ઈસુદાનને આ બેઠક પર લડાવવાનું શું છે AAP નું ગણિત? જાણો મુખ્યમંત્રીના ચહેરા માટે કઈ રીતે પસંદ કરાઈ આ બેઠક

Gujarat Election 2022: AAPએ ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ અને ઈસુદાનને CMના ઉમેદવાર બનાવીને પાટીદાર અને ઓબીસી બંને સમુદાયનું બેલેન્સ કર્યું છે. કેજરીવાલે ઈસુદાનને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવીને એકસાથે બે જ્ઞાતિના સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. 

ઈસુદાનને આ બેઠક પર લડાવવાનું શું છે AAP નું ગણિત? જાણો મુખ્યમંત્રીના ચહેરા માટે કઈ રીતે પસંદ કરાઈ આ બેઠક

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરો ઈસુદાન ગઢવી અને પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિશે અગાઉ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ઈસુદાન વિશે કેજરીવાલ સરકારે સ્પેશિયલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 

AAPના સર્વેનાં પરિણામોમાં ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી 73%એ ઈસુદાનને પસંદ કર્યા છે. આમ, AAPએ ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ અને ઈસુદાનને CMના ઉમેદવાર બનાવીને પાટીદાર અને ઓબીસી બંને સમુદાયનું બેલેન્સ કર્યું છે. કેજરીવાલે ઈસુદાનને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવીને એકસાથે બે જ્ઞાતિના સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. 

ગોપાલ ઈટાલિયા પાટીદાર છે. બીજી તરફ ઈસુદાન ગઢવી અન્ય પછાત વર્ગનું (OBC) પ્રતિનિધિત્વ કરે છે. આમ પાટીદાર અને OBC બંને મતદાર વર્ગને એકસાથે જોડી દેવાનો માસ્ટર સ્ટ્રોક કેજરીવાલે માર્યો છે. ઈસુદાનનું સૌરાષ્ટ્રમાં ખાસ્સું પ્રભુત્વ છે અને તેમની ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિયતા વધુ છે.

અગાઉ કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયા વિશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. બન્ને નેતાઓને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી લડાવવામાં આવે. જેથી ગોપાલ ઈટાલિયાને સુરત કતારગામ અને ઈસુદાનને ખંભાળિયાથી ટિકિટ આપવામાં આવી છે. હવે દરેકના મનમાં એક સવાલ ઉભો થયો છે કે આપના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્વારકાના ખંભાળિયાથી ચૂંટણી કેમ લડવાના છે?

જો આ સમીકરણ યોગ્ય સાબિત થાય તો ઇસુદાન ગઢવી સામે અનેક મોટા પડકાર છે. ભાજપે આહીર ઉમેદવારને મેદાનમાં ઉતારતા સમીકરણો બદલાયા છે અને 'આપ'ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જો ખંભાળિયાથી ઝંપલાવે તો ખંભાળિયા બેઠકનો ત્રિપાંખિયો જંગ રોચક બનશે. જો ઈસુદામ ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે તો તેમની ટક્કર વિક્રમ માડમ સાથે છે. કોંગ્રેસે જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કર્યાં છે. તો ભાજપે મુળુ બેરાને ટિકિટ આપી છે. 

ખંભાળિયા ભાજપના ઉમેદવારમાં ભારે ગડમથલ ચાલી હતી તથા અહીં સથવારા ઉમેદવાર હરિભાઈ નકુમ, જામનગરના મેરામણ ભાટુ, મુળુભાઈ બેરા તથા મયુરભાઈ ગઢવીના નામો છેલ્લે ચર્ચામાં હતાં. જેમાં ભાજપે છેલટે મુળુભાઈ બેરાનું નામ નક્કી કરતા આ બેઠક પરના સમીકરણો બદલાયા છે. ખંભાળિયા બેઠક પર મુખ્ય સ્પર્ધક આહિર જ્ઞાતિઓના હોય, જંગમાં ત્રીજા ઈત્તર જ્ઞાતિને ફાયદાની અપેક્ષાથી અહીં આપ લડનાર હોવાનું કહેવાય છે, તો અહીં સથવારા જ્ઞાતિને ટિકિટ ન મળતા તેની નારાજગી ભાજપ દ્વારા કેટલી શાંત થઈ શકે અને પોતાના ઉમેદવાર તરફ વાળી શકે તે પણ મહત્ત્વનું ગણાશે.

મુળુભાઈ બેરા ખંભાળિયા બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસના મેરમણ ગોરિયા સામે નજીવી સરસાઈથી હારી ગયેલા છે તથા અગાઉ મુળુભાઈ બેરા ભાણવડ સીટ પર વિક્રમ માડમ સામે હારી ગયેલા છે, પણ ખંભાળિયા બેઠક પર વિક્રમભાઈ અને મુળુભાઈનો સીધો જંગ પ્રથમ છે. જે ત્રિપાંખિયો થવા પૂરી સંભાવના છે અને ક્યા મતો ક્યાં જશે તે નિર્ણાયક થશે.

કોણ છે ઇશુદાન ગઢવી? જાણો તેમની જિંદગીના ઉતાર ચઢાવ વિશે.... 
કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઇશુદાન ગઢવીએ એક ખાનગી ટીવી ચેનલમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇશુદાન ગઢવી પોતાની સ્પષ્ટ છબી અને ખેડૂત અંગેની લાગણીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે.

વિદ્યાપીઠમાં અભ્યાસ અને દુરદર્શનથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ
ઈશુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982માં થયો હતો. 40 વર્ષના ઇશુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમને એક સરકારી ચેનલના યોજના નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે એક ખાનગી ગુજરાતી ચેનલમાં જોડાયા હતા. ખાનગી ચેનલમાં તેમણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને ડાંગ તથા કપરાડા તાલુકાનાં બિનકાયદેસર વૃક્ષ છેદનનાં 150 કરોડનાં કૌભાંડના મુદ્દાને ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ કર્યા હતા. આ રિપોર્ટનાં કારણે સરકાર પણ ઉંઘતી ઝડપાઇ હતી. આ અહેવાલ બાદ સરકારે કાર્યવાહી કરવી પડી હતી. જેના કારણે ઇસુદાન ગઢવીએ નિડર પત્રકારની ઓળખ મળી હતી. 

બેખોફ પત્રકાર તરીકેની છાપ કેળવી
2007થી 2011 દરમિયાન તેમણે પોરબંદરમાં એક ખાનગી ગુજરાતી ચેનલના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 ઇસુદાન ગઢવીએ એક ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. 2015માં ખાનગી ચેનલમાં ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા. જ્યાં તેમનો એક કાર્યક્રમ ખુબ જ જાણીતો બન્યો હતો અને તે આખા ગુજરાતમાં જાણીતા બન્યા હતા. પરંતુ બે વર્ષ પહેલા તેમણે પત્રકારત્વ છોડીને પોલિટિક્સમાં એન્ટ્રી કરી હતી. જેમાં તે અરવિંદ કેજરીવાલના હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇસુદાન હાલ અમદાવાદ ખાતે પોતાનાં માતા, પત્ની અને બે સંતાનો સાથે રહે છે. 

રાજનેતા તરીકે રાજનીતિની ગંદકી સાફ કરવાની નેમ
આ અંગે ઇસુદાને કહ્યું કે, જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષનાં પત્રકારત્વ દરમિયાન મે વિચાર્યું પણ નહોતું કે હું આ સ્ટેજ પર હોઇશ. એક પત્રકાર બાદ રાજકારણી તરીકે મેં મારાથી બનતા પ્રયાસો કરી લોકોને ન્યાય મળે તેવા પ્રયાસો કર્યા છે. એક સમયે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જો કે હવે સિસ્ટમની ગંદકી દુર કરવા માટે રાજનીતિમાં ઉતરવાનું નક્કી કર્યું છે. ગુજરાતનો ઇતિહાસ હવે બદલાવા જઇ રહ્યો છે. હવે રાજનીતિમાંથી ગંદકી સાફ કરીશ, જે કામ કરવામાં કોંગ્રેસ નબળું રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news