રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની દુર્દશા, હોસ્પિટલોમાંથી નથી બેડ કે નથી રેમડેસિવર ઈન્જેક્શન

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં (Rajkot) કોરોનાનું બિહામણું ચિત્ર સામે આવ્યું છે. પોઝિટિવ દર્દીઓની દુર્દશા થઈ રહી છે. દર્દીને દાખલ કરવા ખાનગી હોસ્પિટલોમાં (Rajkot Hospital) નથી બેડ ખાલી. જો બેડ મળી પણ જાય છે તો સારવાર માટે રેમડેસિવર ઇન્જેક્શન (Remdesivir Injection) મળતા નથી. તંત્ર સબ સલામત હોવાના દાવાઓ કરે છે પણ આજે 16 પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.

રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી નથી

1/4
image

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ (Rajkot Corona Case) ભયાનક રીતે વધી રહ્યું છે. એન્ટીજન ટેસ્ટ કીટ થી 10 ટેસ્ટ કરવામાં આવે છે જેમાંથી 4 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. રૈયા ચોકડી, કે. કે. વી હોલ સર્કલ અને આરોગ્ય કેન્દ્રોમાં (Rajkot Health Centers) લોકો કોરોના ટેસ્ટ કરાવવા કતારોમાં જોવા મળ્યા હતા. મોટાભાગના પોઝિટિવ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન થઈ રહ્યા છે તેમ છતાં શ્વાસની બીમારી, ડાયાબિટીસ અને કેન્સર પીડિત લોકોના પોઝિટિવ કેસ આવતા સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેનો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ રાજકોટની (Rajkot) 20 માંથી 19 ખાનગી હોસ્પિટલોને જવાબ મળે છે કે બેડ ખાલી નથી. વહીવટી તંત્ર દ્વારા બેડ વધારવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે પણ સુવિધાનો હજુ અભાવ જોવા મળી રહ્યો છે. 

રેમડેસિવરની કૃત્રિમ અછત?

2/4
image

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ (Food and Drug Administration) દ્વારા 3400 રેમડેસિવરના ઇન્જેક્શનના જથ્થાનું બે દિવસ પહેલા વિતરણ કરવામાં આવ્યું. જેમાં ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોરને જથ્થો અપાયો હતો. તેમ છતાં બે દિવસ થી ફરી રેમડેસિવર ઇન્જેક્શનો (Remdesivir Injection) મેડિકલ સ્ટોરમાં ન હોવાની ફરિયાદ ઉઠી છે. સૂત્રોના કહેવા મુજબ, ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો પડેલો છે. તેમ છતાં પોઝિટિવ દર્દીઓના સંબંધીઓને પ્રિસ્ક્રીપ્શન લખી મેડીકલમાંથી લઈ આવવા તબીબો દબાણ કરી રહ્યા છે. મેડિકલ સ્ટોરના સંચાલકોના કહેવા મુજબ દરરોજ 600 થી 700 ડોઝ રેમડેસિવરની જરૂર છે તેની સામે હાલ 500 ડોઝ જ વિતરણ કરવામાં આવી રહ્યા છે.

એક દર્દીને 6 ડોઝ ફરજીયાત

3/4
image

રાજકોટના મોટી ટાંકી ચોકમાં આવેલ યશ મેડિકલ સ્ટોરના સંચાલક પીયૂષભાઈ જાવીયાએ જણાવ્યું હતું કે, એક દર્દીને 6 ડોઝ રેમડેસિવર ઇન્જેક્શનના આપવા ફરજીયાત છે. હોસ્પિટલમાંથી લખી આપે છે પણ રેમડેસિવર મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી તેથી દર્દીઓના સંબંધીઓ ધક્કા ખાય છે. દરરોજ રાજકોટમાં 300 કેસ આવે છે. જેને પહોંચી વળવા માટે દરરોજ રેમડેસિવર ઇન્જેક્શનના 600 થી 700 ડોઝની જરૂરિયાત રહેલી છે. પણ સ્ટોક પૂરતો આવતો જ નથી.

અમરેલીથી રેમડેસિવર લેવા આવ્યા

4/4
image

અમરેલીમાં દાખલ કરેલા કોરોના દર્દીના સંબંધી રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શન શોધી રહ્યા હતા. અંકિતભાઈ લાલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવતા અમરેલીમાં સારવાર માટે દાખલ કર્યા છે. રેમડેસિવર ઇન્જેક્શન લેવા આવ્યા છીએ. પણ રાજકોટમાં મળતા નથી. ગઈકાલે રાત્રે ગોંડલ થી બે રેમડેસિવર ઇન્જેક્શનના ડોઝ લઈ અમરેલી મોકલ્યા છે. જીવ બચાવવા માટે રેમડેસિવર જરૂરી છે એટલે ગોતવા નિકળા છીએ.