Positive Story : ગાંધીજીની રાહે ચાલતી કચ્છની દાદીઓ, ઓટલા પર બેસવા કરતા ચરખા પર ખાદી બનાવીને રોજી મેળવે છે

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા ખાદીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. કચ્છમાં પણ છેલ્લા 4 વર્ષથી મહિલાઓ વિવિધ પ્રકારના ચરખાના માધ્યમથી ખાદીનું ઉત્પાદન કરીને સ્વાવલંબન સાથે સ્વમાનભર્યું જીવન મેળવવા સક્ષમ બની છે. ખાસ કરીને કચ્છના પ્રખ્યાત દેશી કાલા કોટનમાંથી બનાવવામાં આવતા ખાદીના કાપડે સમગ્ર દેશ-દુનિયામાં પોતાનું અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

1/6
image

કચ્છની સામાજીક સંસ્થાના નેજા હેઠળ કામ કરતી અબડાસા તાલુકાની ખાદી કારીગર વડીલ બહેનો આજે ખાદીના વણાટકામના માધ્યમથી પગભર બની છે. ઉપરાંત એકબીજાની હુંફ મેળવીને આજે યુવાનોની જેમ સરકાર દ્વારા યોજાતા વિવિધ હેન્ડલુમ અને હસ્તકલા મેળામાં પોતાની કલા અને પ્રોડક્ટનું પ્રદર્શન પણ કરતી થઇ હાલમાં અબડાસા તાલુકામાં ચાલતા કાલા કપાસ પ્રોજેક્ટમાં જોડાયેલી 70 થી 80 ટકા મહિલાઓ 60 વર્ષથી ઉપરની છે.

2/6
image

છેલ્લા 4 વર્ષથી પૂન: રેંટીયો કાંતવાના કામ સાથે જોડાયેલા 85 વર્ષના જશુબા જાડેજા જણાવે છે કે, યુવાનીમાં રેંટીયો કાંતતા હતા, પરંતુ સમય બદલતા આ કામ છુટી ગયું. પરંતુ ઢળતી જીવન સંધ્યાએ ફરી રેંટીયો કાંતવાનો મોકો મળતા ફરીથી આ કામ ચાલુ કર્યું છે. આ કામના કારણે સમય સારી રીતે પસાર થઇ જાય છે. ઉપરાંત જે પણ આવક થાય છે તેનાથી જરૂરીયાતો પૂર્ણ કરવામાં મદદ મળી રહી છે. આત્મવિશ્વાસ પણ વધ્યો છે. 

3/6
image

વૃધ્ધા અવસ્થામાં અન્ય કોઇ પરિશ્રમ કરીને આવક મેળવવી શકય નથી, ત્યારે રેંટિયો કાંતવાના કામથી અબડાસા તાલુકામાં અનેક વૃધ્ધ મહિલાઓને પૂરક રોજીરોટીનું સાધન પ્રાપ્ત થયું છે. વર્તમાન સમયમાં બારડોલી રેંટીયો, યરવડા ચરખો જેના પર ગાંધીજી પણ ઉન કાંતતા હતા તથા અંબર ચરખો આ ત્રણ પ્રકારના ચરખા પર કામ કરાઇ રહ્યું છે.

4/6
image

અન્ય ખાદી કારીગર વડીલ બહેનો કૈલાશબા જાડેજા, રામબા જાડેજા વધુમાં જણાવે છે કે, કાલા કોટન પૂર્વ કચ્છના વાગડ વિસ્તારની ખાસિયત છે. આ કપાસ માત્ર વરસાદી પાણીના આધારે જજ ઉગે છે. કોઇપણ પ્રકારના કેમિકલના વપરાશ વગર તેનું વરસાદી પાણીથી ઉત્પાદન થાય છે. તેથી તેમાંથી બનતા ખાદીના કાપડની ખાસિયત વધી જાય છે. હાલ અબડાસા તાલુકામાં 14 ગામની અનેક મહિલાઓ ખાદી કારીગર તરીકે કામ કરી રહી છે. 125 ચરખા દિવસ-રાત લોકોના ઘરે ચાલી રહ્યા છે. જેટલું વધુ કામ થાય તે મુજબ મહિલાઓ આવક મેળવી શકે છે.

5/6
image

ખાદી કારીગર જ્ઞાનબા જાડેજા જણાવે છે કે, છુટક માર્કેટમાં તેમના દ્વારા ઉત્પાદિત ખાદી કાપડનું વેચાણ થાય છે. તે ઉપરાંત મોટા હોલસેલર, દેશની મોટી બ્રાન્ડ સીધી જ તેમની પાસેથી ખરીદી કરે છે. આ સાથે જાપાન સહીતના દેશોમાં પણ કચ્છની કાલા કોટન ખાદીની નિકાસ થાય છે. 

6/6
image

વર્તમાન સમયમાં સરકાર દ્વારા વિવિધ મેળામાં વેચાણ માટે નિ:શુલ્ક પ્લેટફોર્મ અપાતું હોવાથી તેમનું પ્રોડ્કટ લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી છે. સરકારના આ સહકારથી ઘરની બહાર નીકળીને અમે મેળાના માધ્યમથી લોકો સાથે સીધા જોડાઇ રહ્યા છીએ. બજાર સાથે કઇ રીતે સંકળાઇ શકાય તેની સમજ આવી છે. વધુ કામ કરવાની ઘગશ તથા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે.