152 થી વધુ બગીચાઓના નિર્માણ સાથે “ગ્રીન ગુજરાત” અભિયાનમાં રાજકોટ અગ્રેસર

હાલના ગ્રીનહાઉસ ઇફેકટ અને ગ્લોબલ વોર્મીંગના સમયમાં કલાયમેટ ચેન્જને નિયંત્રણમાં રાખવા વિશ્વમાં પર્યાવરણીય જતન માટે વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન અને સંવર્ધનનું મહત્વ અગ્રેસર રહયું છે

152 થી વધુ બગીચાઓના નિર્માણ સાથે “ગ્રીન ગુજરાત” અભિયાનમાં રાજકોટ અગ્રેસર
  • મંત્રી જયેશ રાદડીયાના હસ્તે વૃક્ષારોપણ
  • ઘરે ઘરે વૃક્ષોનું વાવેતર કરવા લોકોને અપીલ

ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની જીલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે રાજકોટ શહેર સ્થિત મહર્ષી અરવિંદ કોમ્પલેક્ષ સામેના મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે વૃક્ષારોપણ, અને રોપા વિતરણ દ્વારા કરાયો હતો. જેમાં ૧૫૨ થી વધુ બગીચાઓના નિર્માણ સાથે “ગ્રીન ગુજરાત” અભિયાનમાં રાજકોટ અગ્રેસર રહ્યું હતું. 

હાલના ગ્રીનહાઉસ ઇફેકટ અને ગ્લોબલ વોર્મીંગના સમયમાં કલાયમેટ ચેન્જને નિયંત્રણમાં રાખવા વિશ્વમાં પર્યાવરણીય જતન માટે વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન અને સંવર્ધનનું મહત્વ અગ્રેસર રહયું છે. પર્યાવરણીય અસંતુલનને નિયંત્રણમાં લાવવા સમગ્ર વિશ્વ જયારે ભારત તરફ મીટ માંડી રહયું હોય ત્યારે વૃક્ષોને દેવતુલ્ય માનતા ભારતીય સંસ્કૃતિના વાહક નાગરિકો વૃક્ષારોપણ સાથે તેના જતન અને સંવર્ધન માટે ઉત્સાહભેર સહભાગી બને તે માટે વિશ્વ પર્યાવરણ દિનની પ્રતિવર્ષ ઉજવણી રાજય સરકાર દ્વારા થઇ રહી છે.

મંત્રી રાદડિયાએ વૃક્ષોનું જીવનમાં મહત્વ દર્શાવતા જણાવ્યું હતું કે સાંપ્રત કોરાના મહામારીના સમયે પર્યાવરણીય શુધ્ધીકરણ અને વૃક્ષોના જતન અને સંવર્ધનની કિંમત લોકોને સમજાઇ છે. શુધ્ધ ઓકસીજન માટે, વાતાવરણની શુધ્ધી માટે વધારેમાં વધારો વૃક્ષો  ઉછેરાય તે જરૂરી છે. રાજય સરકાર પણ આ માટે સતત પ્રયત્નશિલ છે. ત્યારે આપણા ભવ્ય સાંસ્કૃતિ વારસા મુજબ વૃક્ષોનું વાવેતર અને જતન સંવર્ધન માટે સૌ નાગરીકો સંકલ્પબધ્ધ બને તે આવશ્યક છે. હાલમાં જ વાવાઝેાડાને કારણે અનેક વૃક્ષોનો નાશ થયેલો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તમામ વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષોને ઉછેરવા કટ્ટીબધ્ધ બનવા અનુરોધ કર્યો છે. જેથી ગ્રીન ગુજરાતની સંકલ્પના પરિપૂર્ણ કરી શકાય.

રાજકોટને સાંસ્કૃતિક રામવનનું નવલું નઝરાણું ભેટ
રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ એ રાજકોટમાં વૃક્ષારોપણની માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં જ કુલ ૧૫૨ નાના મોટા બગીચાઓનું નિર્માણ કરાયું છે અને વધુ ૬ બગીચાઓ તૈયાર કરાયેલ છે. ગયા વર્ષે જ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રાજકોટને સાંસ્કૃતિક રામવનનું નવલું નઝરાણું ભેટ ધર્યું છે.ઉલ્લેખનીય છે કે રાજકોટના આજી ડેમ પાસેના વિસ્તારમાં ૪૭ એકરમાં નિર્માણ થઇ રહેલ રામવનમાં તીર્થકર વન, નક્ષત્ર વન અને રાશિ વન માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગરૂપ ઔષધીય વનના ભાગો વનવિભાગના માર્ગદર્શન હેઠળ વિકસિત કરાઇ રહેલ છે. જે રાજકોટવાસીઓને ફરવાલાયક એક નવું સ્થળ બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news