Gujarat Riots: ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસ, સુપ્રીમ કોર્ટ 10 એપ્રિલે ગુજરાત સરકારની અરજીઓનો નિકાલ કરશે

ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા CJI DY ચંદ્રચુડની ખંડપીઠને કહેવામાં આવ્યું હતું કે, તેમણે કેટલાક દોષિતો વિશે તથ્યપૂર્ણ વિગતોની ચકાસણી કરવાની છે. 

Gujarat Riots: ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસ, સુપ્રીમ કોર્ટ 10 એપ્રિલે ગુજરાત સરકારની અરજીઓનો નિકાલ કરશે

નવી દિલ્લી: વર્ષ 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોની અને ગુજરાત સરકારની અરજીઓનો સુપ્રીમ કોર્ટ 10 એપ્રિલે નિકાલ કરશે. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા CJI DY ચંદ્રચુડની ખંડપીઠને કહેવામાં આવ્યું હતું કે, તેમણે કેટલાક દોષિતો વિશે તથ્યપૂર્ણ વિગતોની ચકાસણી કરવાની છે. 

ખંડપીઠે તુષાર  મહેતાની રજૂઆત સ્વીકારી હતી અને આ મામલાની વધુ સુનાવણી 10મી એપ્રિલે કરી દીધી છે.. બેન્ચે જણાવ્યું હતું કે, દોષિતોની પડતર જામીન અરજીઓનો આગામી સુનાવણીમાં નિકાલ કરવામાં આવશે. બેન્ચે દોષિતના જામીન એ આધાર પર લંબાવી હતી કે તેની પત્ની કેન્સરથી પીડિત છે. 17 માર્ચે સુપ્રીમ કોર્ટે આરોપીની જામીન અરજી પર સુનાવણી કરવાનું કહ્યું હતું.

શું બન્યું હતું એ દિવસે
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી 20 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા 59 કારસેવકોને ગોધરા એ કેબિન પાસે ટ્રેનના એસ 6 કોચને આગ લગાવી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં 59 જેટલા કારસેવકો મોતને ભેટ્યા હતા. જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SIT ની રચના પણ કરવામાં આવી હતી. જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે. સમગ્ર કેસને લઈ 100 આરોપીઓમાંથી કેટલાય આરોપીઓ મોતને ભેટી ચુક્યા છે અને કેટલાક હજુ જેલમાં સજા કાપી રહ્યા છે. જ્યારે જૂજ આરોપીઓ હજી પણ ભળતા નામોને લઈ ફરાર છે.

કોચ બહાર ફૂલહાર કરાય છે 
દર વર્ષે ગોધરા હત્યાકાંડની વરસી પર સ્થાનિક લોકો દ્વારા કોચ પાસે આવીને ફૂલહાર કરવામાં આવે છે અને કારસેવકોની આત્માને શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. તેઓને શ્રદ્ધાંજલિ અપાય છે. ખાસ વાત તો એ છે કે, આ ગોઝારી ઘટનાને 21 વર્ષ વીત્યા બાદ હવે રામ મંદિરના નિર્માણનું કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે. 

આજે પણ ડબ્બો એવી જ હાલતમાં મોજૂદ છે 
ઈતિહાસમાં અનેક એવી ઘટનાઓ બની છે, જેના પુરાવા આજે પણ છે. જલિયાવાલા બાગથી લઈને અનેક હત્યાકાંડોની નિશાની સચવાયેલી છે. ત્યારે ગોધરા હત્યાકાંડની નિશાની આજે પણ ગોધરામાં છે. જે ગોધરા હત્યાકાંડની સાક્ષી છે. સાબરમતી એક્સપ્રેસનો એ એસ-6 રેલવે ડબ્બો, જેને સળગાવવામાં આવ્યો હતો અને તેમાં 59 કારસેવકો મોતને ભેટ્યા હતા, તે આજે પણ ગોધરા સ્ટેશનના એક ખૂણામાં પડ્યો છે. જેની પાસે ચોવીસ કલાક ચોકી પહેરો હોય છે. ગોધરા હત્યાકાંડ બાદ અનેક મહિનાઓ સુધી તપાસ ચાલી હતી. તેના વર્ષો બાદ આ એસ-6 ડબ્બો ખસેડીને બાજુ પર મૂકવામાં આવ્યો હતો. જે આજે પણ ત્યા મોજૂદ છે. આ ડબ્બો આજે પણ સળગેલી હાલતમાં ત્યાં મોજૂદ છે. જે 59 કારસેવકોની ચીચીયારીઓ અને મોતનો સાક્ષી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news