્યો

Animal Attack : અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વન્ય પ્રાણીઓનો શિકારનો મામલો સામે આવ્યો છે. જેમાં ત્રણ બાળકોનો ભોગ લેવામાં આવ્યો છે... આજે પીપાવાવ પોર્ટમાં વહેલી સવારે સિંહણે યુવક પર હુમલો કર્યો

ગુજરાતમાં વન્ય પ્રાણીઓ બન્યા માનવ લોહીના તરસ્યા, અમરેલીમાં સિંહણે રસ્તે જતા યુવક પર હુમલો કર્યો

Amreli News કેતન બગડા/અમરેલી : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વન્ય પ્રાણીઓ હિંસક બની રહ્યાં છે. એક દીપડાનો ત્રાસ વધી રહ્યો છે, તો બીજી તરફ ગીરની સિંહણો હિંસક બની રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં વન્ય પ્રાણીઓના ચાર જેટલા હુમલા થયા છે. જેમાં ત્રણ બાળકોને વન્ય પ્રાણીઓએ ફાડી ખાધા છે. તો આજે પીપાવાવ પોર્ટમાં વહેલી સવારે પરપ્રાંતી યુવાન ઉપર સિંહણએ હુમલો કર્યો છે. 

આજે સિંહણે યુવક પર હુમલો કર્યો
આજે પીપાવાવ પોર્ટમાં વહેલી સવારે પરપ્રાંતી યુવાન ઉપર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણ સિંહબાળ પરિવાર સાથે સામે આવતા પરપ્રાંતીય યુવાન મંગળ હેગડા ડરના કારણે દોડ્યો હતો, જેથી સિંહણ પણ તેની પાછળ દોડી હતી. યુવકે સિંહણના હુમલાથી બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું સિંહણે યુવાનને પાછળથી પકડી લીધો હતો. પાછળથી આવી રહેલી એક બસના ચાલકે યુવકને બચાવ્યો હતો. બસ ચાલક આવતા સિંહણે યુવાનને છોડી દીધો હતો, પરંતું સિંહણના હુમલામાં યુવાનને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને ગંભીર ઇજાઓ થતા મહુવા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં અત્યાર સુધીમાં પહેલી ઘટના બનતા વનવિભાગમાં દોડધામ મચી છે. સિંહણના હુમલાની ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરાઈ છે. 

અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વન્ય પ્રાણીઓનો શિકારનો મામલો સામે આવ્યો છે. જેમાં ત્રણ બાળકોનો ભોગ લેવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ લીલીયા રેન્જમાં આવેલ ખારા ગામે એક સિંહણે પાંચ માસના માસુમ બાળકનો શિકાર કર્યો હતો. તે જ દિવસે મોડી રાત્રે એક દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામે ત્રણ વર્ષના બાળકનો ભોગ લીધો હતો. ત્યારે રાજુલા તાલુકાના કાતર ગામે એક રહેણાંક મકાનમાં ગત રાત્રે એક દિપડો ઘરમાં ઘૂસીને બે વર્ષના માનવ ગોપાલભાઈ પરમાર નામના બાળકનું ગળું પકડીને બાવળની જાળીમાં લઈ ગયો હતો. પરિવાર જાગી જતા હિંમત રાખીને દીપડાને અવાજ કરતા અને પરિવાર દીપડા પાછળ દોટ મુકતા દીપડો બાળક છોડીને ભાગી ગયો હતો. બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે મોડી રાત્રે બાળકની હાલત વધુ બગડતા બાળકને એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે મહુવાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકને સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થઈ ગયું હતું. આમ કાતર ગામના દીપડાના હુમલાથી માલધારી પરિવારમાં શોકનો મહાલ છવાઈ ગયો હતો. 

તો બીજી તરફ, લીલીયાના ખારા ગામમાં 5 મહિનાના બાળકને મોતને ઘાટ ઉતારનાર સિંહણને પણ પાંજરે પુરાઈ હતી. પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના DCFની ટીમને મહત્વ પૂર્ણ સફળતા મળી હતી. ઘટના સ્થળથી 1 કિલોમીટર દૂરથી સિંહણને રાઉન્ડપ કરી પાંજરે પુરી હતી. વનવિભાગ દ્વારા ટાઇનકુલાઈજર કરી સિંહણને પાંજરે પુરી હતી. 

આ સમગ્ર ઘટનાની વન વિભાગ દ્વારા નોંધ લેવાઈ રહી છે. અમરેલી જિલ્લામા છેલ્લા 5 દિવસની અંદર 3 માસુમ બાળકોનો વન્ય પ્રાણીઓના હુમલામાં મોત થયા છે. હવે લાગી રહ્યુ છે કે, વન્ય પ્રાણીઓ વધુ હિંસક બની રહ્યાં છે. વન્ય પ્રાણીઓ હવે લોહી તરસ્યા બની રહ્યાં છે. સિંહ-સિંહણ ક્યારેય માનવીઓ પર હુમલો કરતા ન હતા. અત્યાર સુધી ગીરના જંગલમાં માણસો અને સાવજ શાંતિથી રહેતા હતા. પરંતુ હવે ગીરના સિંહો પણ હિંસક બની રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news