કચ્છમાં માતાના મઢમાં યોજાઈ પત્રીવિધિ, રાજાશાહી પરંપરા પ્રમાણે યોજાતી આ વિધિનો શું છે મહિમા?

કચ્છના માતાના મઢ ખાતે આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે નવરાત્રી દરમિયાન આઠમના દિવસે પત્રીવિધિ કરવામાં આવી હતી. 450 વર્ષથી થતી આ વિધિ આ વર્ષે પણ બે વખત યોજવામાં આવી હતી.

કચ્છમાં માતાના મઢમાં યોજાઈ પત્રીવિધિ, રાજાશાહી પરંપરા પ્રમાણે યોજાતી આ વિધિનો શું છે મહિમા?

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કુળદેવી મા આશાપુરાના મઢ માતાના મઢ મંદિરે આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પત્રીવિધિ યોજવામાં આવી હતી. કચ્છનાં અંતિમ મહારાવ સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજાએ માંના ચરણોમાં ઝોળી ફેલાવી પત્રીવિધિનો પ્રસાદ મેળવ્યો હતો. તો ત્યાર બાદ મહારાણી પ્રિતિદેવીના આદેશ અનુસાર તેરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજાએ પણ પત્રીવિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. પત્રીવિધિ પૂર્વે ચાચરાકુંડથી ચામર યાત્રા પણ નીકળી હતી.

No description available.

કચ્છના માતાના મઢ ખાતે આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે નવરાત્રી દરમિયાન આઠમના દિવસે પત્રીવિધિ કરવામાં આવી હતી. 450 વર્ષથી થતી આ વિધિ આ વર્ષે પણ બે વખત યોજવામાં આવી હતી. સવારના કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજા દ્વારા પત્રીવિધિ કરવામાં આવી હતી. તો ત્યાર બાદ સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર તેમના પ્રતિનિધિ તરીકે તેરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજાએ પત્રીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા.

દર વર્ષે આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજપરિવાર તરફથી અગાઉ મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે નહાવા પધારે અને ત્યાર બાદ ચાચરા ભવાનીના મંદીરમાં પૂજા કરતા હોય છે. ત્યાર બાદ માં આશાપુરા માતાજીના મંદીરમાં માતાજીનો ભુવો પત્રી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે અને અન્ય જાગરીયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાવ પોતાની પછેડીનો ખોળો પાથરી પત્રી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે. અને જ્યાં સુધી પત્રી મહારાવના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.

No description available.

આ વર્ષે રાજવી પરિવારનાં હનુવંતસિંહ જાડેજાએ આજે ચાચારાકુંડથી ચામર લઈને માતાજીના આશીર્વાદ લેવા માટે આશાપુરા મંદિરે પહોંચ્યા હતા. નિજમંદિરમાં માતાજીના ધૂપ દીપ પછી કચ્છનાં વિકાસ માટે, ઉન્નતિ માટે માતાજી પાસે ખોળો પાથરીને વિનતી કરી હતી. માં મને આશીર્વાદ આપો ત્યારે માતાજીના મસ્તક પરથી પત્રી તે આશીર્વાદ રૂપે ખોળામાં અથવા ખેસમાં આવે છે અને એ આશીર્વાદ લેખાય છે. આવી પરંપરા રાજાશાહીનાં સમયથી ચાલી આવે છે

450 વર્ષના ઇતિહાસમાં માતાના મઢ ખાતે ફરી આ વર્ષે પણ બે વાર પતરી વિધિ થઈ છે. સવારે મહારાવના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજાએ પત્રીવિધિ કરી પ્રસાદ ઝીલ્યો હતો. તો ત્યાર બાદ બીજી વાર સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર તેરા ઠાકુર મયુરધ્વજસિંહે પ્રસાદ ઝીલ્યો હતો.

તેરા ઠાકુર મયુરધ્વજસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે,"પાંચમના દિવસે ટિલામેડી ખાતે ચામર પૂજા કરીને સાતમના દિવસે માતાના મઢ ખાતે આવે છે અને આઠમના દિવસે ચામર યાત્રા નીકળીને માતાજી પાસે પત્રીવિધિની પૂજા કરવામાં આવે છે.તેમજ માતાના ચરણોમાં ચામર મૂકવામાં આવે છે અને કચ્છ અને કચ્છી વાસીઓ માટે તેમની શાંતિ, સમૃધ્ધિ અને સુખાકારી માટે આ વિધિ કરવામાં આવે છે અને માં આશાપુરા બધાની રક્ષા કરે તેના માટે પૂજા કરવામાં આવે છે.જેના ફળ સ્વરૂપે માં પતરી આપીને આશીર્વાદ આપે છે.દરેક કચ્છી ભાઈ બહેન વતી આ પૂજા રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે.

No description available.

હનુવંતસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે," રાજ પરિવાર દ્વારા ચાલી આવતી સેંકડો વર્ષોની પરંપરા આજે તેમના દ્વારા નિભાવવામાં આવી છે.માં આશાપુરાના આશીર્વાદથી સારી પત્રી મળી છે. માતા પાસે કચ્છની પ્રજાની સુખાકારી અને સદ્બુદ્ધિ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.હનુવંતસિંહ જાડેજા તેમના દીકરા પ્રતાપસિંહ જાડેજા અને 2 પૌત્ર મેઘદીપ સિંહ જાડેજા અને મહિદીપસિંહ જાડેજા એમ 3 પેઢી મળીને આજે આ વિધિ કરવામાં આવી છે.

સમગ્ર કચ્છ અને જિલ્લા બહાર વસતા લાખો લોકોએ આ ઐતિહાસિક વિધીને લાઈવ નિહાળી મા ના પરચાના દર્શન કર્યા હતા તો આ પતરી વિધિ દરમિયાન રાજ પરિવારના સભ્યો, નલિયાના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા તેમજ રાજ પરિવારના સભ્યો અને માતાના મઢ જાગીરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news