RPN સિંહ, જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, વિખેરાઈ ગઈ રાહુલ ગાંધીની કોર ટીમ

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા આરપીએન સિંહે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આ ટીમ રાહુલ ગાંધી માટે મોટો ઝટકો છે. કેમ કે રાહુલ ગાંધીની કોર ટીમના પાંચમાંથી ત્રણ દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી ચૂક્યા છે.

RPN સિંહ, જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, વિખેરાઈ ગઈ રાહુલ ગાંધીની કોર ટીમ

નવી દિલ્લી: દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ માટે કમઠાણની સ્થિતિ છે. કેમ કે નેતૃત્વના અભાવે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નેતાઓનું પલાયન અટકવાનું નામ લઈ રહ્યું નથી. નાના-નાના નેતાઓ પાર્ટી બદલતા હતા ત્યાં સુધી કોઈ વાંધો ન હતો. પરંતુ હવે તો મોટા-મોટા નામ પણ તેમાં જોડાઈ રહ્યા છે. જેમાં નવું નામ છે પડરૌનાના રાજા સાહેબ આરપીએન સિંહનું છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. આરપીએન સિંહ યૂપી ચૂંટણી માટે કોંગ્રેસના 30 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ હતા. નેતાઓની પક્ષ બદલવાની હરિફાઈએ રાહુલ ગાંધીની ચિંતામાં વધારો કરી દીધો છે. પાર્ટીની અંતર બધા તેમની પાસેથી આશા રાખીને બેઠા છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાહુલની ટીમના અનેક મોટા ચહેરા એક-એક કરીને સાથ છોડી રહ્યા છે. આરપીએન સિંહ આ નેતાઓની યાદીમાં નવું નામ છે.

વિખેરાઈ ગઈ રાહુલ ગાંધીની કોર ટીમ:
રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે તેમણે યુવા નેતાઓની એક ટીમ તૈયાર કરી હતી. આરપીએન સિંહ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અત્યંત નજીકના નેતા માનવામાં આવતા હતા. ટીમ રાહુલના સભ્ય રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદ પહેલાં જ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આરપીએન સિંહના ભાજપ પ્રવેશમાં સિંધિયાની મહત્વની ભૂમિકા છે.

રાહુલ ગાંધી પાસે હતા પાંચ મહત્વના ખેલાડી:
એક તસવીર વાયરલ થઈ  છે. જેમાં ટીમ રાહુલ ગાંધીના પાંચ મહત્વના સભ્ય જોવા મળી રહ્યા છે. તેમાંથી ત્રણ હવે બીજેપીમાં છે. માત્ર મિલિંદ દેવરા અને સચિન પાઈલટ જ કોંગ્રેસમાં રહ્યા છે. તે પણ અનેકવાર બળવાખોર વલણ અપનાવતા રહ્યા છે. પાર્ટીની અંદર રાહુલ ગાંધીને ફરીથી કમાન સોંપવાની કવાયત ચાલી રહી છે. જો આવું થશે તો તેમણે નવેસરથી એક ટીમ તૈયાર કરવી પડશે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોંગ્રેસ છોડનારા મુખ્ય નેતા:

1. અમરિંદર સિંહ

2. જિતિન પ્રસાદ

3. લુઈજિન્હો ફલેરો

4. સુષ્મિતા દેવ

5. નારાયણ રાણે

6. જ્યોતિરાદિત્ય સિંધિયા

7. હિમંતા બિશ્વ શરમા

8. પીસી ચાકો

9. એન બીરેન સિંહ

10. પેમા ખાંડુ

11. રવિ નાઈક

12. રીતા બહુગુણા જોશી

13. ટોમ વડક્કન

14. જયંતી નટરાજન

15. ખુશ્બુ સુંદર

ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં કોંગ્રેસને આ નેતાઓએ આપ્યો ઝટકો:

1.આરપીએન સિંહ

2. અદિતિ સિંહ

3. ઈમરાન મસૂદ

4. લલિતેશ ત્રિપાઠી

5. હરેન્દ્ર મલિક-પંકજ મલિક

6. યૂસુફ અલી

7. હમજા મિયાં

8. હૈદર અલી ખાન

9. સુપ્રિયા એરોન

સાત વર્ષમાં ખોખલી થઈ ગઈ કોંગ્રેસ:
જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કેપ્ટન અમરિંદર સિંહ, હિમંતા બિશ્વ સરમા... આ કેટલાંક મોટા નામ છે. જેમણે કોંગ્રેસ સામેથી મોં ફેરવી લીધું. 2021માં આવેલો રિપોર્ટ દર્શાવે છે કે 2014 પછી કોંગ્રેસે સૌથી વધારે નેતા ગુમાવ્યા છે. સૌથી વધારે ફાયદામાં બીજેપી જ રહી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે એડીઆરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 2014થી 2021ની વચ્ચે કોંગ્રેસના 222 ચૂંટણી ઉમેદવારોએ પક્ષ બદલી લીધો. આ દરમિયાન 177 સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી. એટલે સાત વર્ષમાં કોંગ્રેસના 399 નેતા પાર્ટીમાંથી જતા રહ્યા. 2014-21ની વચ્ચે 173 સાંસદો અને ધારાસભ્યોએ ભાજપની સભ્યતા લીધી. કુલ 253 ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news