પાટીદારોએ કાજલ હિન્દુસ્તાનીને કરી બોયકોટ, હવેથી તેને કાફર પાકિસ્તાનીના નામથી બોલાવાશે

Kajal Hindustani Statement On Patidar Samaj : કાજલ હિન્દુસ્થાનીએ કરેલા વિવાદિત નિવેદન બાદ મોરબીમાં પાટીદાર સમાજની જાહેરસભા મળી, જેમાં પાટીદારોની વિવિધ સંસ્થાઓ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા

પાટીદારોએ કાજલ હિન્દુસ્તાનીને કરી બોયકોટ, હવેથી તેને કાફર પાકિસ્તાનીના નામથી બોલાવાશે

Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં ગઈકાલે મોરબીમાં જાહેર સભા યોજાઇ હતી. જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને સિરામિક એસોસિયેશનના પ્રમુખો સહિતના હાજર રહ્યા હતા. આગામી સમયમાં કાજલ હિન્દુસ્તાની જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી તેને પાટીદારોના એક પણ કાર્યક્રમમાં કોઈપણ જગ્યાએ સ્ટેજ ઉપર પગ રાખવા નહીં દેવામાં આવે તેવું એલાન મોરબીના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને કાજલ હિન્દુસ્તાનીને હવેથી કાફર પાકિસ્તાનીના નામથી બોલાવવા પાટીદારોએ આહવાન કર્યું છે. 

થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે અને ઉદ્યોગપતિઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. અગાઉ રેલી યોજના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ મોરબીની કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની માફી માંગવામાં આવી નથી ત્યારે મોરબીમાં મંગળવારે રાત્રે ૯ વાગ્યે બાપાસીતારામ ચોક ખાતે પાટીદાર સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખો તેમજ વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને ખાસ કરીને જે ઘટના મોરબીમાં બની જ નથી તે ઘટનાનો મનઘડત ઉલ્લેખ કાજલ હિન્દુસ્તાની દ્વારા જે રીતે સ્ટેજ ઉપરથી કરવામાં આવ્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

આ તકે પાટીદાર સમાજના અગ્રણી ટી. ડી. પટેલ દ્વારા મોરબીની જાહેર સભામાં એવું એલાન કરવામાં આવ્યું હતું કે આજ સુધી જેને લોકો કાજલ હિન્દુસ્તાનીના નામથી જાણતા હતા તેને હવે મોરબીનો પાટીદાર સમાજના કાફર પાકિસ્તાનીના નામથી બોલાવશે. તેમજ આગામી સમયમાં જ્યાં સુધી તે મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી તેને ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર સ્થાન આપવામાં નહીં આવે તેવું એલાન કરાયું છે. આગામી સમયમાં હજુ પણ કાજલ હિન્દુસ્તાની સામે કોર્ટમાં બદનક્ષીની ફરિયાદો કરવામાં આવશે તેવું પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news