ભીમા કોરેગાંવ, સબરીમાલા મંદિર સહિત આ મહત્વના કેસોમાં આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
સુપ્રીમ કોર્ટે આજે અનેક મોટા કેસોમાં ચુકાદો સંભળાવશે. જેમાં ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટની 3 જજની પેનલ ચુકાદો આપશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે અનેક મોટા કેસોમાં ચુકાદો સંભળાવશે. જેમાં ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટની 3 જજની પેનલ ચુકાદો આપશે. જ્યારે કેરલના સબરીમાલા મંદિર મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય પેનલ ચુકાદા દ્વારા નક્કી કરશે કે શું મંદિરમાં મહિલાઓના પ્રવેશનો નિયમ યોગ્ય છે કે નહીં. આ ઉપરાંત અફસ્પા, મણિપુર એન્કાઉન્ટર અને યુનિટેક જેવા કેસોમાં પણ સુનાવણી થશે.
ભીમા કોરેગાંવ કેસ
ભીમા કોરેગાંવ કેસમાં પાંચ એક્ટિવિસ્ટની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પેનલ આજે સવારે 10.30 વાગે ચુકાદો આપશે. કોર્ટ ચુકાદા દ્વારા નક્કી કરશેકે પાંચ એક્ટિવિસ્ટ વિરુદ્ધ પુણે પોલીસની તપાસ ચાલુ રહેશે કે નહીં. આ અગાઉ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું હતું કે જો કોઈ પ્રભાવિત ક્ષેત્રમાં લોકોના હાલચાલ પૂછવા મોકલવામાં આવે તો તેનો અર્થ એ નથી કે તે લોકો પ્રતિબંધિત સંગઠનના સભ્ય છે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે આપણે સરકારનો વિરોધ, તોડફોડ તથા ગડબડી ફેલાવનારા વચ્ચેના અંતરને સ્પષ્ટ રીતે સમજવું પડશે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો કેસ
કેરલના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોક વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલ આજે ચુકાદો આપશે. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 જજની પેનલ આજે સવારે ચુકાદો આપશે. આ અગાઉ નાયર સર્વિસ સોસાયટી તરફથી હાજર થયેલા વકીલ પરાશરણે હિંદુ ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે બ્રહ્મા વિધાયિકા, વિષ્ણુ કાર્યપાલિકા, શિવ ન્યાયપાલિકા અને અર્ધનારેશ્વર છે, ત્યારે તેમનું આ સ્વરૂપ કલમ 14 જેવો છે એટલે કે બધાને બરાબર અધિકાર. પારાશરને કહ્યું હતું કે કેરલમાં 90 ટકા વસ્તી શિક્ષિત છે.
અફસ્પા કેસમાં ચુકાદો
અફસ્પા કેસમાં પોતાના હિતોને સુરક્ષિત કરવાની ગુહાર લઈને સેનાના 356 જવાનો અને અધિકારીઓ તરફથી દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. હકીકતમાં સેનાના 356 જવાનો અને અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી છે કે દેશની સુરક્ષા માટે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ (અફસ્પા)હેઠળ કર્તવ્ય નિર્વહનમાં કરવામાં આવેલા કાર્ય માટે તેમના વિરુદ્ધ અપરાધીક કાર્યવાહી કરીને તેમની સતામણી ન કરવામાં આવે.
આવામાં તેમના હિતોને સુરક્ષિત કરવા માટે કોર્ટ દિશા નિર્દેશ જારી કરે. અરજીમાં એ પણ માગણી કરવામાં આવી છે કે સરકારને આદેશ આપવામાં આવે કે તેઓ સૈનિકો વિરુદ્ધ દુર્ભાવનાથી પ્રેરિત અભિયોજનો અને એફઆઈઆરને રોકવા માટે આવશ્યક પગલા લે.
મણિપુર એન્કાઉન્ટર મામલે સુનાવણી
મણિપુર એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્મા હાજર થયા હતાં. સીબીઆઈ તરપથી હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થવા પર સુપ્રીમે સવાલ ઉઠાવ્યાં હતાં. જસ્ટિસ મદન બી લોકુરે સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્માને પૂછ્યું હતું કે શું હજુ સુધી સીબીઆઈએ કોઈ ધરપકડ કરી છે?
સીબીઆઈ ડાઈરેક્ટરે જવાબ આપ્યો હતો કે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. કેટલાક લોકોની પૂછપરછ થઈ છે. કેસ બહુ જૂનો થઈ ગયો છે. હવે સીબીઆઈ પાસે તેમની પાસેથી મેળવવા માટે કઈ નથી. જેના પર જસ્ટિસ લોકુરે કહ્યું હતું કે તેનો અર્થ એ થયો કે હત્યારા મણિપુરમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.
યુનિટેક મામલે સુનાવણી
યુનિટેકના અધૂરા પ્રોજેક્ટ મામલે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ગત સુનાવણીમાં કંપનીના પ્રમોટર સંજય ચંદ્રાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી નહતી. કોર્ટે સંજય ચંદ્રાની કસ્ટડી પૈરોલની માગણી ફગાવી હતી.કોર્ટે કહ્યું હતું કે યુનિટેકની કોલકાતાની વેચાયેલી સંપત્તિની 85.88 કરોડ રૂપિયાની રકમ ઓક્શન પર્ચેઝર 27 સપ્ટેમ્બર સુધી સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવશે. આ ઉપરાંત યુનિટેક 30 કરોડ રૂપિયા જમા કરાવશે. કોર્ટે કહ્યું હતું કે જે બાયર્સ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે અને તેમને ફ્લેટની જગ્યાએ રૂપિયા જોઈએ તો તેમને સૌથી પહેલા પૂરી રકમના 60 ટકા મળશે.