'ભગવાન મારું કામ કરતા નથી', કહીને ભક્તે સળગાવ્યા ત્રણ મંદિર....પોલીસ તપાસમાં મોટો ખુલાસો

ભૂતપૂર્વ સરપંચ અરવિંદ સરવૈયા નામના વ્યક્તિએ ભગવાન તેનું કામ કરતા ન હોવાથી મેલડી માતાજી, રામાપીર અને વાસંગી દાદાના મંદિરે આગ લગાડી મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. જેથી આ સમગ્ર મામલે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવનારા 63 વર્ષીય કાનજી મેઘાણી નામના વ્યક્તિએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 295, 435 અંતર્ગત પોલીસ ફરિયાદ..

'ભગવાન મારું કામ કરતા નથી', કહીને ભક્તે સળગાવ્યા ત્રણ મંદિર....પોલીસ તપાસમાં મોટો ખુલાસો

Jiyana village: રાજકોટ જિલ્લાના જીયાણા ગામના જ ભૂતપૂર્વ સરપંચ અરવિંદ સરવૈયા નામના વ્યક્તિએ ભગવાન તેનું કામ કરતા ન હોવાથી મેલડી માતાજી, રામાપીર અને વાસંગી દાદાના મંદિરે આગ લગાડી મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. જેથી આ સમગ્ર મામલે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવનારા 63 વર્ષીય કાનજી મેઘાણી નામના વ્યક્તિએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 295, 435 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસના અંતે જીયાણા ગામના ભૂતપૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસ તપાસમાં આરોપીની માનસિક રીતે પીડાતો હોવાનું સામે આવ્યું છે. બે ત્રણ વર્ષ પૂર્વે અરવિંદ સરવૈયાની પત્ની અને તેના બાળકો જમીન સહિતની મિલકતો પોતાના નામે કરાવીને ગામમાંથી જતા રહ્યા છે. ત્યારબાદ અરવિંદ સરવૈયા દ્વારા ભુવા પાસે સ્થિતિ સારી થાય તે બાબતની વિધિ કરાવવામાં આવી હતી. છતાં ભગવાન પોતાનું કામ નહીં કરવાના કારણે રોષે ભરાઈ જઈ રામાપીરના મંદિર ખાતે મૂર્તિઓના ગળામાં ટાયરોનો હાર પહેરાવી ટાયરોને સળગાવી નાખી મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે મેલડી માતાજીના મંદિરમાં લાકડા સળગાવી મેલડી માતાની છબીને નુકસાન પહોંચાડ્યું હોવાનું તેમજ વાસંગી દાદાના બંધ મંદિર બહાર કપડાના ગાભા સળગાવી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. 

સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં એસીપી ઉત્તર વિભાગ આર.એસ.બારીયાના જણાવ્યા પ્રમાણે આરોપી અરવિંદ સરવૈયા ગામનો ભૂતપૂર્વ સરપંચ છે. બે ત્રણ વર્ષ પૂર્વે તેની પત્ની અને તેના બાળકો તેને છોડીને જતા રહ્યા છે. ત્યારબાદથી તે માનસિક રીતે પીડાઈ રહ્યો છે. પોતે પત્ની અને બાળકો જતા રહ્યા બાદ સ્થિતિ અંગે ભુવાઓના સંપર્કમાં હોવાનું અને તેમની પાસે વિધિ વિધાન પણ કરાવતો હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યો છે. આરોપીએ ગત સોમવારના રોજ રાત્રિ દરમિયાન જીયાણા ગામ ખાતે આવેલા જુદા જુદા ત્રણ મંદિરો ખાતે આગ લગાડી મૂર્તિઓને નુકસાન પહોંચાડી તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, સોમવારના રોજ સવારના સમયે રામાપીરના મંદિર ખાતે લોકો દર્શન કરવા જતા જાણ થઈ હતી કે રામાપીરના મંદિરની અંદર ટાયર મૂકી સળગાવીને રામાપીરની મૂર્તિ નષ્ટ કરવામાં આવી છે. તો સાથે જ બંગલા વાળી મેલડી માતાના મંદિર ખાતે પણ લાકડા સળગાવી મેલડી માતાની છબી સળગાવીને નષ્ટ કરી નાખવામાં આવી છે. જ્યારે કે ગામમાં વાસંગી દાદા ના મંદિરે તાળું મારેલું હતું ત્યારે મંદિરની બહાર કપડાના ગાભા સળગાવીને લોકોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.

જીયાણા ગામના સુત્રોના જણાવ્યા અનુસાર એક સમયે અરવિંદ સરવૈયા ખૂબ જ ધાર્મિક લાગણી દેવી-દેવતાઓ પ્રત્યે ધરાવતો હતો. જે ત્રણેય મંદિરોમાં તેને દુષ્કૃત્ય આચર્યું છે તે તમામ જગ્યાએ તે પૂજાપાઠ પણ કરતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news