ZEE 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલનું તંત્ર જાગ્યું, ડિપોઝીટની મોટી રકમ લેવાનો નિર્ણય બદલ્યો

અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો પાસેથી લેવાતી રૂપિયા 5000ની ડિપોઝીટ અંગે સત્તાધીશોને આખરે નિર્ણય બદલવાનો વારો આવ્યો છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. અને હવે મા અમૃતમ, આયુષ્યમાન કે અન્ય સરકારી યોજનાના કાર્ડ હશે તો ડિપોઝીટની રકમ ન લેવાનો નિર્ણય કર્યો છે. 

ZEE 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલનું તંત્ર જાગ્યું, ડિપોઝીટની મોટી રકમ લેવાનો નિર્ણય બદલ્યો

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો પાસેથી લેવાતી રૂપિયા 5000ની ડિપોઝીટ અંગે સત્તાધીશોને આખરે નિર્ણય બદલવાનો વારો આવ્યો છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. અને હવે મા અમૃતમ, આયુષ્યમાન કે અન્ય સરકારી યોજનાના કાર્ડ હશે તો ડિપોઝીટની રકમ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલી આ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે દર્દી સરકારી યોજનાનું કાર્ડ લઈને આવે તો પણ ડિપોઝીટની રકમ લેવામાં આવતી હતી. ઝી 24 કલાકના અહેવાલ બાદ સત્તાધીશોએ બદલેલા નિર્ણયનો સીધો લાભ ગરીબ લાભાર્થીઓને મળશે. ઝી 24 કલાકના અહેવાલ પહેલાં સુધી સરકારી લાભાર્થીઓ પાસેથી પણ ડિપોઝીટની રકમ લેવાતી હતી. પરંતુ ZEE 24 કલાકના અહેવાલ બાદ આ નિર્ણયને બદલવામાં આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદીપ આર્યા અને મેયર બીજલ પટેલે ઝી 24 કલાકના અહેવાલને બિરદાવ્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાન્યુઆરી મહિનામાં ખુલ્લી મૂકવામાં આવેલી સરદાર વલ્લભાઈ પટેલ (SVP) હોસ્પિટલ શરૂ થયાના 5 મહિના બાદ પણ અનેક નિર્ણયોને લઈને વારંવાર વિવાદોમાં ઘેરાયેલી રહી છે. દર્દીઓને મા અમૃતમ યોજના કે આયુષ્યમાન ભારત યોજના (PMJAY - જન આરોગ્ય યોજના) અંતર્ગત સેવા આપવાની હોય ત્યારે અનેકવાર SVP હોસ્પિટલ વિવાદોમાં ઘેરાઈ છે. સાથે જ ડોકટરો દ્વારા હડતાળ પણ કરાઈ હોય તેવા બનાવો બનવા પામ્યા છે. તેની પાછળનું કારણ છે હોસ્પિટલ દ્વારા ઈમરજન્સી કેસમાં લેવાતી ડિપોઝીટની 5000 રૂપિયા અને ત્યારબાદ પેપરલેસ પદ્ધતિને કારણે સર્જાતી સમસ્યા. જેના કારણે ડોકટરો અને દર્દીના પરિવારજનો સાથે અનેકવાર ઘર્ષણ સર્જાતું રહ્યું હતું. 

સરકારી યોજના હેઠળના કાર્ડ પણ દર્દીઓ પાસે હોવા છતાં શરૂઆતથી જ રૂપિયા 5000 ડિપોઝીટ લેવા પાછળ તર્ક આપતા SVPના સુપ્રિન્ટેન્ડન્ટ સંદીપ મલ્હાને અગાઉ જણાવ્યું હતું કે, શરૂઆતથી જ એક નિશ્ચિત રકમ દર્દીના પરિવાજનો પાસેથી લેવાની નક્કી કરાઈ હતી. સરકારી યોજના હેઠળ કોઈપણ દર્દીને સારવાર આપતા પહેલા હોસ્પિટલ તરફથી મંજૂરી લેવાની રહેતી હોય છે અને એ મંજૂરી હોસ્પિટલને સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન જ મળતી હોય છે. એવામાં જો મંજૂરી મળે છે તો ડિપોઝીટની રકમ રૂપિયા 5000 દર્દીના પરિવારજનોને પરત આપી દેવાય છે. પરંતુ જો સરકારી યોજનાઓ હેઠળ દર્દીની સારવારની મંજૂરી હોસ્પિટલને ના મળે તો શરૂઆતમાં લીધેલી રૂપિયા 5000ની ડિપોઝીટ હોસ્પિટલ દ્વારા ફી પેટે વસૂલવામાં આવે છે...

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન દ્વારા જ્યારે આ હોસ્પિટલનું ઉદઘાટન કરવામા આવ્યું હતું ત્યારે તેનો હેતુ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગને યોગ્ય સારવાર મળી રહે તે હતો. ત્યારે ઉદઘાટન બાદ હોસ્પિટલના હેતુ હોસ્પિટલના સંચાલકો ઘોળીને પી ગયા હતા, અને દર્દીઓ પાસેથી ડિપોઝીટ પેટે 5000 રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. જેનો છાશવારે વિવાદ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news