Gujarat Heavy To Heavy Rains: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે. અધધ વરસાદને કારણે સૌરાષ્ટ્રના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે જુઓ જળબંબાકારની સ્થિતિ પર અમારો આ ખાસ અહેવાલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં મેઘરાજા કેવા વરસ્યા છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકના છે. અહીં એવા વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામોના ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. સમુદ્રની સહેર કરતા હોઈએ તેવું ફલિત થઈ રહ્યું છે. પીપલાણા, મતિયાણા, મૂલ્યાસા અને ગોઠિલામાં જળબંબાકાર થઈ ગયું છે....ત્યારે ઝી 24 કલાકની પણ ટીમે ઘેડ પંથકમાં ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કર્યું હતું.



આ દ્રશ્યો જૂનાગઢના પીપલાણાંના છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘર, ખેતર, મંદિર, રોડ, રસ્તા બધુ જ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામનો સંપર્ક તુટી ગયો છે. ગામ લોકો વીજળી વગર પાણી વચ્ચે રહેવા મજબુર બન્યા છે. તંત્રનો એક પણ અધિકારી અહીં પહોંચ્યો નથી. તો સૌથી હચમચાવી નાંખે તેવી આ તસ્વીર જુઓ. ગામની 50 વર્ષિય મહિલાનું અવસાન થતાં તેની અંતિમયાત્રા માટે પરિવારજનોએ કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમર સુધી ભરાયેલા પાણી વચ્ચે મહિલાની અંતિમયાત્રા કાઢવામાં આવી છે. ગામમાંથી સ્મશાન સુધી પાણી જ પાણી હોવાને કારણે ડાઘુઓ હેરાન પરેશાન થયા હતા....


ઘેડના મતિયાણા ગામમાં પણ હાલ બેહાલ છે. આખા ગામે જાણે જળસમાધિ લઈ લીધી છે. ગામમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પાણી ન હોય. મુશળધાર મેઘાને કારણે ખેતર, ઘર, ગામ, રોડ-રસ્તા બધુ જ જળમગ્ન જોવા મળી રહ્યું છે. અનેક ઘર પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે લોકો ટેરેસ પર રહેવા મજબૂર બન્યા છે. વિચારો આટલા પાણી વચ્ચે લોકોની સ્થિતિ કેવી હશે?.


તો આ દ્રશ્યો છે જૂનાગઢના બાલાગામના.અહીં પણ હાલ બેહાલ છે. બાલાગામને અન્ય ગામથી જોડતો માર્ગ પાણીમાં સમાઈ ગયો છે. માર્ગ પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ઓસા, ફૂલ રામા, ભાથરોટ જવાનો માર્ગ ધોવાઈ ગયો છે. 



જૂનાગઢની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ આફતનો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે પ્રાચી તીર્થમાં આવેલું માધવરાય મંદિર પાણી પાણી થઈ ગયું છે. મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. મંદિર અંદર થઈને પસાર થતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે. 


સૌરાષ્ટ્રમાં વરસેલો આ વરસાદ અનેક જગ્યાએ આફત લઈને આવ્યો છે. ખાસ કરીને જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આવેલો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો છે. ત્યાં એવું પાણી ભરાયું છે કે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે જોવાનું રહેશે કે તંત્ર ક્યારે પાણી વચ્ચેથી લોકોને બહાર કાઢે છે.