જેતપુરમાં પ્રદુષણ માફિયા બેફામ! ભાદરને બચાવવા ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જંગે ચઢ્યું, કરી આ માંગણી

જેતપુરની ભાદર નદીમાં ભૂગર્ભ ગટર દ્વારા દૂષિત પાણી ઠાલવતા આવા પ્રદુષણ માફિયા સામે પગલાં લેવા અને ભૂગર્ભ ગટરના કનેક્શન કાપીને કાયદેસરની કાર્યવાહી કરવા GPCB અને નગરપાલિકાને અપીલ કરેલ છે.

જેતપુરમાં પ્રદુષણ માફિયા બેફામ! ભાદરને બચાવવા ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જંગે ચઢ્યું, કરી આ માંગણી

ઝી બ્યુરો/જેતપુર: જેતપુરની ભાદર નદીને પ્રદુષિત કરતા પ્રદૂષણ માફિયા સામે પગલાં લેવા હવે ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પણ કડક બન્યું છે. જેતપુરની ભાદર નદીમાં ભૂગર્ભ ગટર દ્વારા દૂષિત પાણી ઠાલવતા આવા પ્રદુષણ માફિયા સામે પગલાં લેવા અને ભૂગર્ભ ગટરના કનેક્શન કાપીને કાયદેસરની કાર્યવાહી કરવા GPCB અને નગરપાલિકાને અપીલ કરેલ છે.

રાજકોટ જિલ્લાના જેતપુરનો સાડી ઉદ્યોગ જેટલો પ્રખ્યાત છે. તેટલો જ ભાદર નદીમાં પ્રદુષણ બાબતે બદનામ છે. સાડીઓના કારખાનાઓનું ગંદુ કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલયુક્ત પાણી વહન કરવાની ગટરો જ બંધ કરી દીધી. અને દરેક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી શહેરના જુદીજુદી જગ્યાએ આવેલ વોટર કલેક્શન સંપમાં ટેન્કર મારફત નંખાવવાનો અમલવારી કરાવવામાં આવી રહી છે.

પરંતુ કેટલાક પ્રદુષણ માફિયાઓ હજુ પણ તેમના યુનિટોનું કેમિકલયુક્ત પાણી નદી, તેમજ ખુલ્લી ગટરો તેમજ ભૂગર્ભ ગટરમાં વહાવી દઈને ભાદર નદીને પ્રદુષિત કરી રહ્યા છે, અને ક્યારેક તો રસ્તા ઉપર પાણી જોવા મળે છે, તેમાંય તાજેતરમાં પડેલ સારા વરસાદથી અત્યારે ભાદર નદી સ્વચ્છ અને તાજા પાણીથી ભરેલ છે. નદીના આ સ્વચ્છ પાણીમાં કેટલાક પ્રદુષણ માફિયાઓ ભૂગર્ભ ગટરમાં તેમના કારખાનાનું પાણી છોડી તે પાણી સીધું નદીમાં ઠાલવી રહ્યા છે.

આ અંગે પ્રદુષણ બોર્ડના અધિકારી વીબી વાંકાણીએ જણાવેલ કે, અમોએ તો નગરપાલિકાને પેલાંથી જ લેખિતમાં સૂચના આપેલ છે કે ઔદ્યોગિક વિસ્તારમાં ભૂગર્ભ ગટર જ ન નાંખવી અને નાંખી હોય તો જોઇન્ટ જ ન આપવો તેમ છતાં નગરપાલિકા કારખાનાઓને ભૂગર્ભ કનેક્શન આપે છે અને આવા કારખાનાઓ નદીમાં પ્રદુષણ ફેલાવે છે. જ્યારે જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ પણ પ્રદુષણ બોર્ડ જેવો જ જવાબ આપીને વધુમાં જણાવેલ કે અમોએ નગરપાલિકાને લેખિતમાં આપેલ છે કે સાડી ઉદ્યોગના તમામ કારખાનાઓના કનેકશન કાપી નાખો. 

જ્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવેલ કે, અમોને પ્રદુષણ બોર્ડ કારખાનાઓને કનેક્શન જ ન આપવા સૂચન કરેલ અને ડાઇંગ એસોસિએશને કનેકશન આપેલ હોય તે કાપી નાખવા લેખિત રજુઆત કરી છે અને અમોએ ઉપલા અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરેલ છે કે હવે નવા કારખાનાઓને ભૂગર્ભ ગટરના કનેકશન ન આપવા. અને જેટલા કારખાનાઓને ભૂગર્ભ કનેક્શન આપેલ તેઓ ગટરમાં પાણી છોડે છે તેવી ફરીયાદ બાદ અમો જીપીસીબીને સાથે રાખીને તપાસ કરી તે કારખાનાનું ભૂગર્ભ ગટરનું કનેક્શન કાપી નાખીએ છીએ.

આમ, દરેક કચેરીઓ પ્રદુષણ બાબતે એકબીજાની જવાબદારીઓથી હાથ ખંખેરી રહી છે, અને તેનો ફાયદો પ્રદુષણ માફિયાઓ ઉઠાવી ભાદર નદીના તાજા અને સ્વચ્છ જળને પ્રદુષિત કરી રહ્યા છે. જો આવા કારખાનાઓ ઉપર તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહિ આવે તો તાજું વરસાદી પાણીથી ભરેલ ભાદર નદી કેમિકલ યુક્ત પાણીથી ભરાય જાય તો નવાઈ નહિ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news