ભય્યુજી મહારાજને નડી ગયા બીજી પત્ની અને પુત્રીના કટુ સંબંધ!

આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજે પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે ભારે તણાવથી કંટાળીને તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યાં છે. ત્યારબાદથી એવા સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે એવું કે કેવું દબાણ હતું કે જે સહન કરવું ભય્યુજી મહારાજ માટે અસહ્ય બની ગયું?

ભય્યુજી મહારાજને નડી ગયા બીજી પત્ની અને પુત્રીના કટુ સંબંધ!

ઈન્દોર: આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજે પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે ભારે તણાવથી કંટાળીને તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યાં છે. ત્યારબાદથી એવા સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે એવું કે કેવું દબાણ હતું કે જે સહન કરવું ભય્યુજી મહારાજ માટે અસહ્ય બની ગયું? જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ કૌટુંબિક વિખવાદને એક મોટુ કારણ ગણવામાં આવી રહ્યું છે. પહેલી પત્નીથી તેમને એક પુત્રી કુહૂ(18) છે. આ પુત્રીને તેઓ ખુબ જ પ્રેમ કરતા હતાં. કહેવાય છે કે તેની દેખભાળ માટે જ તેમણે મધ્ય પ્રદેશમાં શિવપુરીના ડો.આયુષી શર્મા સાથે બીજા લગ્ન કર્યા હતાં.

પુત્રી કુહૂને આ વાત જરાય ગમી નહતી. તેણે ભય્યુજી મહારાજથી અંતર બનાવી લીધુ અને પુણેમાં રહેવા લાગી હતી. મંગળવારે જ તે પુણેથી પાછી ફરી હતી. આ દરમિયાન પુત્રીના રૂમમાં અવ્યવસ્થા જોતા તેમની પત્ની સાથે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. કહેવાય છે કે બીજા લગ્ન બાદ પત્નીનો તેમના જીવનમાં હસ્તક્ષેપ ખુબ વધી ગયો હતો.  જો કે વિવાદ વખતે તેઓ પત્ની કરતા પુત્રીનો પક્ષ વધુ લેતા હતાં. આ બધા કારણોસર જ્યારે પરિવારમાં વિખવાદ થતો ત્યારે તેઓ  ખુબ વ્યથિત થઈ જતા હતાં. એમ પણ કહેવાય છે કે ભય્યુજી મહારાજે તેમની પુત્રી કુહૂના રૂમમાં જ આત્મહત્યા કરી.

દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ ભય્યુજી મહારાજના મોત બાદ આ વિવાદ હવે ખુલીને સામે આવી ગયો છે. આ રિપોર્ટ મુજબ કુહૂએ પિતાના મોત માટે સાવકી માતાને જવાબદાર ઠેરવી. પુત્રીએ કહ્યું કે તેમના કારણે જ પિતાએ આ પગલું ઉઠાવ્યું. તેમને જેલમાં બંધ કરી દેવા જોઈએ. ત્યારબાદ ભય્યુજી મહારાજના પત્ની આયુષીએ કહ્યું કે 'કુહૂને હું અને મારી પુત્રી પસંદ ન હતાં. આથી હું મારી માતાના ઘરે રહેવા જતી રહી હતી. હવે કુહૂના પુણે ગયા બાદ હું ઈન્દોરમાં આવી અને અમે બંને સારી રીતે રહેતા હતાં.'

'ભારે તણાવથી કંટાળી ગયો છું'
આ અગાઉ ઈન્દોર રેન્જના એડીજી અજય શર્માએ જણાવ્યું કે ભય્યુજી મહારાજે ઈન્દોર બાયપાસ રોડ સ્થિત સિલ્વર સ્પ્રિંગ્સ ટાઉનશીપમાં પોતાના બંગલાના એક રૂમમાં પોતાને બંધ કરી દીધા અને ત્યારબાદ રિવોલ્વરને પોતાની કાનપટ્ટી પર રાખીને ટ્રિગર દબાવી દીધુ. તેમણે જણાવ્યું કે ઘટનાની થોડીવાર બાદ ભય્યુજી મહારાજના પત્નીએ રૂમનો દરવાજો ખખડાવ્યો, તો ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે તેને તોડવામાં આવ્યો, તો ભય્યુજી મહારાજ લોહીલૂહાણ હાલતમાં જોવા મળ્યાં. તેમને તરત બોમ્બે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.

શર્માએ જણાવ્યું કે ભય્યુજી મહારાજના ઘરેથી નાનકડી ડાયરીના પાનાં પર લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે તેઓ ખુબ તણાવથી કંટાળીને જીવનલીલા સમાપ્ત કરી રહ્યાં છે. 50 વર્ષના આધ્યાત્મિક સંતે આ પત્રમાં એમ પણ લખ્યું છે કે કોઈને કોઈ વ્યક્તિએ તેમના પરિવારની જવાબદારી ઉઠાવવી જોઈએ.

એડીજીએ કહ્યું કે ભય્યુજી મહારાજના નજીકના લોકોએ પુષ્ટિ કરી છે કે સ્યૂસાઈડ નોટ પર આધ્યાત્મિક સંતનું જ લખાણ છે. પરંતુ આમ છતાં તેઓ હસ્તલિપિ વિશેષજ્ઞ પાસે તેની તપાસ કરાવશે. વિજયનગર વિસ્તારના મુક્તિધામમાં આજે બપોરે એક વાગે ભય્યુજી મહારાજના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news