આપણા નરેન્દ્રભાઈએ ઘર આપ્યું : ભાડાના મકાનમાં રહેતા ગરીબોને પીએમ મોદીએ આપી નવાનક્કોર ઘરની ચાવી

PM Modi Gujarat Visit : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી રહ્યા ઉપસ્થિત.. રાજ્યના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું 

આપણા નરેન્દ્રભાઈએ ઘર આપ્યું : ભાડાના મકાનમાં રહેતા ગરીબોને પીએમ મોદીએ આપી નવાનક્કોર ઘરની ચાવી

pradhanmantri aavas yojna : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરથી ગુજરાતના અનેક વિકાસ કાર્યોનો ડીજીટલ પ્રારંભ કર્યો. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાને પણ લીલીઝંડી આપી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. આ સમયે કાર્યક્રમમાં હાસ્યની છોળો પ્રસરી ગઈ હતી. તેઓએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મુક્તમને ચર્ચા કરી હતી. ભાવનગર, આણંદ, રાજકોટ, આણંદ, છોટાઉદેપુરના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. એક લાભાર્થી સાથે ભાવનગરના ગાંઠીયા ખાવાની પ્રધાનમંત્રીએ ટકોર કરતા હાસ્યનું મોજું ફર્યું હતું. ભાવનગરના લાભાર્થીએ પ્રધાનમંત્રીને ગાંઠીયા ખાવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. લાભાર્થીઓ સાથે વાત કરતા પીએમએ કહ્યું હતું કે, હવે અન્ય લોકોને કહેજો કે, આપણા નરેન્દ્ર ભાઈએ વચન આપ્યું છે. જેને ઘર નથી મળ્યું એમને ચોક્કસ મળશે. 

જેમને આજે નવુ ઘર મળ્યુ છે તેમને અભિનંદન આપું છું. ભાજપ માટે આ એક મહાયજ્ઞ છે. ગુજરાતમાં ફરી ભાજપ સરકાર બની થોડા મહિના થયા છે, પરંતુ વિકાસે જે રફ્તાર પકડી છે તે જોઈને આનંદ થાય છે. મકાનના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ કારણે સમાજમાં શક્તિ પેદા થાય છે. ગરીબના મનમાં તે પેદા થાય તો તેને લાગે કે આ મારા હકનું છે. જૂની નીતિ પર ન તો દેશનું ભાગ્ય બદલાઈ શકે છે ન તો દેશ સફળ થઈ શકે છે. ગરીબો માટે આવાસ આપવાની યોજના આપણા દેશમાં લાંબા સમયથી ચાલે છે. પરંતુ થોડા વર્ષો પહેલા ગામના લગભગ 75 ટકા પરિવારોના ઘરમાં પાક્કુ શૌચાલય ન હતું. 

પહેલીવાર મહિલાઓના નામે પ્રોપર્ટી થઈ 
તેમણે કહ્યું કે, અમે મહિલા સશક્તિકરણને તાકાત આપી છે. ગત 9 વ્રષમાં 4 કરોડ પાક્કા ઘર ગરીબોને આપ્યા છે, જેમાંથી 70 ટકા ઘર મહિલા લાભાર્થીના નામે છે. આ કરોડો મહિલાઓના નામે પહેલીવાર કોઈ પ્રોપર્ટી રજિસ્ટર્ડ થઈ છે. આપણે ત્યા ઘર, જમીન, ખેતર, ગાડી, સ્કૂટર પણ પુરુષોના નામે હોય. પહેલા પતિના નામે અને પતિ ન હોય તો દીકરાના નામે હોય. મોદીએ આ સ્થિતિ બદલી નાંખી. હવે સરકારી યોજનામાં માતા-બહેનોને જોડવામા આવી છે. હવે ઘરની કિંમત ઉંચે જઈ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેવા જનારા લોકોના ઘર લાખોની કિંમતના છે. કરોડો મહિલાઓ આજે લખપતિ બની છે. મારી લખપતિ દીદી ભારતના દરેક ખૂણાંથી આર્શીવાદ આપી રહી છે.  

આજે લોકોના ઘરે લાપસી બનશે - મુખ્યમંત્રી
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે અનેક લોકોના ઘરે લાપસી બનશે. રાજ્યના સેંકડો વિસ્તારમાં નવા આવાસ લોકોને મળશે. વંચિતોને વિકાસ મળે એ માટે પ્રધાનમંત્રી એ સતત પ્રયત્નો  કર્યા છે. વિકાસની મુખ્ય ધારામાં સમાજના દરેક વર્ગોને સમાવ્યા છે. પ્રધાનમંત્રીના દરેક સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news