તેજસ દવે/મહેસાણા :એશિયાનું સૌથી મોટું સ્પાઈસ સિટી (Spice city of India)  ઊંઝા (Unjha) બજારમાં કેન્દ્ર સરકારની યોજના MEIS સ્કીમને લઈને આજે સમગ્ર ગુજરાતના એક્સપોર્ટર્સની ઉંઘ હરામ થઈ ગઈ છે. કારણ કે કરોડો રૂપિયાના મસાલા વિદેશમાં ગયા બાદ સરકાર દ્વારા આપવામાં આવતી રાહતની 2500 કરોડ જેટલી રકમ આખા ગુજરાતની સરકારમાં જમા થવાથી એક્સપોર્ટર્સની હાલત કફોડી બની છે. જે પગલે આગામી 1 ડિસેબરથી એક્સપોટર્સે વેપાર બંધ કરવાની ચીમકી આપી છે. જેમાંથી 200 કરોડ રૂપિયા માત્ર ઊંઝાના એક્સપોર્ટરના હોવાનું બહાર આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BRTS અકસ્માતમાં હાથ આવ્યા મહત્વના CCTV, બંને ભાઈઓ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યાં હતા...


ભારત સરકારની MEIS સ્કીમ અંતર્ગત મસાલા પાકોને એક્સપોર્ટ કરવાની તક આપવામાં આવે છે. જેમાં ભારત સરકાર દ્વારા 2015થી આ સ્કીમ લાગુ કરવામાં આવી છે. જે સ્કીમ અંતર્ગત સમગ્ર ભારતમાંથી ઉત્પાદન થતા પાકોને એક્સપોર્ટર દ્વારા પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન બાદ વિશ્વમાં વેપાર કરવાની તક મળે છે. આગામી 2020 સુધી આ પોર્ટલ વેબસાઈટ ચાલુ રહેશે તેવો અંદાજ હતો. જેથી ગુજરાતના તમામ એક્સપોટર્સે સમગ્ર વિશ્વમાં કરોડો રૂપિયાનો વેપાર રજિસ્ટર કરાવીને વેચાણ કર્યો હતો. જેમાં ભારત સરકાર દ્વારા આ સ્કીમ અંતર્ગત એક્સપોર્ટર્સને આકર્ષિત કરવા માટે ખાસ ઈન્સેન્ટીવ પણ આપવામાં આવે છે. જેમાં જીરું પર 7 ટકા, વરિયાળી પર 5 ટકા, તલમાં 5 ટકા, ઈસબગુલ 5 ટકા,
ધાણા 5 ટકા, સુવા 7 ટકા, મેથી 7 ટકા વેપારીઓને તેમના ખાતામાં જમા મળતા હોય છે. દર 15 થી 30 દિવસમાં આ રકમ વેપારીઓને મળતી હતી. પરંતુ 1 ઓગસ્ટ, 2019થી ઈન્સેન્ટીવ જે પોર્ટલ એટલે કે વેબસાઈટ પરથી મળતું હતું તે હવે બંધ થયું છે. જેનું કારણ હાલ માં ટેક્નિકલ ખામી હોવાનું સરકારી અધિકારીઓ જણાવી રહ્યાં છે. જેથી માત્ર ઊંઝાનું 200 કરોડ અને ગુજરાતનું 2500 કરોડની રકમ ભારત સરકાર દ્વારા વેપારીઓને ન મળતા હાલમાં એક્સપોર્ટરની હાલત ભારે કફોડી બની છે તેવું એસોસિયેશનના ચેરમેન મિતેશ પટેલે જણાવ્યું. 


Paytmએ ગ્રાહકોને આપી ખાસ વોર્નિંગ, સંભાળીને રહેજો નહિ તો...


એક્સપોર્ટર કૃણાલ શાહ કહે છે કે, ઊંઝા બજારમાં કરોડો રૂપિયાનું જીરું, તલ સહિત અજમા અને બીજા અન્ય મસાલા પેદાશોને વેપારીઓ પાસેથી આ તમામ એક્સપોર્ટર માલ ખરીદતા હોય છે. જે માલ વિદેશી બજારોમાં જે માંગ હોય તે પ્રમાણે ઊંઝા સહિત ગુજરાતના તમામ એક્સપોટર્સે સરકારની ગાઈડલાઈન અંતર્ગત કરોડો રૂપિયાનો વેપાર સમગ્ર વિશ્વમાં રજિસ્ટ્રેશન કરાવીને જ થયો છે. ઊંઝાના 125 કરતા વધુ એક્સપોર્ટર્સ છે. જેના પગલે એસોસિયશન દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતના તમામ એક્સપોટર્સ સહિત આગેવાનો અને ભારત સરકારના ખાસ અમલદાર સરકારી અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના 2500 કરોડ રૂપિયાની સરકારની રાહત સહિત
એક્સપોર્ટર્સને આકર્ષિત કરતી સ્કીમની રકમ 4 માસથી ન મળતા એક્સપોર્ટર વેપારીઓએ આજે સામુહિક નિર્ણય કર્યો હતો.


આ નિર્ણય મુજબ, 1 ડિસેમ્બર સુધી સરકાર આ મામલે નિર્ણય નહિ લે તો એક્સપોર્ટર્સ દ્વારા સંપૂર્ણ વેપાર બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ટેકો આપીને સરકારને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને આ સમગ્ર મામલે સરકારી અધિકારીઓએ આ સમગ્ર મામલે ઝડપી નિર્ણય આવશે તેવું ગુજરાત ચેમ્બર ઓર કોમર્સના સેક્રેટરી દિલીપ ઉપાધ્યાયે જણાવ્યું હતું.


નિત્યાનંદ આશ્રમ કેસ : DPS સ્કૂલ વિવાદ મામલે આખરે CBSE બોર્ડ મેદાને આવ્યું 


ઊંઝા બજારે રસોઈની સોડમ સમગ્ર વિસવમાં ફેલાવી છે, ત્યારે હાલ એક્સપોર્ટર્સની હાલત ભારે કફોડી બની છે. કારણ કે, કેન્દ્ર સરકારની ખાસ આ નીતિના પગલે વેપારીઓએ ઓછા નફે વિશ્વમાં મસાલાનો માલ વેચી નાંખ્યો છે. આટલી મોટી રકમ સરકાર દ્વારા રિફંડ ન આવતા હાલમાં નવા માલની ખરીદી થઈ શકતી નથી. જેથી બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. જેનો સીધો માર ખેડૂતોને પડી રહ્યો છે. જો આજ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં ઊંઝાનું બજાર ફરી એકવાર મંદીમાં આવી જશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube