)
Watermelon In Diabetes: એ વાત તો સૌ કોઈ જાણે છે કે ડાયાબિટીસમાં મીઠી વસ્તુઓ ખાવી જોઈએ નહીં. મીઠી વસ્તુઓ ખાવાથી બ્લડ સુગર વધે છે. કેટલાક ફળ પણ એવા હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક ગણાય છે. આ ફળમાં કુદરતી રીતે જ સુગરનું પ્રમાણ વધારે હોય છે જો તેને ખાવામાં આવે તો શરીરમાં બ્લડ સુગર લેવલ વધી શકે છે. જોકે દરેક મીઠું ફળ હાનિકારક હોય છે તેવું પણ નથી. પરંતુ ડાયાબિટીસ હોય ત્યારે કોઈપણ વસ્તુ ખાતા પહેલા વિચાર જરૂરથી આવે કે આ વસ્તુ ખાવી યોગ્ય છે કે નહીં. જેમકે ગરમીના દિવસોમાં બોડીને હાઇડ્રેટ રાખતું તરબૂચ.
મીઠા મીઠા તરબૂચ ડાયાબિટીસમાં ખાવા જોઈએ કે નહીં તેને લઈને લોકોના મનમાં કન્ફ્યુઝન હોય છે. ઉનાળા દરમિયાન તરબૂચ ખાવાથી ફાયદા તો ઘણા થાય છે પરંતુ લોકોને એ વાત ખબર નથી હોતી કે ડાયાબિટીસના દર્દીઓ માટે તરબૂચ સારું છે કે ખરાબ. જો તમારા મનમાં પણ આ કન્ફ્યુઝન હોય તો આજે તમને જણાવી દઈએ કે તરબૂચ ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે કે નહીં?
એક ડેટા અનુસાર એક બાઉલ એટલે કે 150 ગ્રામ થી વધારે તરબૂચમાં 9.42 ગ્રામ નેચરલ સુગર હોય છે. સાથે જ તેમાં 11.5 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. તરબૂચમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફળોની સરખામણીમાં ઓછું હોય છે. ટૂંકમાં કહીએ તો સંતુલિત ભોજનની સાથે તરબૂચને મર્યાદિત માત્રામાં ખાઈ શકાય છે.
તરબૂચ ખાવાથી બ્લડ સુગર વધે ?
તરબૂચ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ વધે કે નહીં તે વાતનો આધાર કેટલી માત્રામાં તરબૂચ ખાવામાં આવે છે તેના પર હોય છે. જો ડાયાબિટીસમાં વ્યક્તિ બેલેન્સ ડાયટને ફોલો કરે છે અને દિવસ દરમિયાન આ ડાયટના ભાગરૂપે મર્યાદિત માત્રામાં તરબૂચ ખાય છે તો બ્લડ સુગર લેવલ પર નકારાત્મક અસર થતી નથી.
તરબૂચ ખાવાથી થતા ફાયદા
ડાયાબિટીસના દર્દીઓને કાર્ડિયો વેસ્ક્યુલર ડિસીઝની સમસ્યા વધારે રહેતી હોય છે. આ સ્થિતિમાં તરબૂચને મર્યાદિત માત્રામાં ખાવાથી ફાયદો થઈ શકે છે. તરબૂચને લાલ રંગ આપતું લાયકોપિન શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ હોય છે. એક રિસર્ચ અનુસાર લાયકોપિન કાર્ડિયો વેસ્ક્યુલર ડિસિઝના જોખમને ઘટાડવાનું કામ કરે છે. એટલે કે જો ઓછી માત્રામાં રોજ તરબૂચ ખાવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને તેનાથી ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)