સંકલન સમિતિની સરકાર સાથેની બેઠક અનિર્ણિત રહેતાં એસટી કર્મચારીઓની હડતાળ યથાવત

વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા અને સંકલન સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી

સંકલન સમિતિની સરકાર સાથેની બેઠક અનિર્ણિત રહેતાં એસટી કર્મચારીઓની હડતાળ યથાવત

ગાંધીનગરઃ રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે એસટી કર્મચારીઓની હડતાળને પગલે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા અને સંકલન સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી. જોકે, આ બેઠક અનિર્ણિત રહેતાં એસટી નિગમના કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. એસટી નિગમના સંગઠને જણાવ્યું કે, સરકાર દ્વારા લેખિક બાંહેધરી આપવાની ના પાડવામાં આવતા આ બેઠક પડી ભાંગી હતી. 

આ અગાઉ અમદાવાદમાં એસટી મધ્યસ્થ કચેરી ખાતે એસટી નિગમના કર્મચારીઓની સંકલન સમિતિ અને એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા વચ્ચે બંધ બારણે એક બેઠકનું આયોજન કરાયું હતું. એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા સાતેની આ બેઠક બે કલાક કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી. જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

આ ચર્ચા થયા બાદ એસટી નિગમના નિયમક સોનલ મિશ્રા નિગમના કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગાંધીનગર રવાના થયા હતા. ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથે બેઠક બાદ સરકાર દ્વારા સંકલન સમિતિને વાટાઘાટો માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ દ્વારા એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે સંકલન સમિતિને ગાંધીનગર બોલાવાઈ હતી. આ બેઠકમાં સરકાર દ્વારા લેખિતમાં બાંહેધરી આપવાની ના પાડવામાં આવતાં એસટી નિગમના કર્મચારીઓની સંકલન સમિતિના સભ્યો બહાર નિકળી ગયા હતા. ત્યાર બાદ તેમણે હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news