ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના સાણંદમાં આવેલો ફોર્ડ કારનો ઉત્પાદન એકમ બંધ થઈ ગયો છે. ફોર્ડ ઇન્ડિયાએ તેના સાણંદ એકમમાં મોટરકારનું ઉત્પાદન આજથી જ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે ન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિકાસ માટેના વાહનોનું ઉત્પાદન 2021ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં સાવ જ બંધ કરી દેવામાં આવશે. પરિણામે ફોર્ડ ઇન્ડિયા (Ford Motor) ના સાણંદ એકમના 2200 થી 2500 જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. સાથે જ ગુજરાતના માર્કેટ પર મોટી અસર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ હાલોલમાંથી જનરલ મોટર્સે (general motors) તેનું એકમ સંકેલી લીધું હતું. તો હાર્લિ ડેવિડસને તેની ડીલરશીપ પણ પાછી ખેંચી લીધી હતી. અગાઉ સાણંદમાં ટાટા નેનો (tata nano) નું ઉત્પાદન બંધ થયું હતું. ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ ખાતેનો પ્લાન્ટ વૈશ્વિક સ્ટાન્ડર્ડને પહોંચી વળે તેવો બનાવવામાં આવ્યો હતો. તેથી મોટી મૂડીનું રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ ડિમાન્ડ ન વધતા મોટરદીઠ પડતર ઘણી જ ઊંચી આવતી હતી. તેથી બજારમાં સ્પર્ધા કરવી પણ તેમને માટે મુશ્કેલ બની ગઈ હતી. અમદાવાદ (Ahmedabad) નજીક સાણંદમાં આવેલા પ્લાન્ટ ઉપરાંત ચેન્નઈના મારિમાલાઈ ખાતેનો કાર ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફોર્ડના આ નિર્ણયની અસર ડીલરો પર પણ પડશે. 


આ પણ વાંચો : તમારી આસપાસ ભટકતા ATM ચોરોથી સાવધાન, સુરતમાં પકડાઈ આખી ગેંગ 


એક તરફ વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) અને મેક ઈન ઈન્ડિયા (Make in India) ના પ્રચાર પ્રસાર વચ્ચે ગુજરાતને મોટો ફટકો પડે તેવા આ સમાચાર છે. ફોર્ડનો પ્લાન્ટ બંધ કરવાના નિર્ણયથી ગુજરાતનું ઓટો મોબાઈલનું હબ બનવાનું સપનુ રગદોળાઈ શકે છે. 


ગત મહિના સુધી પ્લાન્ટમાં અંદાજે 1500 થી 1600 ગાડીઓનું ઉત્પાદન કરવામાં આવતુ હતું. પ્લાન્ટ માંડ 20 ટકાની ક્ષમતાએ કાર્યરત હતો. જેથી પ્લાન્ટનો નિભાવ ખર્ચ પણ નીકળતો ન હતો. આ ઉપરાંત છેલ્લા દસ વર્ષમાં ગુજરાત અને ભારતમાં મળીને ફોર્ડ ઇન્ડિયાએ 200 કરોડ ડૉલરની ખોટ કરી છે. કંપનીએ પ્લાન્ટની પાછળ માતબર રકમનું ઈન્વેસ્ટમેન્ટ કર્યુ હતું, જે ફેલ ગયુ છે. જેથી કંપનીએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


આ પણ વાંચો : તમારી પાસે ક્યાંક નકલી આરસી બૂક તો નથી ને? એક ભેજાબાજે આખા રાજ્યમાં વેચી ફેક આરસી બૂક


કંપનીએ પ્લાન્ટને ટકાવી રાખવા શક્યત તમામ પ્રયાસો કર્યા હતા. કંપનીએ મહિન્દ્રા કંપની સાથે પણ ટાઈ-અપ કર્યુ હતું. પરંતુ આ ટાઈ-અપ માંડ 14 મહિના પણ ટક્યુ ન હતું. જેથી કંપનીને સર્વાઈવ કરવુ મુશ્કેલ બન્યુ હતું. ગુજરાત ઉપરાંત કંપનીએ ચેન્નાઈનો પ્લાન્ટ પણ બંધ કર્યો છે. ગુજરાતનો પ્લાન્ટ બંધ થવાથી 22 જેટલા ડીલર્સ તેમનો ધંધો ગુમાવશે. ડીલર્સના માધ્યમથી અન્ય 2000 થઈ લોકોની રોજીરોટી પર પણ અસર પડી શકે છે. જોકે, પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓના વળતર અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. જેનો સુખદ અંત લાવવામાં આવશે તેવો પ્રયાસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે.