અમદાવાદઃ રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજ્ય પોલીસવડાએ જણાવ્યું કે, દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી તેમજ ટેક્નિકલ ડેટાના આધારે અત્યાર સુધીમાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 34 (જે પૈકી 27 ઉત્તરપ્રદેશના છે), ભાવનગરના 20 (જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે), મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. તદુપરાંત, તેમણે જણાવ્યું કે, દિલ્હી મરકઝથી આવેલા અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે એ ઇચ્છનીય છે. આમ કરવાથી તેમની અને તેમની આસપાસના અન્ય લોકોની સલામતી પણ જળવાશે, પરંતુ જો કોઈ નાગરિકો આવી જાણ નહીં કરે, તો તેમની સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ શ્રી ઝાએ ઉમેર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરટીઓ અને વનકર્મીઓની લેવાશે મદદ
તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારીને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સૂચના અનુસાર, રાજ્યના 1526 વનકર્મીઓ તેમજ 183 આરટીઓના કર્મચારીઓ પણ પોલીસની સાથે જોડાશે. જે તમામ પોતપોતાના હાલના ફરજના સ્થળે કામગીરી કરશે. આ ઉપરાંત, જરૂર પડ્યે ખાનગી સિક્યૉરિટીના કર્મચારીઓને પણ પોલીસની મદદમાં મૂકવામાં આવશે.


પોરબંદરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 84 થઈ  


બે શિફ્ટમાં કામ કરશે પોલીસ કર્મચારી
રાજ્યના પોલીસકર્મીઓની ફરજસોંપણીની વિગતો આપતાં રાજ્યના પોલીસવડાશ્રી ઝાએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે. તદુપરાંત, ગ્રામ્યસ્તરે એસપી અને ડીવાયએસપી, જ્યારે શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, ડીસીપી તથા એસીપી સહિતના ઉપરી અધિકારીઓ દરેક પોઇન્ટ પર રૂબરૂ જઈ, કામગીરીનું મૂલ્યાંકન કરશે તેમજ ફરજમાં શું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું તેની સમજણ આપશે. પોલીસ કર્મચારીઓ પણ તેમને પડતી મુશ્કેલીઓ વિશે આ અધિકારીઓને જણાવી શકશે.


આ સિવાય કોરોનાના આ કપરાકાળમાં પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા ઝાએ આમ નાગરિકોને પણ વ્હોટ્સએપ, ટ્વિટર કે ફેસબુક જેવાં સોશિયલ માધ્યમો થકી તેમની ફરિયાદો, રજૂઆતો કે સૂચનો રાજ્ય પોલીસ વિભાગને પહોંચાડવા અનુરોધ કર્યો હતો.


રાજ્ય બહારથી માલ લઈને આવતાં ગુડ્સ વાહનો અંગે ઝાએ કહ્યું કે આવાં માલવાહક વાહનોને કોઈ પાસની જરૂર નથી. જોકે, આવાં વાહનચાલકો પરત જતી વખતે અન્ય રાજ્યોના નાગરિકોને વાહનમાં બેસાડીને લઈ ન જાય, એ જોવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સંચાલકોને તાકીદ કરી હતી.


જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો અવરજવર કરી શકે છે, પણ બિનજરૂરી ઘરની બહાર નીકળનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. તદુપરાંત, હાલ રવી પાકની મોસમ ચાલી રહી હોઈ, ખેડૂતોને પાકની લણણી અને માવજત માટે જવા-આવવાની છૂટ રહેશે. જોકે, ગામડાંમાં પણ ગંભીરતાપૂર્વક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરી હતી.


અમદાવાદ : લોકડાઉનમાં ફરજ બજાવતી પોલીસ પર ગોમતીપુરમાં પથ્થરમારો


રાજ્યમાં આજથી સસ્તા અનાજની દુકાનો પર શરૂ કરવામાં આવેલા અનાજ વિતરણની વ્યવસ્થામાં પડેલી મુશ્કેલીઓ દૂર કરાઈ હોવાની તેમજ અનાજ વિતરણને લગતી કોઈ પણ માહિતી શક્ય હોય, ત્યાં સુધી ફોન પર મેળવી લેવા જણાવ્યું હતું.


લોકડાઉનની કડક અમલવારી અંગે  જણાવ્યું કે, નાગરિકો સ્વ-જાગૃતિ કેળવી જાહેરનામા અને નિયમોનું પાલન કરે એ અત્યંત જરૂરી છે. આ માટે પોલીસ દ્વારા હવેથી ધાર્મિકસ્થળોની પણ તપાસ કરવામાં આવશે અને ચારથી વધારે નાગરિકો એકઠા થયેલા જણાશે, તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર