Ambaji Temple Mohanthal Prasad અલકેશ રાવ/બનાસકાંઠા : સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અંબાજી મંદિરમાં માં અંબે ને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટ પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી મંદિરમાં ત્રીજી માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભકતોને ચીક્કીનો પ્રસાદ આપતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભક્તો છેલ્લા 7 દિવસથી વિવિધ રજૂઆતો અને વિરોધ કરીને મોહનથાળ ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. છતાં પણ મંદીરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરાતાં ગઇકાલથી બ્રહ્મસમાજ દ્વારા રોજનો 200 કિલો મોહનથાળ બનાવીને અંબાજી મંદિરમાં ભક્તોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બ્રહ્મ સમાજ દ્વારા માં અંબાને મોહનથાળ ધરાવીને તે મોહનથાળનો પ્રસાદ ભૂદેવો પાલનપુર કલેક્ટર કચેરીએ લઈને પહોંચ્યા હતા. અંબોટી પહેરીને ભુદેવોએ મોહનથાળ હાથમાં લઈને માતાજીની સ્તુતિ કરી અને 108 વખત અખંડ ધૂન બોલાવીને મોહનથાળનો પ્રસાદ નાયબ કલેક્ટરને અર્પણ કર્યા હતો અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળ શરૂ કરાય તેવી ઉગ્ર માંગ કરી હતી અને જો જલદીથી મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


જોકે જ્યાર સુધી મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય ત્યાર સુધી મોહનથાળનો પ્રસાદ ભક્તોને આપવા માટે હવે અનેક લોકો બ્રહ્મ સમાજને દાન આપી રહ્યા છે અને અત્યાર સુધી 30 દિવસ સુધીના પ્રસાદના નાણાં એકત્રિત થઈ જતા રોજ અંબાજી મંદિરમાં આવતા ભક્તોને પ્રસાદ ખવડાવામાં આવશે. ભુદેવોએ કહ્યું હતું કે અમે આજે કલેક્ટરને પ્રસાદ આપ્યો છે તે ખાઈને તેમને માતાજી સદબુદ્ધિ આવે જેથી માતાજીના ધામમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે.


આ પણ વાંચો : 


ગુજરાતમાં સરકારી નોકરીની ‘બહાર’ આવી : આ વિભાગે કરી ભરતીની જાહેરાત


શાસ્ત્રી કિશોર દવે કહે છે કે, વર્ષોથી માતાજીને મોહનથાળનો પ્રસાદ ભોગ ચડાવીને ભક્તોને આપતો હતો તે કોઈપણ જાતના લેખિત વગર બંધ કરી દેતા ભકતોની લાગણી દુભાઈ છે..અમે રોજ 200 કિલો મોહનથાળ બનાવીને ભક્તોને આપી રહ્યા છીએ. આજે અમે માતાજીને અર્પણ કરેલ રાજભોગનો મોહનથાળ કલેક્ટરને આપ્યો છે જેથી તે ખાઈને તેમને સદબુદ્ધિ આવે.


તો બ્રહ્મ સમાજના આગેવાન ડામરાજી રાજગોર કહે છે કે, માતાજીને તેલનો દીવો થતો નથી અને તેલની ચીક્કી પ્રસાદ ન કહેવાય ,જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. 


અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયાને આજે સાતમો દિવસ છે, ત્યારે આજે પણ દાતાઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ તૈયાર કરીને ભક્તોને આપવામાં આવ્યો હતો. અંદાજે 5 હજાર જેટલા મોહનથાળના પેકેટ તૈયાર કરાયા હતા જે ભકતોને વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયો છે ત્યારે યાત્રિકોએ પ્રધાનમંત્રી મોદીને વિનંતી કરી હતી કે તેઓ અંબાજીમાં ફરીથી મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ કરાવે. 


આ પણ વાંચો : 


ગુજરાતમાં PM મોદીની ટોપ લેવલની બેઠક : આ લોકો સાથે કલાકો મીટિંગ કરી, નવાજૂનીના એંધાણ