અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા

અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા
  • ઐતિહાસિક પાવગઢ પરિક્રમા 2 જી જાન્યુઆરીના રોજ પાવગઢથી શરૂ થશે
  • ગુજરાતની એકમાત્ર રજિસ્ટ્રેશન ધરાવરી પરિક્રમા છે
  • 44 કિમી લાંબો રૂટ ધરાવતી પરિક્રમા બે દિવસમાં પૂર્ણ થાય છે
  • એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પાવગઢ પરિક્રમા કરવાથી મળે છે
  • ઋષિ વિશ્વામિત્રએ સૌ પ્રથમ પાવગઢની પરિક્રમા કરી હતી
  • પાવગઢ પર્વતનો આકાર શ્રીયંત્ર રૂપે હોઈ આ પરિક્રમાથી શ્રીયંત્રની પરિક્રમાનું ફળ મળે છે

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :આગામી 2, જાન્યુઆરીના રોજ પાવગઢની ઐતિહાસિક પરિક્રમા પુનઃ શરૂ થવા જઈ રહી છે. ઐતિહાસિક પાવગઢ પરિક્રમા વર્ષ 2016 થી પાવગઢ પરિક્રમા (pavagadh parikrama) સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત ભક્તો સાથે આંશિક રીતે ચાલી રહેલ ઐતિહાસિક પરિક્રમા હવે ફરી એક વખત પુનઃ પૂર્ણ જોશ અને ભક્તિભાવ (religious) સાથે હજારો પરિક્રમર્થીઓ સાથે શરૂ થવા જઈ રહી છે.

અંદાજીત 825 વર્ષ પહેલાં નિયમિત રૂપે થતી પાવગઢની પરિક્રમા વિશ્વામિત્ર ઋષિએ શરૂ કરી હતી. જેથી આ પરિક્રમા વિશ્વામૈત્રી પદયાત્રા તરીકે પણ ઓળખાય છે. પાવગઢ પર્વતની આકૃતિ શ્રી યંત્ર રૂપે હોય આ પરિક્રમા કરવાથી શ્રી યંત્ર પરિક્રમાનું ફળ મળતું હોવાની પણ શ્રદ્ધા છે. પાવગઢ પરિક્રમાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. કહેવાય છે કે પાવગઢ પરિક્રમા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળતું હોવાની શ્રદ્ધા છે. સદીઓ પહેલા આ પરિક્રમા અસંગઠિત રીતે ટુકડે ટુકડે થતી હતી. ત્યારબાદ સમયકાળના ચક્રની ગતિએ આ ઐતિહાસિક પરિક્રમા વિસરાઈ ગઈ હતી.

કાળની થપાટે ભુલાઈ ગયેલ પાવગઢની ઐતિહાસિક પરિક્રમા વર્ષ 2016 માં પાવગઢ પરિક્રમા સમિતિ દ્વારા સુવ્યવસ્થિત આયોજન સાથે શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં એકમાત્ર રજિસ્ટ્રેશન ધરાવતી આ પરિક્રમા છે. અત્યારસુધી એકમાત્ર અમરનાથ યાત્રા જ રજિસ્ટ્રેશન ધરાવતી પરિક્રમા હતી. પાવગઢ પરિક્રમા સમિતિના અધ્યક્ષ પરાગભાઈ પંડ્યા, જયેશભાઇ જોશી, મનોજભાઈ જોશી, અશોકભાઈ (ટીનાભાઇ) જોશી સહિતના સભ્યોએ ભેગા મળી પાવગઢ પરિક્રમા સમિતિની રચના કરી વિસરાઈ ગયેલ ઐતિહાસિક પાવગઢ પરિક્રમાને સંગઠિત રીતે વર્ષ 2016 માં પુનઃ શરૂ કરી હતી. આ પરિક્રમાને જગદીશભાઈ મહેશ્વરી(પપ્પી ભાઈ), રાજેન્દ્રભાઈ નાયક (ગડી ભાઈ), જીગર પટેલ સહિતના સભ્યો સમસ્ત પાવગઢના ગ્રામજનો તેમજ પરમ પૂજ્ય નારાયણ બાપુજીનો આશ્રમ તાજપુરા, સીતારામ સત્સંગ મંડળ સહિતની સંસ્થાઓ ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડવામાં સહયોગ કરે છે. પ્રથમ વર્ષે આ પરિક્રમામાં ઓછી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પરંતુ ત્યાર બાદ દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો આ પરિક્રમામાં જોડાયા હતાં. જ્યારે આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો જોડાય તેવી સંભાવનાઓ છે.

44 કિમી. લાંબી આ પરિક્રમા પાવગઢ તળેટીમાં આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરથી શરૂ કરી ટપલાવાવ, તાજપુરા થઈ કેદારેશ્વર મહાદેવ, ખૂણેશ્વર મહાદેવ અને પાછી વાઘેશ્વરી માતાના મંદિરે અને અંતિમ દિવસે પૂર્ણ થાય છે.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત ભક્તો સાથે ચાલી રહેલ પાવગઢ પરિક્રમા હવે પુનઃ પૂર્ણ રૂપે શરૂ થઈ રહી છે. આગામી 2 જાન્યુઆરી માગશર વદ અમાસના રોજ પરિક્રમાને પ્રસ્થાન કરાવવામાં આવશે. જેમાં ધર્મ જાગરણ વિભાગ પણ જોડાશે અને આ દિવસને પંચમહાલ ધર્મરક્ષા દિન તરીકે પણ ઉજવવામાં આવશે. પરિક્રમામાં જોડાવા માટે સમિતિની વેબ સાઇટ http://www.Pavagadhparikrama.In પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જેના બાદ સમિતિ દ્વારા સૂચક માર્ગદર્શન આપવામાં આવે છે. બે દિવસ ચાલનારી આ પરિક્રમા માટે આ વખતે કોરોના ગાઈડ લાઇનના પાલન માટે ખાસ આયોજન અને સૂચન કરવામાં પણ આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news