નોર્વેમાં ઈલેક્ટ્રિકલ વ્હિકલ્સે અડધું બજાર કબ્જે કર્યું, આપણે ક્યાં છીએ?

નોર્વેમાં વર્ષ 2018 સુધીમાં 47 ટકા હાઈબ્રીડ અથવા તો બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક કાર જ વેચાઈ છે 

નોર્વેમાં ઈલેક્ટ્રિકલ વ્હિકલ્સે અડધું બજાર કબ્જે કર્યું, આપણે ક્યાં છીએ?

ઓસ્લો(નોર્વે): સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણ ભયાનક હદે વધી રહ્યું છે, જેમાં સૌથી મોટો ફાળો સડક પર દોડતા વાહનો છે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા સમગ્ર વિશ્વને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વિવિધ લક્ષ્યાંકો આપવામાં આવ્યા છે અને તેના અનુસાર તેમના દેશમાં કરવા માટે જરૂરી ફેરફારો પણ સુચવ્યા છે. યુરોપનાં મોટાભાગનાં દેશોએ વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી લીધી છે. જર્મનીએ 2030 સુધીમાં પોતાનાં દેશનાં તમામ વાહનો વિજળીથી સંચાલિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. નોર્વેમાં વર્ષ 2018માં 47 ટકા હાઈબ્રીડ અથવા તે બેટરી સંચાલિત ઈલેક્ટ્રીક કાર જ વેચાઈ છે. લોકો પણ સરકારને ભરપૂર સાથ આપી રહ્યા છે, જ્યારે ભારત આ બાબતે ઘણું જ પાછળ છે. 

ભારતમાં હજુ ઈલેક્ટ્રિક કારનું વેચાણ આમ કહીએ તો શરૂ જ થયું નથી. દેશની સડકો પર હજુ ક્યાંય પણ ઈલેક્ટ્રિક કારો દોડતી જોવા નથી મળી રહી. કેન્દ્ર સરકાર દ્વારા પણ હજુ આ બાબતે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. તેની સામે યુરોપ અને વિશ્વના અન્ય દેશોએ પોતાની રીતે પગલાં લેવાનું શરૂ કર્યું છે અને તેના અનુસાર નીતિઓ પણ બનાવી છે. 

નોર્વેના ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાન્સપોર્ટ ઈકોનોમિક્સના આંકડા અનુસાર વર્ષ 2014માં ઈલેક્ટ્રિક વાહનોનાં વેચાણમાં અચાનક ઉછાળો આવ્યો હતો. લોકોએ પેટ્રોલ-ડીઝલથી સંચાલિત વાહનો ખરીદવાનો ઈનકાર કરીને ઈલેક્ટ્રિક વ્હિકલ્સ તરફ નજર દોડાવાનું શરૂ કરી દીધું હતું. 

1990થી જ નોર્વેમાં ઈલેક્ટ્રિકલ વ્હિકલ્સને પ્રમોટ કરવાનું શરૂ કરી દેવાયું હતું. જેમાં ઈલેક્ટ્રિક કારના માલિકોને પબ્લિક પ્લેસિસ પર પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવતી હતી અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો વાર્ષિક રોડ ટેક્સ લેવામાં આવતો ન હતો. આ સાથે જ રોડ પર આવેલા ટોલબૂથ પર પણ તેમને ચાર્જ ભરવામાં મુક્તિ અપાઈ હતી. સાથે જ ઈલેક્ટ્રિક કારને બસની લેનમાં ચલાવવાને મંજૂરી આપવામાં આવી હતી. 

આપને જાણીને આશ્ચર્ય થશે કે, સમગ્ર વિશ્વમાં નોર્વેમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક કારને અત્યંત ઝડપથી ચાર્જ કરી આપતા 'ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન' આવેલા છે, જે માત્ર અડધો કલાકમાં એકસાથે 28 વ્હિકલ્સને ચાર્જ કરી આપવા માટેની ક્ષમતા ધરાવે છે. એ જ રીતે નોર્વેની રાજધાની સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિકલ વ્હિક્લસની રાજધાની કહેવાય છે, કેમ કે અહીં સૌથી વધુ ઈલેક્ટ્રિકલ વ્હિકલ છે. 

નોર્વેએ વર્ષ 2025 સુધીમાં દેશમાંથી વ્હિકલ દ્વારા થતા વાયુ પ્રદૂષણને નાબૂદ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે અને તેના અનુસાર વિવિધ પગલાં પણ લેવાઈ રહ્યાં છે. લોકોને અનુરોધ કરાયો છે કે, એક ઘર દીઠ એકથી વધુ વાહન ન હોવું જોઈએ અને જે વાહન હોય તે પણ ઈલેક્ટ્રિક જ હોવું જોઈએ. ઈલેક્ટ્રિક વ્હિકલનો ટ્રાફિક વધી ગયા બાદ સરકારે એવો નિર્ણય લીધો છે કે, જે લોકો શેર્ડ વ્હિકલ્સને લઈને જશે તેમને જ બસની લેનમાં ચલાવવાનો અધિકાર રહેશે. 

વિશ્વમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સની ભાગીદારી 2.5 ટકા છે, પરંતુ અત્યારે તેના વેચાણમાં 50 ટકાનો વધારો થઈ રહ્યો છે. જેની સામે ભારત હજુ પાપા પગલી ભરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news