Pramukh Swami Mahotsav : પ્રમુખસ્વામી મહારાજની 101 મી જન્મજયંતી: જ્યારે યુવા શાંતિલાલને બંધ પત્રમાં મેસેજ મોકલાયો હતો કે, સાધુ થવા આવી જાઓ

Pramukh Swami 101th Birth Anniversary : પ્રમુખ સ્વામી મહારાજને બાલ્યકાળમાં ક્રિકેટ રમવાનો ખુબ જ શોખ હતો, તેઓ પોતાનાં ગામ ચાણસદ ખાતે હંમેશા ક્રિકેટ રમતા
 

Pramukh Swami Mahotsav : પ્રમુખસ્વામી મહારાજની 101 મી જન્મજયંતી: જ્યારે યુવા શાંતિલાલને બંધ પત્રમાં મેસેજ મોકલાયો હતો કે, સાધુ થવા આવી જાઓ

Pramukh Swami 101th Birth Anniversary : વિશ્વ વંદનીય પરમપુજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજે 101 મી જન્મજયંતી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડનાર આ અદભૂત વ્યક્તિત્વ વિશે જાણવુ જરૂરી છે. પ્રમુખસ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક નાનકડા ગામે એટલે કે ચાણસદ ગામે થયો હતો. પ્રમુખ સ્વામીને ક્રિકેટ રમવાનો ખૂબ રસ હતો. પાદરાની એક સરકારી શાળામાં ભણતા શાંતિલાલથી પ્રમુખ સ્વામી મહારાજ બનવા સુધીની સફરની એક ઝલક...

વિક્રમ સંવત ૧૯૭૮ની માગશર સુદ ૮ ને ૭ ડિસેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનાં નાના સરખા ગામ ચાણસદમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. વ્યવસાયે ખેડુત એવા આ પરિવારના આ દીકરાને પ્રભુભક્તિ સિવાય બીજુ કોઈ સૂઝતુ ન હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ ચાણસદ ગામમાં જ થયું.

એક દિવસ એવું બન્યું કે...
શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. શાન્તિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું, ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી. તો તેમાં લખ્યું હતું. ‘સાધુ થવા આવી જાઓ.’ શાન્તિભાઈ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવીને કહ્યું, રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તિભાઈએ વિદાય દીધી.  

૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકત શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને આશરે બે મહિના બાદ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના દીવસે ગોંડલમાં ભાગવતી દીક્ષા આપતી વખતે તેમને નારાયણસ્વરૂપ દાસ સ્વામી નામ આપ્યું. તેમની સેવાભાવનાથી ગુરુએ તેમનામાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથેસાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી. પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપ દાસજી બન્યા. સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે પોતે સ્થાપેલી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુકત કર્યા.

યુનોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે. આજે સૌથી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વિશ્વ વિક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના નામે નોંધાયેલો છે.

આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દો તેમના જીવનકાળ દરમ્યાન પ્રમુખ સ્વામી મહારાજે વેઠ્યા હતા. જીવનના પાછલા વર્ષોમાં તેઓ પોતાન પગે ચાલી શકતા ન હતા. ટૂંકી માંદગી બાદ ૯૫ વર્ષની વયે ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના દીવસે સાળંગપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર સંકુલમાં બ્રહ્મલીન થયા હતા. 

૧૮૦૦૦થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો. ૨૫૦૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. ૯૦૯૦ જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા. ૫૫૦૦૦ સ્વયંસેવકોની ફોજ તૈયારી કરીને સમાજ સેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધુણી ધખાવી. હોસ્પીટલો-શાળાઓ બનાવીને નિરામય શિક્ષિત સમાજ તૈયાર કર્યો. સંન્યાસી હોવાને કારણે તેમણે સતત વિચરણ કર્યું. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં માનવ સહાય માટે અનન્ય પુરુષાર્થ કર્યો છે. કોમી રમખાણો, વિવિધ આંદોલનોમાં શાંતિ માટેના પ્રયાસો એમણે કર્યા છે. દહેજનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, ભૃણહત્યા નિવારણ જેવી કુરૂઢિઓ નાબૂદ કરવા સમાજને ફળદાયક સમજ આપી છે. સાક્ષરતાથી લઈને જળસંચય અભિયાન કે વ્યસન મુકિત આંદોલનો સુધી વ્યાપેલી આવી તો કંઈ કેટલીય સામાજિક સેવાઓમાં તેમણે અદ્વિતીય પ્રદાન આપ્યું છે.

પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ એટલે કે ચાણસદ ને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું પવિત્ર યાત્રાધામ બોર્ડમાં સમાવેસ કરવામાં આવ્યો છે. હાલ ચાણસ્મા ગામ અનેક શ્રદ્ધાળુઓ માટે તીર્થસ્થાન બન્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news