આ તારીખે આવશે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ, થઈ ગઈ જાહેરાત

Junior Clerk Exam Call Letter : આવતી કાલે જૂનિયર ક્લાર્કની પરીક્ષા હોવાથી સ્ટ્રોંગ રૂમમાં પેપર પહોંચાડવાની ચાલી રહી છે કામગીરી,,, 9 લાખ ઉમેદવારોએ ભર્યાં છે ફોર્મ,,, હસમુખ પટેલે કહ્યું- ભરતી બોર્ડ પરીક્ષા લેવા માટે સજ્જ છે,,,

આ તારીખે આવશે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ, થઈ ગઈ જાહેરાત

Junior Clerk Exam News : ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક લીકપ્રૂફ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવી રાજ્ય સરકાર માટે નાકનો પ્રશ્ન બન્યો છે. આવતીકાલે ફરીવાર યોજાનાર જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નિર્વિઘ્ને પાર પાડવા સરકારી વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યભરના કેન્દ્રો પર આવતીકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ-3 ની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનારી છે. જેને લઈને પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગ રૂમમાં પેપર પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. કુલ 9 લાખ ઉમેદવારો આવતીકાલે પરીક્ષા આપશે. ત્યારે આવતીકાલે જૂનિયર ક્લર્કની પરીક્ષા અને જૂન મહિનામાં પરિણામ આવશે. પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, આ પરીક્ષામાં અવસરની જેમ તમામ લોકો સામેલ થઈ રહ્યા છે. પરીક્ષા માટે ફૂલપ્રુફ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

જૂનમાં પરિણામ આવશે
પંચાયત સેવા પસંદગી મંડળ ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, જૂનિયર ક્લર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈપણ મુશ્કેલી ન પડે તેવા અમારા પ્રયાસ છે. દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા લગાવાયા છે. સાથે જ પોલીસ અને અધિકારીઓની તાલીમ આપવામાં આવી છે. આ પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે. ST વિભાગે વધારાની બસો પણ મુકી છે. વિદ્યાર્થીઓ માટે બસમાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પોલીસને ખાસ સૂચનો કરાયા છે. પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર છે. પરીક્ષા માટે અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. 

પેપર લીકકાંડના આરોપીઓએ પરીક્ષા આપી શકશે 
પેપર લીક કાંડ સાથે સંકળાયેલા આરોપીઓને લઈને હસમુખ પટેલે જણાવ્યું છે કે, ATSએ ઝડપેલા આરોપીઓએ પરીક્ષા આપવી હશે તો આપી શકશે. ઝડપાયેલા આરોપી ઉમેદવારોને આગળ ગેરલાયક ઠેરવી શકાશે. લોકરક્ષકની જેમ આ પરીક્ષા પણ યોગ્ય રીતે લેવાશે. ATSએ ઝડપેલા આરોપીઓ સામે નવો કાયદો લાગુ નહીં થાય. આરોપીઓએ કાયદો લાગુ થયા અગાઉ ગુનો કર્યો છે.

તમામ સ્ટાફ ડીડીઓને હવાલે 
તમામ અધિકારી-કર્મચારીઓ ત્રણ દિવસ સુધી DDO હવાલે કરાયા છે. ગીર સોમનાથ સિવાયના અધિકારી-કર્મચારી DDO હવાલે છે. વર્ગ 1-2-3 ના કર્મચારીઓનો પરીક્ષાની કામગીરી માટે ઉપયોગ કરાશે. સામાન્ય વહીવટ વિભાગે તમામ જિલ્લાઓને આદેશ વહેતા કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી જરુરીયાત મુજબ તેમની પાસેથી કામ લઈ શકશે. ત્રણ દિવસ અધિકારી કર્મચારીઓ પરીક્ષા માટે કામ કરશે.

કર્મચારી મોબાઈલ નહિ રાખી શકે
જુનિયર કલાર્કની પરીક્ષા માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં આવેલા 3 હજાર પરિક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવાયો છે. એક વર્ગમાં 30 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તો પાટલીઓ પર બેઠક નંબર લખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

સાણંદ પરીક્ષા કેન્દ્ર હોય તો ખાસ ધ્યાન રાખે 
આવતીકાલે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. જેમાં 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યભરમાં 3 હજાર જેટલા પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા લેવાશે. ત્યારે પરીક્ષાને લઈ તંત્ર દ્વારા મજબૂત વ્યવસ્થા કરાઈ છે. તંત્ર સિવાય અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ઉમેદવારો માટે સ્વૈચ્છીક રીતે આગળ આવી છે. સાણંદ તાલુકામાં ઉમેદવારોના રહેવા, જમવા સહિત તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. લોહાણા સમાજની વાડીમાં ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારો અન્ય જિલ્લામાંથી સાણંદ અને આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા આપવા આવે એ પહેલાં રોકાઈ શકે અને તમામ સુવિધાઓ મેળવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. તો સાધના ફાઉન્ડેશન દ્વારા જમવા તેમજ પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ છે. સાણંદમાં સાધના ફાઉન્ડેશનને બનાસકાંઠા, ભાવનગર, ડીસા, જૂનાગઢ, રાજકોટથી ઉમેદવારોના મદદ માટે ફોન આવી રહ્યા છે. સાણંદમાં 10 પરીક્ષા કેન્દ્ર પર 3 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચશે. 

બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે
આ પરીક્ષાને લઈને હસમુખ પટેલે જણાવ્યું કે આ વખતે જૂનિયર ક્લર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ કરવામાં આવનાર છે. આ વખતે કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે બોડીવોર્ન કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે.

દોડશે સ્પેશિયલ ટ્રેન 
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના ઉમેદવારો માટે 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે. રાજકોટ-જૂનાાગઢ-રાજકોટ રૂટની ટ્રેન દોડશે. જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ રૂટની ટ્રેન દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ટ્રેન ઉપડશે. જે જૂનાગઢથી બપોરે 3 વાગ્યે રિટર્ન થશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે 7:30 કલાકે ઉપડશે. રાજકોટથી બપોરે 2:55 કલાકે રિટર્ન થશે. ST વિભાગ પણ 250 એકસ્ટ્રા બસો દોડાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news