ISROએ સોલાર મિશનમાં રચ્યો ઈતિહાસ; જાણો ઈસરોએ રચેલા ઇતિહાસથી સૂર્યનાં કયાં રહસ્યો ઉકેલાશે?

Isro successfully injects Aditya-L1: 

ISROએ સોલાર મિશનમાં રચ્યો ઈતિહાસ; જાણો ઈસરોએ રચેલા ઇતિહાસથી સૂર્યનાં કયાં રહસ્યો ઉકેલાશે?

Aditya-L1 Mission Live Updates: ઈસરોએ ફરી ઈતિહાસ સર્જયો છે. સૂર્યનો અભ્યાસ કરવા માટે ઈસરોએ મોકલેલું આદિત્ય એલ1 સફળતાપૂર્વક પોતાની ધરીમાં ગોઠવાઈ ગયું છે. હવે ઈસરોને સતત સૂર્યની મહત્વની માહિતી મળતી રહેશે, જેનાથી સૂર્યના વણઉકલ્યા રહસ્યો ઉકેલાશે અને દેશના અબજો રૂપિયાની બચત થશે. કેવું છે આ સમગ્ર મિશન. બીજી સપ્ટેમ્બર 2023ના રોજ ઈસરોએ સૂર્ય તરફ મોકલેલો ઉપગ્રહ આદિત્ય એલ1 પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગયો છે. ત્રણ મહિનામાં સૂર્ય તરફનું 15 લાખ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ શનિવારે આદિત્ય એલ1 સૂર્યની હેલો ઓર્બિટમાં ગોઠવાઈ ગયું. 

આદિત્ય એલ1ને હેલો ઓર્બિટમાં નાંખવાનું કામ ઈસરો માટે થોડું પડકારજનક હતું, કેમ કે ગતિ અને દિશામાં તાલમેલ સાધવાનો હતો. વૈજ્ઞાનિકોએ પોતાના અનુભવની મદદથી આ પડકારને દૂર દીધો. ઉપગ્રહને હેલો ઓર્બિટમાં નાંખવા માટે તેના 12 થ્રસ્ટર્સને થોડા સમય માટે ઓન કરવામાં આવ્યા હતા. જેનાથી ઉપગ્રહને જરૂરી વેગ મળી ગયો. હવે આદિત્ય એલ1 સતત સૂર્યને હેલો કરતું રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઈસરોને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતનું પહેલું સોલર ઓબ્ઝરવેટરી એલ1 તેના લક્ષ્યાંક સુધી પહોંચી ગયું છે. આ સફળતા સૌથી જટીલ અને મુશ્કેલ સ્પેસ મિશનમાંથી એક એવા મિશનને સાકાર કરવા માટેની આપણા વૈજ્ઞાનિકોની અથાગ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ અસાધારણ સફળતાને બિરદાવવા માટે હું દેશ સાથે જોડાયો છું. માનવતાના લાભ માટે આપણે વિજ્ઞાનના નવા મોરચે આગળ વધવાનું ચાલુ રાખીશું.

હાલ નાસાના ચાર ઉપગ્રહો સૂર્યનો અભ્યાસ કરી રહ્યા છે, ઈસરોનું આદિત્ય એલ1 પણ તેમની હરોળમાં સામેલ થઈ ગયું છે. આદિત્ય એલ1ને અવકાશના એલ1 પોઈન્ટ પર ગોઠવવું જરૂરી હતું. કેમ કે આ જ પોઈન્ટ પરથી ઉપગ્રહ સૂર્યનો અભ્યાસ કરશે. આ પોઈન્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતર પર આવેલું છે. આ પોઈન્ટનું અંતર સૂર્ય અને પૃથ્વીના કુલ અંતરના ફક્ત એક ટકા જેટલું છે. આ પોઈન્ટની શોધ ગણિતજ્ઞ  જોસેફી લુઈ લેરેન્જે કરી હોવાથી તેને એલ1 પોઈન્ટ કહેવાય છે. અહીં કોઈ ગ્રહ કે ઉપગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું ન હોવાથી ઉપગ્રહ અહીં સલામત રહે છે. 

આદિત્ય એલ1 400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે તેનાથી ભારતના અને દુનિયાના અબજો રૂપિયાની બચત થશે. કેમ કે સૌર તોફાનોની આગોતરી માહિતી મળી જતાં અવકાશમાં તરતા ઉપગ્રહોને બચાવી શકાશે. આદિત્ય એલ1 અગત્યનું એટલા માટે છે કેમ કે આ મિશન સૂર્યના વણઉકલ્યા રહસ્યો પરથી પડદો ઉંચકશે. તેના 7 પેલોડ્સ સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે. તે સૌર તોફાનોના કારણ અને પૃથ્વીના વાયુમંડળ પર તેની અસરનો પણ અભ્યાસ કરશે. ખાસ તો આદિત્ય એલ1 સૂર્યના આંતરિક ભાગ કોરોનામાંથી ફેંકાતા ગરમ પવનોનો અભ્યાસ કરશે. જેનાથી સૂર્યના જુદા જુદા ભાગોના તાપમાન વિશે માહિતી મળી શકશે.

અગાઉ આદિત્ય એલ1ના સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજિંગ ટેલિસ્કોપે સૂર્યની તસવીરો પણ લીધી હતી. આ તસવીરોમાં સૂર્યને 11 જુદા જુદા રંગોમાં જોઈ શકાતો હતો. પૃથ્વી સહિત સમગ્ર સૌરમંડળને સૂર્ય દ્વારા જ પ્રકાશ અને ઊર્જા મળે છે, સૂર્ય વિના માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. ત્યારે સૂર્યનો અભ્યાસ કરવો જરૂરી નહીં પણ અનિવાર્ય છે. ઈસરોના વૈજ્ઞાનિકો આગામી સમયમાં સમગ્ર દુનિયાને સૂર્યનો એક નવો પરિચય કરાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news