180નાં દાવા વચ્ચે 45 કિમી ઝડપે પવન ફૂંકાતા જ જૂનાગઢ રોપવેનું સંચાલન બંધ

180નાં દાવા વચ્ચે 45 કિમી ઝડપે પવન ફૂંકાતા જ જૂનાગઢ રોપવેનું સંચાલન બંધ

- 9.30 વાગ્યે પવન ધીમો પડ્યા બાદ રોપવે ધીમી સ્પીડથી શરૂ કરાયો
- ઉંચી ફી વસુલતી કંપની અકસ્માતની સ્થિતીમાં વળતર અંગે મૌન
- 180 કિ.મી પવનની સ્પીડ છતા રોપ વેના સંચાલનનો દાવો કરાયો

જૂનાગઢ: ગિરનાર પર્વર પર શરૂ કરવામાં આવેલા રોપવેને શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી બંધ કરી દેવાની નોબલ આવી હતી. ભારે પવન ફૂંકાતા આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. દરમિયાન આ સાથે અગાઉ કરેલા 180 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાય તો પણ વાંધો ન આવે તેવા સ્ટ્રક્ચરના દાવાનો ફિયાસ્કો થયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવાયેલા ગિરનાર ટેમ્પલ રોપવેને 24 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલી ઉદ્ધાટન સાથે ખુલ્લો મુક્યો હતો. 

દરમિયાન રોપવેની ટિકિટના ઉંચા ભાવના કારણે લોકોમાં રોષ છે. આ મુદ્દે અનેક સંસ્થાઓ દ્વારા લડાઇ પણ ચલાવાઇ રહી છે. આગામી દિવસોમાં લડત વધારે ઉગ્ર બનાવવાની માંગ બની રહી છે. એક વિવાદ ઉભો છે ત્યા બીજી ક્ષતિ સામે આવી છે. રોપવે દ્વારા અગાઉ એવો દાવો કરાયો હતો કે રોપવેનું સ્ટ્રક્ચર એ પ્રકારે તૈયાર કરાયું છે કે, 180 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો પણ રોપવેનું સંચાલન શક્ય છે. 

બીજી તરફ ગુરૂવારે રાત્રે 11 વાગ્યાથી જ ગિરનાર પર્વત પર 45 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પરિણામે રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને રોપવેને બંધ કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 9.30 વાગ્યા બાદ પવનની ઝડપ ઘટતા પ્રથમ ધીમી સ્પીડથી અને ત્યાર બાદ નોર્મલ સ્પીડથી રોપવે શરૂ કરવામાં આવ્યો છે. 

આ પ્રકારે માત્ર 45 કિલોમીટરની સ્પીડમાં જ રોપવે બંધ કરાની નોબર આવી છે. ઉષા બ્રેકો દ્વારા મોટા મોટા દાવાઓ  વચ્ચે સ્થિતી વિપરિત બની છે. સહેલાણીઓ પણ અટવાઇ પડ્યા છે. બીજી તરફ ઉષા બ્રેકો કંપની ખુબ જ ઉંચા ભાવે મુસાફરો પાસેથી વસુલી કરી રહી છે. જો કે કોઇ પણ અકસ્માતમાં પ્રવાસીઓનાં જોખમ અને વળતર અંગે કોઇ જ માહિતી આપવામાં આવતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news