મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! જાણો ઉત્તર ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ

ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળીયાના છાપરા ઉડી ગયા. તો પપૈયાની ખેતી કરતા ખેડૂતોના પપૈયાના છોડ જમીન દોષ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! જાણો ઉત્તર ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં પડેલા વરસાદ અને ભારે પવને જિલ્લાના વડગામના જલોતરા સહિત સરહદીય વિસ્તારોમાં નુકસાની સર્જી છે. ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળીયાના છાપરા ઉડી ગયા. તો પપૈયાની ખેતી કરતા ખેડૂતોના પપૈયાના છોડ જમીન દોષ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

15 દિવસના વિરામ બાદ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થઈ રહ્યા છે. ગઈકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લા વાસીઓને તો ભારે ઉકળાટ માંથી મુક્તિ મળી પરંતુ બીજી તરફ ભારે પવન સાથે થયેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં નુકસાની સર્જાઈ છે. વડગામના જલોતરા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં અનેક પશુઓના ઢાળિયા તેમજ કાચા મકાનોના પતરા ઉડી ગયા તો સાથે જ વિસ્તારમાં પપૈયાની ખેતી કરતા ખેડૂતોના છોડ જમીનદોસ થતા લાખો રૂપિયાનો ખર્ચ કરી મોંઘી દાટ પપૈયાની ખેતી કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

તો બીજી તરફ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદને પગલે ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોંઘા દાટ બિયારણો લાવી ઉઘાડેલી બાજરી, જુવાર સહિતનો પાકનો સોંથો વલી ગયો છે અને તેને કારણે ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉઘાડેલી બાજરી તેમજ જુવાર નો પાક નાશ થતાં ખેડૂતોએ પાક પાછળ કરેલો ખર્ચ અને તે બાદની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.

જોકે ભારે પવન અને ધોધમાર વરસાદ એ ખેડૂતોના ખેતરોમાં નુકસાની તો સર્જી પરંતુ હવે આ ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી અમે નુકસાની ભોગવતા આવીએ છીએ ત્યારે હવે સરકાર અમને કંઈક મદદ કરે તો જ અમે ઉભા થઈ શકીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news