ગુજરાતની 15 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર, મોટાભાગના રિપિટ

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટેના 46 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 15 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉમેદવારોમાં મોટા ભાગના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના દેવજી ફતેપુરાનું પત્તુ કપાયું અને તેમના સ્થાને મહેન્દ્રભાઇ મુજપરાને ટિકિટ આપવામાં આવી છે. 
 

ગુજરાતની 15 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર, મોટાભાગના રિપિટ

દિલ્હી: ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટેના 46 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 15 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉમેદવારોમાં મોટા ભાગના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના દેવજી ફતેપુરાનું પત્તુ કપાયું અને તેમના સ્થાને મહેન્દ્રભાઇ મુજપરાને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે, કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ લિસ્ટમાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે. 

જાહેર થયેલા ઉમેદવારોની યાદી

1. ગાંધીનગર- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
ઉંમરના કારણે સાંસદ લાલકૃષ્ણ અડવાણીના સ્થાને અમિત શાહને મેદાને ઉતાર્યા છે. 

2. સુરેન્દ્રનગર - ડો. મહેન્દ્ર મુજપરા
સાંસદ દેવજી ફતેપરા સામે સ્થાનિક નારાજગી અને નબળી કામગીરીના કારણે બદલાવ કરવામાં આવ્યો છે. અને સ્થાનિક અને સ્વચ્છ પ્રતિભાવાળા ડો. મહેન્દ્ર મુજપરાની પસંદગી પક્ષ દ્વારા કરવામાં આવી છે. 

3. કચ્છ- વિનોદ ચાવડા
યુવા સાંસદની કામગીરી સંતોષકારક હતી અને સ્થાનિક કોઇ વિવાદ ન હોવાના કારણે રીપીટ કરાયા છે. આરક્ષિત બેઠક પર સ્થાનિક ચહેરો હોવાની સાથે વિકાસલક્ષી કામગીરીનો લાભ મળ્યો છે. 

4. અમદાવાદ પશ્ચિમ- ડો. કિરિટ સોલંકી
બે ટર્મથી સાંસદ ડો. કિરિટ સોલંકીને વધુ એકવાર નસીબનો લાભ મળ્યો છે. અમદાવાદ પૂર્વ અને ગાંધીનગરના ઉમેદવાર બદલાવાના કારણે લાભ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક અને શિક્ષિત દલિત ચહેરાનો લાભ
 મળ્યો છે. 

5. જામનગર - પૂનમબેન માડમ
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂનમબેન માડમને રીપીટ કરવાનું નિશ્ચિત હતું. આહીર સમાજનો મજબૂત ચહેરો અને યુવા સાંસદ હોવાનો લાભ મળ્યો છે. 

6. ભાવનગર- ડો. ભારતીબેન શિયાળ
જ્ઞાતિગત સમીકરણનો સીધો લાભ ભારતીબેનને મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોળી મતબેંકમાં નિર્વીવાદિત ચહેરા હોવાનો સીધો લાભ મળ્યો છે. હીરા સોલંકી સામે સ્થાનિક વિરોધ હોવાથી ભારતીબેનને રીપીટ કરાયા છે. 

7. ખેડા- દેવુસિંહ ચૌહાણ
કોંગ્રેસમાંથી આવેલા દેવુંસિંહ ચૌહાણને રીપીટ કરાયા છે. સ્વચ્છ અને શિક્ષિત ચહેરાને રીપીટ કરવાનું નિશ્ચિત હતુ. પીએમ મોદી અને રાષ્ટ્રીય નેતૃત્વની નજીક હોવાનો સીધો લાભ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોતાના મતવિસ્તારમાં પણ વિકાસ કામગીરી સંતોષકારક હોવાથી પક્ષે રીપિટ કર્યા છે. 

8. દાહોદ-જસવંતસિંહ ભાભોર
કેન્દ્રીય મંત્રીને રીપીટ કરવાનું નિશ્ચિત હતું. આદિવાસી વિસ્તારોના સમીકરણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. સ્થાનિક નેતાઓ પણ એક જ નામ મોકલ્યું હતું.

9. બારડોલી- પ્રભુ વસાવા
સ્થાનિક આદિવાસી સમીકરણનો લાભ મળ્યો છે. સ્થાનિક અનુભવી અને મજબૂત ચહેરો હોવાના કારણે પક્ષે રીપીટ કર્યા છે. પહેલેથી મનાઇ રહ્યું હતું કે પક્ષ તેમને રીપીટ કરશે.

10.ભરુચ - મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાના સતત 6 ટર્મનો અનુભવ છે. મનસુખ વસાવા સામે યોગ્ય ઉમેદવારનો અભાવ હોવાથી પક્ષે વિશ્વાસ મુક્યો છે. મજબૂત વિકલ્પ ન હોવાનો પણ લાભ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.  

11. અમરેલી- નારણ કાછડિયા
લોકો અને કાર્યકરોમાં 108 તરીકે જાણીતા હોવાનો લાભ મળ્યો છે. સ્થાનિક હોદેદારોના વિરોધ છતાં પક્ષે રીપીટ કર્યા છે. જ્ઞાતિગત સમીકરણોનો સીધો લાભ નારણ કાછડિયાને મળ્યો છે. 

12. રાજકોટ- મોહન કુંડારીયા
પાટીદાર અગ્રણી મોહન કુંડારીયાને રીપીટ કરવાનું નિશ્ચિત હતું. સ્થાનિક મજબૂત પાટીદાર ચહેરા હોવાનો લાભ મળ્યો છે. 

13. નવસારી- સીઆર પાટીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ સાંસદ છે. સીઆર પાટીલની ટિકિટ કન્ફ્રમ માનવામાં આવતી હતી. નવસારી લોકસભામાં સૌથી વધુ વિકાસ કાર્યોનો લાભ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

14. વલસાડ- કે સી પટેલ
હનીટ્રેપ વિવાદ છતાં ભાજપે રીપીટ કર્યા છે. વલસાડ બેઠક જીતનાર પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે. કે સી પટેલની સામે તેમના ભાઇ દાવેદાર હતા. બંને ભાઇઓમાંથી કોઇ એકને પક્ષ આપે ટિકિટ આપે તે નક્કી હતું. 

15. સાબરકાંઠા- દિપસિંહ રાઠોડ
સ્થાનિક મજબૂત ચહેરા હોવાનો લાભ મળ્યો છે. સ્થાનિક સમીકરણોના આધારે પક્ષે રીપીટ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દિપસિંહ રાઠોડને બદલવાને લઇને પક્ષમાં અસમંજસ હતી.  

16. વડોદરા - રંજનબેન ભટ્ટ
રંજનબેનને બીજી વાર નસીબનો સાથ મળ્યો છે. ભાજપના ગઢ સમાન વડોદરા બેઠક પર ભાજપે રીપીટ કર્યા છે. જ્ઞાતિગત સમીકરણ અને મહિલા ચહેરા તરીકે પક્ષની પસંદગી બન્યા છે.

ભાજપે 46 ઉમેદવારોની કરી જાહેરાત, સુમિત્રા મહાજન સહિત અનેક નેતાના પત્તા સાફ

આ સાથે લોકસભા ચૂંટણીના ઉમેદવારો સાથે ગુજરાતની ત્રણ વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news