IAFએ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરવાની કરી ભલામણ

અભિનંદન વર્તમાનના મુદ્દે જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા સતત મળી રહેલી ધમકીઓનાં પગલે તેમની બદલી કરી દેવાઇ છે

IAFએ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરવાની કરી ભલામણ

નવી દિલ્હી : ભારતીય વાયુસેના (IAF)એ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વોર ટાઇમ ગેલેન્ટ્રી મેડલ વીર ચક્ર આપવા માટેની ભલામણ કરી છે. આ સાથે જ ભારતીય વાયુસેનાએ અભિનંદનને સુરક્ષા કારણોથી શ્રીનગર એરબેઝથી ટ્રાન્સફર કરી દીધું છે. મળતી માહિતી અનુસાર કાશ્મીર ખીણમાં અભિનંદનની સુરક્ષાને ધ્યાને રાખી તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર અભિનંદન વર્તમાનને વેસ્ટર્ન સેક્ટરનાં કોઇ મહત્વનાં એરબેઝ પર મોકલી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા અભિનંદન મુદ્દેવારંવાર ધમકીઓ મળી રહી હતી. 

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને 27 ફેબ્રુઆરીએ દેશની સીમામાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલ પાકિસ્તાની ફાઇટર પ્લેનને ખદેડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. અભિનંદને આ ડોગ ફાઇટ દરમિયાન અમેરિકાનું અત્યાધુનિક એફ-16 વિમાન તોડી પાડ્યું હતું. જો કે આ દરમિયાન તેમનું પ્લેન પણ દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેના કારણે તેઓ પીઓકેમાં ઇજેક્ટ થયા હતા. જ્યાં સેનાએ તેમને પકડી લીધા હતા. 

ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત સરકાર દ્વારા કરાયેલા દબાણ અને વૈશ્વિક દબાણના પગલે પાકિસ્તાને અભિનંદન વર્તમાનને 1 માર્ચના રોજ મુક્ત કર્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદથી જ અભિનંદન વર્તમાન જૈશ એ મોહમ્મદનાં નિશાન પર આવી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news