''નાણાકીય છેતરપીંડીના બનાવો વિષે લોકો તાકીદે પોલીસ કે રિઝર્વ બેન્કને જાણ કરે''

ગુજરાત સરકારે લોભામણી જાહેરાતો આપીને રોકાણકારોના નાણા પચાવી પાડતી લેભાગુ કંપનીઓ પાસેથી લોકોના નાણા પાછા અપાવવા લેભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને આવી મિલકતોની હરાજી કરીને રોકાણકારોના નાણા પાછા અપાવવાનો નિર્ણય કર્યો છે.

''નાણાકીય છેતરપીંડીના બનાવો વિષે લોકો તાકીદે પોલીસ કે રિઝર્વ બેન્કને જાણ કરે''

ગાંધીનગર: નાણાકીય છેતરપિંડીની યોજનાઓ દ્વારા નાગરિકોને છેતરવાની પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવા રાજ્ય કક્ષાની સંમલન સમિતિની ૩૪મી બેઠક અધિક મુખ્ય સચિવ (નાણા) અરવિંદ અગ્રવાલના અધ્યક્ષપદે યોજાઇ હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક નિયામક જે.કે.દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં નાણાકીય છેતરપિંડીના અલગ અલગ બનાવોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. 

આ બેઠકમાં ઇનકમવૉલ્સ ડોટ કોમ (વડોદરા), રાજ મોરાલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ લિ. (અમદાવાદ), ઉમ્મિદ ઇન્ફ્રા પ્રોજેકટ (જામનગર), પૃથ્વીધારા કોર્પ કેર પ્રા.લિ. (ભાવનગર), સહારા ઇન્ડિયા ફાયનાન્સ કોર્પોરેશન લિ. (રાજકોટ), સહારા ક્યુ શોપ યુનિક પ્રોડકટ્સ રેન્જ લિ. (વડોદરા), સહારા ક્રેડીટ કો.ઓ. સોસાયટી લિ. (અમદાવાદ), કેપેજ સિક્યોરિટીઝ એન્ડ કેપીટલ કલાઉડ રિસર્ચ (અમદાવાદ) જેવી કંપનીઓ વિરૂદ્ધ રિઝર્વ બેન્કને મળેલી ફરિયાદોના કેસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કટોડીયા ફાયનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લિ. (અમદાવાદ), ‘અપનાગૃપ’ અપના ટેલકોન લિ. (આણંદ), આપકા રોઝગાર સર્વિસીઝ પ્રા.લિ. (અમદાવાદ), ઇન્ડિયા ગ્રીન રિયાલીટીઝ લિ. (અમદાવાદ), ગ્લોબલ હ્યુમન રાઇટસ પ્રોટેકશન કાઉન્સિલ (રાજકોટ)ના કેસોની વિગતવાર છણાવટ કરીને તેમની સામેની તપાસની સમીક્ષા કરવામાં આવી હતી. 

એસ.એન.સી. મલ્ટી ટ્રેડ એન્ડ સર્વિસીઝ પ્રા.લિ. એન્ડ એસ.એ.ટી. મલ્ટીટ્રેડ કંપની લિ. દ્વારા મહિસાગર, દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત અને તાપીમાં અનઅધિકૃત રીતે ડિપોઝીટ ઉઘરાવવાના કેસો ચાલી રહ્યા છે. આ તમામ કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. 

અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે જણાવ્યું હતું કે, નાગરિકોએ લેભાગુ કંપનીઓ અને આર્થિક ફાયદાની લાલચ આપતા લોકોથી ચેતવાની જરૂર છે. આવા તત્વો માટે રાજ્ય સરકાર અને રિઝર્વ બેન્ક જરૂરી કાર્યવાહી તો કરશે જ પરન્તુ નાગરિકોએ પણ સજાગ રહેવાની આવશ્યકતા છે. ગુજરાત સરકારે લોભામણી જાહેરાતો આપીને રોકાણકારોના નાણા પચાવી પાડતી લેભાગુ કંપનીઓ પાસેથી લોકોના નાણા પાછા અપાવવા લેભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને આવી મિલકતોની હરાજી કરીને રોકાણકારોના નાણા પાછા અપાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે સી.આઇ.ડી.(ક્રાઇમ) નોડલ એજન્સી હશે એવી જાહેરાત તાજેતરમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news