BIMSTEC Summit : નેપાળના વિકાસ માટે ભારતનો સહયોગ હંમેશાં-હંમેશાં રહેશેઃ વડા પ્રધાન મોદી

પીએમ મોદીએ અહીં કાઠમંડુમાં એક ધર્મશાળાનું પણ ઉદ્ઘાટન કર્યું, પશુપતિનાથ ધર્મશાળામાં 400 લોકના રોકાવાની વ્યવસ્થા છે, આ ધર્મશાળાના નિર્માણમાં ભારતે આર્થિક મદદ કરી છે 

BIMSTEC Summit : નેપાળના વિકાસ માટે ભારતનો સહયોગ હંમેશાં-હંમેશાં રહેશેઃ વડા પ્રધાન મોદી

નવી દિલ્હીઃ નેપાળમાં ચાલી રહેલા બિમ્સ્ટેક (બે ઓફ બંગાલ ઈનિશિએટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નીકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન) સંમેલનના બીજા અને અંતિમ દિવસે વડા પ્રદાને અનેક દેશોનાં નેતાઓ સાથે દ્વીપક્ષીય વાટાઘાટો કરી હતી. 

બિમ્સ્ટેક સંમેલનમાં ભાગ લેવા નેપાળના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં વિશેષ પૂજા કરી હતી. નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલી પણ તેમની સાથે હતા. પીએમ મોદીએ અહીં એક ધર્મશાળાનું પણ ઉદ્ઘાટન કર્યું. પશુપતિનાથ ધર્મશાળામાં 400 લોકનાં રોકાવાની વ્યવસ્થા છે અને આ ધર્મશાળા ભારત-નેપાળ મૈત્રીનું પ્રતિક છે. 

2014માં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ નેપાળની પોતાની પ્રથમ યાત્રામાં આ ધર્મશાળાના નિર્માણની જાહેરાત કરી હતી. ભારતે તેના નિર્માણમાં રૂ. 25 કરોડની મદદ કરી હતી. 

પશુપતિનાથ ધર્મશાળાનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ એક જાહેરસભાને પણ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, નેપાળના વિકાસ માટે ભારતનો સહયોગ હંમેશાં-હંમેશાં રહેશે. કાઠમંડુની ધરતી હિન્દુ અને બૌદ્ધ ધર્મનો સંગમ સ્થળ છે. 

બુદ્ધ દ્વારા બતાવવામાં આવેલો માર્ગ અતિવાદ અને આતંકવાદનો નાશ કરવાનો સફળ માર્ગ છે. તેમણે જણાવ્યું કે, ભારત અને નેપાળ વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધ છે અને બંને દેશ વચ્ચે શિવ ભક્તિ અને શિવ ભક્તોનો સંબંધ અત્યંત મજબૂત છે. પીએમ મોદીએ જણાવ્યું કે, પશુપતિનાથ મંદિર પરિસરમાં બનેલી આ ધર્મશાળા માત્ર એક ઈમારત નહીં પરંતુ ભારત-નેપાળ મૈત્રીનું એક પ્રતીક છે, આ ઈમારત નેપાળમાં પ્રવાસનના વિકાસ માટે પણ ઘણી જ મહત્ત્વની છે. 

વડા પ્રધાન મોદીની પશુપતિનાથ મંદિરની આ બીજી મુલાકાત છે. તેઓ ગયા વર્ષે મે મહિનામાં પણ પશુપતિનાથ દર્શન કરવા ગયા હતા. 

પશુપતિનાથ મંદિર 
પશુપતિનાથ મંદિર કાઠમંડુથી ત્રણ કિમી દૂર ઉત્તર-પશ્ચિમમાં બાગમતી નદીના કિનારે દેવપાટન ગામમાં આવેલું છે. આ મંદિરને યુનેસ્કોએ વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની યાદીમાં મુકેલું છે. આ મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ કરવાની મંજુરી છે. બિનહિન્દુઓ તેને બહારથી બાગમતી નદીના બીજા કિનારેથી જોઈ શકે છે. 

BIMSTEC Summit

BIMSTEC
બિમ્સ્ટેકમાં સાત દેશ - બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મયાંમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે. આ દેશોની કુલ વસતી 1.5 અબજ છે. આ વસતી દુનિયાની 21 ટકા છે. આ જૂથમાં સામેલ દેશોનો કુલ જીડીપી 2500 અબજ ડોલર છે. બિમ્સ્ટેક સંમેલન બે વર્ષ બાદ આયોજિત કરાયું હતું. આ અગાઉ બારતના ગોવામાં બિમ્સ્ટેક સંમેલનનું આયોજન થયું હતું. 

ગુરુવારે બિમ્સ્ટેક સંમેલનને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડિજિટલ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ભારત પોતાના નેશનલ નોલેજ નેટવર્કને શ્રીલંકા, બાંગ્લાદેશ, ભુટાન અને નેપાળમાં વધારવા માટે પહેલાથી જ પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે, ઓગસ્ટ 2020માં ભારત ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ક્લેવનું યજમાન પદ સંભાળશે. આ સાથે જ તેમણે આ કોન્ક્લેવમાં તમામ બિમ્સ્ટેક દેશોને ભાગ લેવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. 

વડા પ્રધાને પોતાના આ પ્રવાસમાં થાઈલેન્ડના વડા પ્રધાન પ્રયુત ચાન ઓચાએ મયાંમારના રાષ્ટ્રપતિ વિન ભિંત, ભુટાન સરકારના સલાહકાર દાસો શેરિંગ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news