અયોધ્યાને સમગ્ર દુનિયાનું કલ્ચરલ કેપિટલ બનાવીશું : સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજ 

અયોધ્યાને સમગ્ર દુનિયાનું કલ્ચરલ કેપિટલ બનાવીશું : સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજ 
  • BAPS સંસ્થા તરફથી 2 કરોડ રૂપિયાનું દાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને કરાયું
  • મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજને 2 કરોડ રૂપિયાનો ચેક અપાયો 

અતુલ તિવારી/અમદાવાદ :BAPS સંસ્થા તરફથી 2 કરોડ રૂપિયાનું દાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજને 2 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા. શ્રી મહંત સ્વામીના પ્રતિનિધિ તરીકે ઇશ્વરચરણ દાસ સ્વામી દ્વારા રૂપિયા 2 કરોડનો ચેક રામમંદિરના ભવ્ય નિર્માણ માટે સમર્પિત કરાયો છે. 

ઇશ્વરચરણ દાસ સ્વામી સમગ્ર BAPS સંસ્થાના કન્વીનર અને વરિષ્ઠ સંત છે. સીએમ વિજય રૂપાણીએ શાહીબાગ ખાતે આવેલી BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ હિન્દુ સમાજ અને ગુજરાત માટે મહત્વપૂર્ણ છે. ભગવાન રામના મંદિર માટે વર્ષોથી સંઘર્ષ થયો છે. સુપ્રિમ કોર્ટ શાંતિપૂર્ણ આખરે ઉકેલ આપ્યો, હવે મંદિરના ભવ્ય નિર્માણનું કામ શરૂ થયું છે. હિન્દુ સમાજ એક થઈને આ મંદિર આપણને પ્રેરણા આપે. ન જાતિ, ન ધર્મ... પણ રામ રાજ્યની જેમ સત્ય અને નિષ્ઠાનું સ્થાપન થાય. બધા પ્રાંતના બધા લોકો એક હોવાનો અનુભવ કરે. પ્રમુખ સ્વામીજીએ રામશીલાનું પૂજન કરી એ જ સમયે આશીર્વાદ આપ્યું હતું અને આજે મંદિર નિર્માણ માટે દાન કરાયું છે. દુનિયાભરમાં અનેક શ્રેષ્ઠ મંદિર બનાવ્યા છે, મંદિર નિર્માણ કમિટીમાં પણ BAPS સંસ્થા જોડાયેલી છે. ગુજરાત પહેલેથી જ રામ મંદિર બને એ માટે સંઘર્ષ કરતું રહ્યું છે, સોમનાથથી યાત્રા પણ નીકળી હતી. પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલ કરીને હવે જ્યારે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એવામાં આ મંદિરના નિર્માણમાં BAPS નું યોગદાન ખાસ રહેશે. ભૂતકાળમાં અનેક લોકો કહેતા ‘મંદિર વહી બનાયેંગે તારીખ નહિ બતાયેંગે...’ પણ હવે બધું સામે છે. 

તો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજે કાર્યક્રમમાં કહ્યું કે, સાબરમતીના તટ ઓર ગુજરાતની પાવન ભૂમિ પર આજે સ્વામિનારાયણ સંપ્રદાયના આ મુખ્યાલયમાં બેસીને હું આશીર્વાદ આપવાનું સાહસ ના કરી શકું, હું આશીર્વાદ લેવા આવ્યો છું. આ સ્થળથી યાત્રા શરૂ થઈ હતી. હું ભાગ્યશાળી છું કે, મેં બે વાર યોગીજીના દર્શન કર્યા છે. પ્રમુખ સ્વામીજીનો ખાસ પ્રેમ મને મળ્યો છે. ટોરેન્ટોમાં તેમનુ સ્વાગત પ્રવચન આપવાની તક મને મળી હતી. અહીંથી પ્રેરણા લઈને રામશીલાના પૂજન બાદ યાત્રા શરૂ થઈ. આરંભ ભલે સોમનાથથી થયો, એનો શ્રેય એ જ રહેશે. પણ ગંગોત્રીની ઉપર ગૌમુખ હોય છે, આ એ સ્થાન છે. બાબાઓ શું કરી શકે, પણ આ બાબાઓએ શુ પુરુષાર્થ કરીને બતાવ્યું છે આજે એ લોકો જુએ છે અને આશ્ચર્યમાં પડે છે. તમે જેટલા મંદિર બનાવ્યા એ રેકોર્ડ છે. સ્વામિનારાયણ સંપ્રદાયે જે કર્યું એ અન્ય કોઈ નથી કરી શક્યું. પ્રમુખ સ્વામીજીનું પ્રવચન સાંભળ્યું, મંદિર બને એ માટે તેમની તીવ્ર ઈચ્છા દેખાઈ રહી હતી. આ રાષ્ટ્ર મંદિર છે, ભગવાનના મંદિર તો ગામડે ગામડે હશે, પણ 492 વર્ષમાં 80 વાર યુદ્ધ કરીને અનેકોએ આ મંદિર માટે બલિદાન આપ્યું છે. ભગવાન શ્રીરામ રાષ્ટ્ર પુરુષ છે, ધર્મ સાથે એકરૂપ છે. 5 ઓગસ્ટ એ રાષ્ટ્ર મંદિરના નિર્માણનું કામ શરૂ થયું, એ માત્ર શીલાપૂજન ન હતું. આત્મનિર્ભરતા શબ્દ પીએમ મોદી અત્યારે બહુ વાપરે છે, પણ શ્રીરામમાં આપણે આત્મનિર્ભરતા જોઈ શકીએ છીએ. અયોધ્યાથી સેના ના મંગાવી, પણ જાતે જ સેના ઉભી કરી અને મહાન કાર્ય સ્વયંની હિંમતથી પૂર્ણ કર્યું. રામ મંદિરનું નિર્માણ ઉત્તમ થશે. જેનો આરંભ સંતોએ કર્યું છે એ તો ઉત્તમ જ થશે. એ પૂર્ણ થયા બાદ એ રોકાશે નહિ. પાડોશી એશિયાઈ દેશો સાથે સંપર્ક કરીશું અને એમને વિશ્વાસ અપાવીશું કે ભારતમાં આપનું કોઈ નથી એવું ના સમજશો, અયોધ્યામાં શ્રીરામ તમારા જ છે. અયોધ્યાને કલચરલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ બનાવીશું.

આ પણ વાંચો : રાજકોટમાં ચૂંટણી પ્રચાર બન્યો રંગીલો, કાર્ટુન કેરેક્ટર સાથે લોકો વચ્ચે ફર્યા ઉમેદવાર 

તેમણે વધુમા કહ્યું કે, અડવાણીજીએ સોમનાથથી જે યાત્રા કરી એ પહેલાં શિલાપૂજનનું કામ અહીં થયું હતું. અહીં દર્શન અને પ્રેરણા લેવા આવ્યો છું. નિધિ સમર્પણ એક પ્રતીક સ્વરૂપ છે. પહેલીવાર આવ્યો છું, પ્રણામ કરીને જઈશ. આજના આંકડા મુજબ 1,590 કરોડ રૂપિયા અત્યાર સુધી દાન પેટે મળ્યા છે. ગંગોત્રીને સૌ કોઈએ જોઈ હશે, એ જ રીતે રામ રથયાત્રા સોમનાથ મંદિરથી શરૂ થઈ, પણ એ પહેલાં શિલાપૂજન અહીં થયું હતું. અહીં શિલાપૂજન પછી સોમનાથથી યાત્રા શરૂ થઈ. વિના કોઈ સંકોચ સ્વામીજીએ લોકોને પ્રત્સાહિત કર્યા અને સંતોને પણ જગાવ્યા હતા.

ભગવાન શ્રીરામ વિશે તેમણે કહ્યું કે, થાઈલેન્ડમાં આજે પણ રામ રાજા કહેવામાં આવે છે. હાલ રામ 9નું રાજ ચાલે છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ હિન્દુઓ છે. તમામને ભગવાન શ્રીરામ અયોધ્યામાં છે એવો ભાવ જગાવીશું. ઈન્ટરનેશનલ મીડિયા અનેક ખોટી માહિતી ભારત વિશે પ્રસારિત કરે છે, પણ બહારથી પણ નવા લોકો આવશે તો સત્ય લોકો જાણશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news