અમદાવાદ: અમદાવાદની પૈરાણિક અને પારંપરિક ગણાતી 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલભદ્રના રથ નિજમંદિર પહોંચ્યા છે. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ છે. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત રથમાં જ બિરાજમાન રહેશે. અને વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથાયાત્રા સવાર 7 વાગ્યે જગન્નાથજીના મંદીરેથી પરંપરાગત રૂટ ઉપરથી નિકળી સરસપુર પહોંચી પ્રસાદ લઈ વિશ્રામ કરી સરસપુરથી રવાના થઈ નિયત રૂટ ઉપર ફરી પસાર થઈ સાંજે નીજ મંદીરમાં પરત ફરી છે. અંદાજે ૨૨ કિ.મી.નો રૂટ ધરાવતી આ સમગ્ર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.


CM વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કરી પહિંદ વિધિ
આજે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નીકળી રહી છે. રથયાત્રા પહેલાં ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. રથયાત્રા શરૂ  થાય તે અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી. આવો જાણીએ આખરે આ પહિંદ વિધિ શું છે અને તે શાં માટે કરવામાં આવે છે.


મોસાળમાં મોહનનું મામેરુ કરનાર કાનજીભાઈના આંખમાંથી આંસુ આવી ગયા
મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


પહેલીવાર અમદાવાદ રથયાત્રાની લંબાઈ ઘટી, 400થી 500 મીટર ટૂંકી થઈ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારથી જ ઉત્સોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વિધીવિધાન મુજબ સવારે મંદિર ખાતે મંગળા આરતી યોજાઈ હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે જોડાયા હતા. રથયાત્રાને પગલે સૌથી વધુ ચર્ચાતી બાબત તેની લંબાઈ હોય છે. પોલીસ કાફલા સાથે નીકળતી રથયાત્રાનો પહેલો છેડો અને અંતિમ છેડો ક્યાં હોય છે, રથયાત્રા કેટલી લાંબી હોય છે તે જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે 2019ની રથયાત્રાની લંબાઈ ઘટી ગઈ છે. ડીસીપીથી નીચેના પોલીસ અધિકારીઓની ગાડીઓ કાફલામાં ન જોડાતા રથયાત્રા ટૂંકી થઈ છે.




આ રથયાત્રામાં 8 આઈજી, 23 ડીસીપી, 44 એસીપી અને 119 પોલીસ ઇન્સ્પેકટર્સ આ રુટ પર તૈનાત કરાયા છે. તો પોલીસ અને હોમગાર્ડ જવાન સહિત કુલ 25 હજાર પોલીસ ખડેપગે સુરક્ષામાં રહ્યા હતા. એસઆરપી અને સીઆરપીએફ, એનએસજી કમાન્ડોની 37 ટૂકડી તૈનાત કરાઈ હતી. રુટ પર આવતા 7 પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી હતી. રથયાત્રાના દિવસે સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે  આરતી કરી હતી. આ બાદ સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નિતીન પટેલે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આખરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા કરી નીજ મંદીર પહોંચી ગયા છે.  રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના સૌથી મોટા લોકોત્સવ જેવી રથયાત્રા પુર્ણ થઈ અને ત્રણેય રથ નીજ મંદિરે પરત ફર્યા.


જુઓ LIVE TV