લેઉવા પટેલોની બેઠક પહેલા જયેશ રાદડિયાએ કહ્યું, આજે કોઈ રાજકીય ચર્ચા નહિ કરીએ
- પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં રાજકોટમાં મળશે મહત્વની બેઠક
- રાજકીય અને સામાજિક મુદ્દે થઈ શકે છે મહત્વની ચર્ચા
- નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા સંભવ
- જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજીને આપી માહિતી
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની મહત્વની બેઠક મળવાની છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. ત્યારે આ બેઠક પર સૌની નજર છે. કારણ કે, તેમાં રાજકીય અને સામાજિક મુદ્દે મહત્વની ચર્ચા થઈ શકે છે. 2 વર્ષ બાદ મળી રહી છે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળી રહી છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ પણ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા સંભવ છે.
આજે બેઠક પહેલા જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યુ કે, આજની બેઠકમાં સમાજને લગતા જ મુદ્દાઓની ચર્ચા થશે, રાજકીય મુદ્દો નહિ ચર્ચાય. રાજકીય ચર્ચા નહિ થાય, માત્ર સમાજ ઉપયોગી ચર્ચા થશે. આજની બેઠકમાં નરેશ પટેલ પણ હાજર રહેશે. મીટિંગનો કોઈ રાજકીય એજન્ડા પણ નથી. રાજકારણ અલગ છે, અને સમાજ અલગ છે. વર્ષોથી વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં બેઠક યોજાતી હતી. સમાજમાં રાજકારણ હોતુ નથી, તે અલગ જ હોય છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. નરેશ પટેલ પણ સાંજે બેઠકમાં ઉપસ્થિત રહેશે. હરિદ્વારમાં લેઉવા પટેલ સમાજનું ભવનનું નિર્માણ કરવામાં આવશે. 2 વર્ષ બાદ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક આજે મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જયેશ રાદડિયા લેઉવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ છે. એક તરફ સહકારી જગતમાં જયેશ રાદડિયા પર કેટલાક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાય છે, તેના પર સૌની નજર છે, તેવામાં પાટીદાર સમાજની આજની બેઠક ખૂબ મહત્વની ગણાય છે. નોંધનીય છે કે, નરેશ પટેલ અગાઉ જણાવી ચૂક્યા છે કે સમાજ કહેશે તે રીતે રાજકીય ભવિષ્ય નક્કી કરશે અને કોઈ પક્ષમાં જોડાશે.