ભાજપના નેતાઓના સ્વાસ્થ્યથી પાર્ટીની તબિયત નાદુરસ્ત, જાણો કોના છે કેવા હાલ

ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા બાદ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી માટે મૂંબઇ હોસ્પિટલમા દાખલ થયા છે. તો છેલ્લા કેટલાય સમયથી સરકારના મંત્રી પુરષોત્તમ સોંલકી બિમાર ચાલી રહ્યા છે.

ભાજપના નેતાઓના સ્વાસ્થ્યથી પાર્ટીની તબિયત નાદુરસ્ત, જાણો કોના છે કેવા હાલ

કિંજલ મિશ્રા, અમદાવાદ: રાજ્ય સરકાર છેલ્લાં કેટલાય સમયથી અનેક પડકારોનો સામનો કરી રહી છે. તે પછી વિવિધ સામાજિક આંદોલનો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય કે અનામતનો મુદ્દો હોય. જો કે હાલમાં સરકાર સામે પોતાના જ મંત્રીઓ તથા અધિકારીઓનો સ્વાસ્થ્ય પણ જાણે એક પડકાર બની ગયો છે. ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા બાદ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી માટે મૂંબઇ હોસ્પિટલમા દાખલ થયા છે. તો છેલ્લા કેટલાય સમયથી સરકારના મંત્રી પુરષોત્તમ સોંલકી બિમાર ચાલી રહ્યા છે.

સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગોનું સ્વાસ્થ્ય જાણવવા માટે સતત પ્રયત્ન કરવામા આવે છે. આ સાથે જ અવાર નવાર હેલ્થ પોલીસીને લઇને જાહેરાત પણ કરવમાં આવે છે. જો કે હાલમાં સરકાર સામે સૌથી મોટો પડકાર જાણે તેમના જ મંત્રીઓના સ્વાસ્થનો બની ગયો છે. એક તરફ લોકસભાની ચૂંટણીના પડકારને પહોંચી વળવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે જ રૂપાણી કેબિનેટના મહત્વના મંત્રીઓના આરોગ્યની સ્થિતિ કેવી છે તેના અંગે કેટલીક રસપ્રદ વિગતો સામે આવી છે. ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા બાદ ડેપયુટી સીએમ નિતિન પટેલને પણ ઘૂટણની તકલીફના કારણે હોસ્પિટલમા દાખલ થવુ પડયુ છે.

સરકારના બે અદના મંત્રીઓ ગૃહપ્રધાન અને ડેપ્યુટી એમ સારવાર હેઠળ છે. જેની સીધી અસર સરકારના મહત્વના નિર્ણયો લેવાની પ્રક્રિયામા થાય એ સ્વાભાવિક છે. જો કે સરકારમાં 80 ટકા મંત્રીઓ એક કે બીજી બીમારીથી પીડાઇ રહ્યા છે જેના પડઘા વિધાન સભા ઉનાળું સત્રમાં પણ પડ્યા હતા. મંત્રીઓ તથા ધારાસભ્યોની ડાયાબીટીસ સહિત બ્લડ પ્રેશરની બીમારીઓના કારણે સત્રનાં સમયમાં ફેરફાર કરવો પડયો હતો. ત્યારે એક નજર કરીએ રૂપાણી સરકારના ફીટ અને અનફીટ મંત્રીઓના સ્વાસ્થ્યના ચાર્ટ ઉપર. શરૂઆત કરીએ સીએમ વિજય રૂપાણી થી...

સીએમ વિજય રૂપાણી (સ્વાસ્થ ફીટ)
સીએમ વિજય રૂપાણી દ્વારા સરકારી તેમજ પ્રજાકીય કામો માટે સતત પ્રવાસ કરવામાં આવે છે. જો કે 62 વર્ષના સીએમ રૂપાણી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એકદમ ફીટ છે. જો કે સતત પ્રવાસ અને દોડધામના કારણે ઓક્ટોબર મહિનામાં વાયરલ ઇન્ફેક્શન થયું હતું. જેના કારણે 3 દિવસ સુધી આરામ કરવાની ફરજ પડી હતી. જો કે આ સિવાય કોઇ જ ગંભીર બીમારી નથી.

ડેપ્યુટી સીએમ નિતિન પટેલ (ઉમર 62 વર્ષ) (ની રીપ્લેસ મેન્ટ)
ડેપ્યુટી સીએમ નિતિન પટેલ રાજ્ય સરકારના મહતવની જવાબદારી નિભાવી રહ્યાં છે. વર્ષ 2017માં સારણગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે 15 દિવસ માટે આરામ કરવો પડ્યો હતો. જો કે સમયાંતરે તેઓ પ્રવાસ કરે છે, સાથે જ સચિવાલયમાં રહીને સરકારી કામોને પણ આગળ ધપાવે છે. જો કે 8 ડિસેમ્બર સુધી તેઓ કામકાજથી અળગા રહેશે કારણ કે તેમને લાંબા સમયથી પગના ઘુંટણમાં ઘસારાના કારણે ચાલવામાં તકલીફ થતી હતી. ગુરુવારે મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા હતા. શુક્રવારે હોસ્પિટલમાં  તેમના બંને ઘુંટણનું ઓપરેશન કરવામાં આવ્યુ છે. તેઓ રવિવાર સુધીમાં ગાંધીનગર પરત ફરશે અને એકાદ સપ્તાહ સુધી આરામ કરશે. જો કે ગુજરાતની કોઇ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ઇલાજ કરાવવાને બદલે બ્રિચરેન્ડી હોસ્પિટલની પસંદગી પણ ચર્ચાનો વિષય બન્યું છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (56 વર્ષ, કેન્સર)
રૂપાણી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત કેટલીક મહત્વની જવાબદારીઓ નિભાવવા સાથે સંસદીય બાબતો, કાયદો અને ન્યાયતંત્ર, જેલ, ઊર્જા વિભાગની કામગીરી નિભાવતા પ્રદીપસિંહ જાડેજાને પોતાની વ્યસનની આદતના કારણે મોંનું કેન્સર થયું છે. મોંઢામાં તકલીફ જણાતા પ્રાથમિક તબિબિ સૂચનને આધારે ૨૬ નવેમ્બરે તેમનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું. 8 કલાકના ક્રિટિકલ ઓપરેશનમાં મોંઢામાં કેન્સરનો જે ભાગ હતો તેને દૂર કરવામાં આવ્યો હતો. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં આઇસીસીયુમાં જ છે અને તેઓની સ્થિતિ સુધરી રહી છે. તબીબી ઉપચારને કારણે તેઓની સ્થિતિમાં ઝડપથી સુધાર થઇ રહ્યો છે અને તબીબોના પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા છે. જોકે, તેમના મોંઢામાંથી દૂર કરાયેલા ભાગનું ડાયોગ્નેસીસ થઇ રહ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આ કેન્સર કયા સ્ટેજનું છે એ સ્પષ્ટ થતાં આગળની તબીબી ઉપચારની પધ્ધતિ નક્કી કરવામાં આવશે. હાલ તેઓની તબિયત સુધારા પર છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (62 વર્ષ, ડાયાબીટીસ)
ભુપેન્દ્રસિંહ ચુડાસમને લાંબા સમયથી ડાયાબીટીસ છે. ઓગસ્ટ 2018મા ફૂટ પોઇઝનિગ થતાં યુ એન મેહતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફુડ પોઇઝનિગના કારણે સુગર અને રકત ચાપના અનિયમિતતા થઇ હતી. જેના કારણે એક સપ્તાહ આરામ કરવો પડ્યો હતો.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર (52 વર્ષ, ડાયાબીટીસ, આંખમાં તકલીફ)
ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજના અગ્રણી નેતા તથા સરકારના મંત્રી દિલીપ ઠાકોરને વ્યૂહાત્મક ગણતરીથી રૂપાણી સરકારમાં શ્રમ અને રોજગાર વિભાગનો કેબિનેટ દરજ્જો સોંપવામાં આવ્યો છે. દિલીપ ઠાકોરને ડાયાબીટીસ છે સાથે જ કેટલાક સમયથી આંખમાં તકલીફ ઊભી થઇ હતી. તબીબી તપાસમાં મોતિયાનું નિદાન થતાં એક પખવાડિયા પૂર્વે જ તેમણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. તેઓ દસેક દિવસ માટે સરકારી કામકાજથી દૂર રહ્યાં હતાં.

નાગરિક પુરવઠામંત્રી જયેશ રાદડીયા
રૂપાણી સરકારનો યુવા ચહેરો એટલે જયેશ રાદડીયા. 2017માં નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી તરીકે વરણી થઇ. હાલમાં તેઓ એકદમ ફીટ છે. જો કે વર્ષ 2013માં ગાંધીનગરના સરકારી મંત્રી નિવાસના બંગલે બાથરૂમમાં લપસી પડ્યા હતા. જેના કારણે તેમને ખભામાં ફ્રેક્ચર થતાં પંદર દિવસ કરતાં વધુ સમય માટે પોતાના વતન રાજકોટ જઇ આરામ કર્યો હતો.

મત્સ્યોગ્ય રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી (અનફીટ)
મોદી સરકારથી મંત્રીમંડળમાં સ્થાન મેળવતા આવેલા કોળી સમાજના આગેવાન ગણાતા પરષોત્તમ સોલંકી સિવિયર ડાયાબિટીસની અનિયમિતતાથી ઊભી થયેલી તકલીફોથી પીડિયા છે. લીવર ફંકશનિંગ પણ ખુબ ઓછુ થઇ ગયું છે. વારંવાર ડાયાલીસીસ માટે એપોલોમાં હોસ્પિટલાઇઝ થવુ પડે છે. અગાઉ સોલંકી પોતાની સરકારી ઓફિસમાં ક્યારેક આવતા પણ હતા. પરંતુ રૂપાણી સરકારમાં મંત્રી બન્યા પછી સૌથી ઓછા સમય માટે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૨માં આવેલી કચેરીમાં આવ્યા છે.

ઊર્જામંત્રી સૌરભ પટેલ
ફેબ્રુઆરી 2016માં એ વખતે પ્રચલિત થઇ રહેલી બેરિયાટીક સર્જરી કરાવી હતી. તેમને ડાયાબિટીસની પણ તકલીફ હતી. પોતાના ભારે શરીરને કારણે આ તકલીફ છે એવું તબીબી નિદાન થતાં તેમણે પેટ અને કમરના ભાગે રહેલી ચરબીને બેરિયાટિક સર્જરીથી દૂર કરાવી હતી. ત્યારે તેમણે બે મહિના આરામ કર્યો હતો. જો કે આ ટ્રીટમેન્ટ પછી એમને નિયમિત ચેકઅપ તથા કેટલીક સાવચેતી રાખવી પડે છે.

ઇશ્વરસિહ પટેલ સહકાર તથા રમત ગમત વિભાગ 
પ્રધાન બન્યાના 3 મહિના બાદ જ તેમને હાર્ટની સર્જરી કરાવવાની પડી હતી. જેના લીઘે 15 દિવસ સુધી આરામ કરવાની ફરજ પડી હતી.

આ ઉપરાંત મહેસુલ મંત્રી કૌશિક પટેલ, પંચાયત વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા જયદ્રથસિંહ જાડેજા, જળસંપત્તિ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા પરબત પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાનીને પણ ડાયાબિટીસ જેવી બિમારી છે. મંત્રીઓના  સ્વાસ્થ્યની તકલીફની ક્યારેક અસર સરકારી કામો પર પણ દેખાતી હોય છે. તો મંત્રીઓ તથા સરકારી બાબુઓની પણ ભાગદોડ સતત રહેતી હોય છે જેની પણ અસર તેમના સ્વાસ્થ્ય પર થતી જોવા મળે છે. મુખ્યસચિવ ડો.જે.એન.સિંઘને 2017ના વાયબ્રન્ટ ગુજરાત સમિટ બાદ તુરત જ હ્યદયરોગનો હુમલો થતાં બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. આ પૂર્વે વરિષ્ઠ સનદી અધિકારી પી.કે. તનેજાને પણ આવી જ સારવાર લેવી પડી હતી. સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે ડો.સિંઘ સારવાર કરાવીને ફરજ પર આવ્યા ત્યારે જ અધિક મુખ્યસચિવ અરવિંદ અગ્રવાલને બાયપાસ કરાવવી પડી હતી. હમણાં જ અધિક મુખ્યસચિવ ગૃહ એમ.એસ. ડાગુરને પણ હ્યદય સંબંધી બિમારીના લીધે ઉપચાર માટે રજા પર રહેવાની ફરજ પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news