Nandigram Result થી TMC ના કાર્યકરો ગુસ્સે ભરાયા, સુવેન્દુ અધિકારીની ગાડી પર કર્યો હુમલો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (west bengal election result 2021) પરિણામ આવ્યા બાદ એકવાર ફરીથી હિંસાની ઘટના સામે આવી છે.

Nandigram Result થી TMC ના કાર્યકરો ગુસ્સે ભરાયા, સુવેન્દુ અધિકારીની ગાડી પર કર્યો હુમલો

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (west bengal election result 2021) પરિણામ આવ્યા બાદ એકવાર ફરીથી હિંસાની ઘટના સામે આવી છે. નંદીગ્રામ સીટથી મમતા બેનર્જીને હરાવનારા ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીની ગાડી પર હુમલો થયો છે. આ હુમલો હલ્દિયા કાઉન્ટિંગ સેન્ટરથી નીકળતી વખતે થયો છે. હુમલાનો આરોપ ટીએમસીના કાર્યકરો પર છે. 

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના આ હાલ તો સામાન્ય જનતાનું શું?
હુમલા બાદ સુવેન્દુ અધિકારી (suvendu adhikari) એ કહ્યું કે ટીએમસી (TMC) બંગાળમાં ભયનો માહોલ બનાવવાનું કામ કરી રહી છે. આજે હલ્દિયામાં ગાડી પર પથ્થરમારો થયો. કાચ તોડવાની કોશિશ થઈ. સુવેન્દુએ કહ્યું, રાજ્યમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે જો આમ થઈ શકે તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું થશે?

TMC એ એકવાર ફરીથી કાઉન્ટિંગની માગણી કરી
બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કાર્યાલય, પશ્ચિમ બંગાળને પત્ર લખ્યો છે. જેમાં નંદીગ્રામ સીટના મતોની તત્કાળ ફેર ગણતરીની માગણી કરાઈ છે. અત્રે જણાવવાનું કે નંદીગ્રામ સીટ પર સતત રસાકસીનો દોર ચાલુ છે. પહેલા મમતા બેનર્જીની જીત જાહેર થઈ ત્યારબાદ ભાજપે વાંધો ઉઠાવતા ફરીથી ગણતરી થઈ જેમાં સુવેન્દુ જીત્યા. હવે ટીએમસી ફરીથી એકવાર રીકાઉન્ટિંગની માગણી કરી રહી છે. 

ટીએમસીએ મેળવ્યો બહુમત
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામ જાહેર થયા છે જેમાં તૃણમૂલ કોંગ્રેસે 292 બેઠકોમાંથી 209 બેઠકો પર જીત મેળવી લીધી છે જ્યારે 4 બેઠકો પર હજુ પરિણામ જાહેર થયું નથી પરંતુ ત્યાં તે આગળ છે. આમ કુલ 213 બેઠકો તૃણમૂલના પક્ષમાં જતી જોવા મળે છે. જ્યારે ભાજપને ફાળે 77 બેઠકો આવે છે. 1 બેઠક પર હજુ પરિણામ જાહેર નથી થયું પરંતુ ત્યાં ભાજપ આગળ છે. એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે અને રાષ્ટ્રીય સેક્યુલર મજલિસ પાર્ટીને એક બેઠક મળી છે. રાજ્યની કુલ 294 વિધાનસભા બેઠક છે. પરંતુ શમશેરગંજ અને જાંગીપુર સીટના ઉમેદવારોનું નિધન થતા ત્યાં ચૂંટણી સ્થગિત કરાઈ હતી. આથી સદનની પ્રભાવી ક્ષમતા 292 રહેતા કોઈ પણ પાર્ટીને બહુમત માટે 147 બેઠકોની જરૂર હતી જે ટીએમસીએ મેળવી લીધો. 

'ફરી શરૂ થયો ખૂની ખેલ'
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની ભવ્ય જીત બાદ અનેક ઠેકાણે થયેલી હિંસક ઘટનાઓને લઈને ભાજપે નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે રાજ્યમાં હવે ભાજપ કાર્યાલયો અને કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ કાર્યકરો બદલો લઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે જેમ જેમ પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો જાહેર થતા રહ્યા તેમ તેમ ટીએમસીના ગુંડાઓ ભાજપના કાર્યાલયો અને કાર્યકરો પર હુમલા કરી રહ્યા છે. આરામબાગમાં ભજાપ કાર્યાલયને ટીએમસીના ગુંડાઓએ આગચંપી કરી. બેલઘાટમાં ભજાપ કાર્યકરો પર ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો અને આ પ્રકારની ઘટનાઓ શિવપુર, દુર્ગાપુર, ઉત્તર બર્ધમાનમાં થઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news