સરદાર પટેલ સાથે એક એવી ઘટના બની હતી કે, આખા દેશનો જીવ પડીકે બંધાયો હતો

Sardar Patel : એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કંઈક એવું થયું કે આખા દેશનો જીવ પડીકે બંધાયો...સરદારની સૌ કોઈને ચિંતા થવા લાગી...સરદારને કંઈ થયું તો નહીં હોયને...પણ એ દિવસે એવું થયું શું હતું આવો જાણીએ એ સમયની વાતમાં...
 

સરદાર પટેલ સાથે એક એવી ઘટના બની હતી કે, આખા દેશનો જીવ પડીકે બંધાયો હતો

E Samay Ni Vat Che : સ્વતંત્રતાના દિવસો હતા, તે સમયે એક એવો અકસ્માત જેમાં સરદાર માંડ બચ્યા હતા. જ્યારે સરદાર પટેલનું વિમાન ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતુ. સરદાર પટેલને દિલ્લીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે તેમણે કહ્યુ હતું કે, પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો. આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1949 અને તારીખ હતી 29 માર્ચ...ઓલ ઈન્ડિયા રેડિયોમાં રાત્રે 9 વાગ્યાના બુલેટિનમાં સમાચાર આવે છે...  'સરદાર પટેલને દિલ્લીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે'  

સરદાર પટેલ તેમનાં પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું હતું. લગભગ 158 કિલોમિટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી. જોકે, ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું છે. એ સમયે વિમાનનો રેડિયો પણ બંધ થઈ ગયો હતો અને વિમાન બહુ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું.

સ્વાભાવિક પણે દરેકના ચહેરા પર ચિંતા દેખાતી હતી... સરદાર પટેલને આ વાતની જાણ થયા છતા પણ જાણે કંઈ થયું જ ન હોય તેમ શાંતિથી બેઠા હતા...પાઇલટે જયપુરથી ઉત્તરમાં 30 માઈલ દૂર વિમાનનું ક્રૅશ લૅન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 6 વાગીને 20 મિનિટે (06:20 PM)પાઇલટે તમામ પ્રવાસીઓને સીટ બૅલ્ટ બાંધી લેવા જણાવ્યું હતું. તેની પાંચ મિનિટ પછી પાઇલટે વિમાનને જમીન પર ઊતારી દીધું હતું.

વિમાનના ઉતરાણની થોડી મિનિટોમાં જ ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા...વિમાનમાં સરદાર પટેલ છે એવી તેમને ખબર પડી કે તરત જ ગામલોકોએ તેમના માટે પાણી અને દૂધ મંગાવ્યું હતું અને સરદાર તથા અન્ય લોકોને બેસવા માટે ખાટલા બિછાવ્યા હતા. ઘટનાસ્થળની સૌથી વધુ નજીક ક્યો માર્ગ છે એ શોધવા જોધપુરના મહારાજા અને વિમાનના રેડિયો ઑફિસર નીકળી પડ્યા ત્યાં સુધીમાં અંધારું થઈ ચૂક્યું હતું.

ઘટનાસ્થળે સૌથી પહેલાં કે.બી.લાલ નામના અધિકારી પહોંચ્યા હતા. બાદમાં તેમણે લખ્યું હતુઃ "હું ત્યાં પહોંચ્યો ને જોયું તો સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલા ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો."

રાતે લગભગ 11 વાગ્યે સરદાર પટેલનો કાફલો જયપુર પહોંચ્યો ત્યારે તેમના યજમાનોને ધરપત થઈ હતી. તમામ ભારતવાસીઓને માફક યજમાનો પણ એવું જ સમજ્યા હતા કે સરદારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. એ વખતે જવાહરલાલ નહેરુ ચિંતિત થઈને તેમના ઓરડામાં આટાં મારી રહ્યા હતા અને સરદાર પટેલના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. રાતે 11 વાગ્યે નહેરુને સમાચાર આપવામાં આવ્યા હતા કે સરદાર પટેલ સલામત છે. 31 માર્ચે સરદાર પટેલ ફરી દિલ્હી પહોંચ્યા ત્યારે પાલમ ઍરપોર્ટ પર અનેક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news