2024ની ચૂંટણીમાં ભાજપ માટે આસાન નથી રાહ, બાજી પલટી શકે છે આ સમીકરણો

Loksabha Election 2024: દેશમાં આગામી વર્ષ એટલે કે 2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા નામથી નવુ ગઠબંધન બનાવી લીધુ છે. જ્યારે  ભારતીય જનતા પાર્ટી જીતની હેટ્રિક ફટકારવા માટે તૈયારી કરી રહી છે. 

2024ની ચૂંટણીમાં ભાજપ માટે આસાન નથી રાહ, બાજી પલટી શકે છે આ સમીકરણો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી ભાજપ પીએમ મોદીના ચહેરાને ધ્યાને રાખીને લડે છે. મોદીના નામે 2014 અને 2019ની વૈતરણી પાર પાડનાર ભાજપ માટે 20024ની ચૂંટણી આસાન નહીં હોય. INDIA ગઠબંધનમાં દરાર ના પાડી તો ભાજપ માટે લક્ષ્યાંક ભારે પડશે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સમીકરણો અલગ અલગ હોવા છતાં પીએમ મોદી અને શાહ પોતાના સમીકરણો ગોઠવી રહ્યાં છે. આજે દિલ્હીમાં 5 રાજ્યોની ચૂંટણી પહેલાં ચૂંટણી સમીતિની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં મુખ્ય ફોકસ રાજસ્થાન, એમપી અને છત્તીસગઢની ચૂંટણી છે. એમપી સિવાયના મુખ્ય 2 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. ભાજપે લોકસભામાં વન વે જીત મેળવી છે પણ નીચે પ્રમાણેના સમીકરણો રહ્યાં તો ભાજપ માટે રાહ આસાન નહીં હોય. મોદી અને શાહ 2024ની ચૂંટણીમાં વન વે જીતના દાવા કરી રહ્યાં છે પણ જાણી લો શું આવી શકે છે સમસ્યાઓ.....

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 282 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી અને 2019ની લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. મહારાષ્ટ્રની 48, કર્ણાટકની 28, બિહારની 40 અને પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકો સહિત કુલ 158 બેઠકો છે. જે સૌથી વધારે અગત્યની છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધને અહીંથી 124 બેઠકો જીતી હતી. જેમાં મહારાષ્ટ્રમાં તેના સહયોગી શિવસેનાની 18 બેઠકોનો સમાવેશ થાય છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા 135 સીટો જીતી છે. જ્યાં પાર્ટી 21 લોકસભા સીટો પર આગળ હતી. બીજી તરફ ભાજપ માત્ર 4 સીટો પર લીડ લઈ શકી હતી. આ 2019 (26 બેઠકો) ની સરખામણીમાં 22 બેઠકોનો ઘટાડો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનું એનસીપી અને કોંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડીમાં જોડાવું પણ ભાજપ માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. ઘણા સર્વે મહારાષ્ટ્રમાં આઘાડીને 30 થી 35 સીટો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ અહીં એક ડઝન બેઠકો સુધી મર્યાદિત રહી શકે છે. એટલે જ ભાજપ શરદ પવારને ગઠબંધનમાંથી તોડી લાવવા માટે  પ્રયાસો કરી રહ્યું છે. અહીં શરદ પવારના સહયોગ વિના 35થી 40 સીટો જીતવી ભાજપ ગઠબંધન માટે અઘરું છે. 

બિહાર અને બંગાળમાં ભાજપ માટે રસ્તો નથી આસાન 
બિહારમાં નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એકસાથે લડી રહ્યા હોવાથી મજબૂત સામાજિક સમીકરણ તૈયાર છે. અહીં એનડીએને ગત વખતે 39 બેઠકો મળી હતી. આ વખતે તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવું અશક્ય લાગી રહ્યું છે. બીજી તરફ, મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી પશ્ચિમ બંગાળમાં મજબૂત બની છે. જો ભાજપ પોતાનું અગાઉનું પ્રદર્શન (18 લોકસભા બેઠકો) જાળવી રાખવામાં નિષ્ફળ જશે, તો બહુમતીનો માર્ગ સરળ નહીં હોય. એકંદરે, આ 158 બેઠકોમાંથી, જો ભાજપ 75ની આસપાસ પણ મેળવવામાં સફળ થાય છે, તો બહુમતી મેળવવી મુશ્કેલ બનશે. ભાજપે આ મામલાનો તોડ કાઢવો પડશે. ભાજપને ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને એમપી જેવા રાજ્યોમાં બહુમતિ મળી જવાની આશા છે પણ મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ અને કર્ણાટક જેવા રાજ્યો માથાનો દુખાવો બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news