અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 73 ઈમારતોમાં જ ફાયર NOC નથી, તંત્રની લાલીયાવાડી

રાજકોટમાં આગકાંડની ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ ખુદ એએમસી સંચાલિત 73 ઈમારતોમાં ફાયર એનઓસી નથી. 

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 73 ઈમારતોમાં જ ફાયર NOC નથી, તંત્રની લાલીયાવાડી

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલા આગકાંડમાં કુલ 27 લોકોના મોત થયા હતા. રાજકોટમાં બનેલી આ સૌથી ભયાનક ઘટના બાદ સમગ્ર રાજ્યનું સરકારી તંત્ર જાગી ગયું હતું. રાજકોટ આગકાંડ બાદ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ એએમસીએ કાર્યવાહી કરી હતી. પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 

રાજકોટમાં આગકાંડની ઘટના બાદ અમદાવાદમાં તમામ ગેમ ઝોન સહિત અન્ય જગ્યાઓ પર ફાયર સેફ્ટીના ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જ્યાં ફાયર એનઓસી ન હોય તેવા અનેક એકમો અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. પરંતુ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત પોતાની 73 ઈમારતોમાં જ ફાયર એનઓસી નથી. એટલે કે અન્ય જગ્યાએ તપાસ કરતું એએમસીનું તંત્ર પોતાની ઈમારતો પ્રત્યે ઘોર ઉદાસિન જોવા મળી રહ્યું છે. 

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સંચાલિત 73 ઈમારતમાં ફાયર એનઓસી નથી. આ એકમોમાં સબઝોનલ ઓફિસ, કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લેટ, હેલ્થ સેન્ટર સહિત અન્ય ઈમારતો છે. એક તરફ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા પોતા દ્વારા સંચાલિત થતી ઈમારતોમાં કોઈ ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી. એટલે કે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. 

અમદાવાદમાં વિવિધ ઝોનમાં કોર્પોરેશન દ્વારા પાર્ટી પ્લોટ, કમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, ગાર્ડન જેવી અનેક ઈમારતોનું સંચાલન કરવામાં આવે છે. પરંતુ ખુદ સરકારી ઈમારતોમાં જ ફાયર સેફ્ટી એનઓસી નથી. આ મામલે તંત્રના એકેય અધિકારી પણ કંઈ બોલવા તૈયાર નથી. એટલે કે લોકોને નિયમોનું પાલન કરવા નિકળેલા સરકારી તંત્રની ઈમારતોમાં જ નિયમોનું કોઈ પાલન કરવામાં આવતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news