કુલભૂષણ જાધવ સુનાવણીઃ યુએન કોર્ટમાં ભારતે પાક. પર લગાવ્યા આ 10 આરોપ

કુલભૂષણ જાધવ કેસમાં હેગ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારે સુનાવણી શરૂ થઈ છે, 18 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સુનાવણી 21 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં બંને દેશ વારાફરતી પોત-પોતાનો પક્ષ રજૂ કરશે, સોમવારે ભારતીય વકીલે પાકિસ્તાનનાં જૂઠ્ઠાણાં ઉઘાડા પાડ્યા હતા 

કુલભૂષણ જાધવ સુનાવણીઃ યુએન કોર્ટમાં ભારતે પાક. પર લગાવ્યા આ 10 આરોપ

ધ હેગઃ કુલભૂષણ જાધવ કેસમાં હેગ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારે સુનાવણી શરૂ થઈ છે, 18 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સુનાવણી 21 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં બંને દેશ વારાફરતી પોત-પોતાનો પક્ષ રજૂ કરશે. ભારત તરફથી હાજર રહેલા પૂર્વ સોલિસીટર જનરલ હરીશ સાલ્વેએ સોમવારે સુનાવણીના પ્રથમ દિવસે બે મુખ્ય મુદ્દાના આધારે પોતાનો પક્ષ રજૂ કર્યો, જેમાં રાજકીય સંપર્ક અંગે વિયેના સંધિના ઉલ્લંઘનની બાબતનો પણ સમાવેશ થાય છે. 

કુલભૂષણ જાધવ કેસની સુનાવણીના મુખ્ય 10 મુદ્દાઃ 
1. ભારતનું પ્રતિનિધિત્વ કરતા પૂર્વ સોલિસીટર જનરલ હરીશ સાલ્વેએ જણાવ્યું કે, આ એક એવો કમનસીબ કેસ છે, જેમાં એક નિર્દોષ ભારતીયનો જીવ દાવ પર છે. 
2. તેમણે જણાવ્યું કે, "પાકિસ્તાનનો પક્ષ સંપૂર્ણપણે તથાકથિત બાબતો પર આધારિત છે, વાસ્તવિક્તા પર નહીં. રાજકીય સંપર્ક વગર જાધવને સતત કસ્ટડીમાં રાખવાની બાબતને ગેરકાયદે ઝાહેર કરવી જોઈએ."
3. પાકિસ્તાન આ બાબતનો ઉપયોગ દુષ્પ્રચાર માટે કરી રહ્યો છે એ બાબતે કોઈ શંકાને સ્થાન નથી. પાકિસ્તાને જરા પણ મોડું કર્યા વગર રાજકીય સંપર્કની મંજૂરી આપવી જોઈએ. 
4. ભારતે જાધવને રાજદૂત સાથે મળવાની મંજૂરી આપવા માટે પાકિસ્તાનને 13 રિમાન્ડર મોકલ્યા છે, પરંતુ ઈસ્લામાબાદે અત્યાર સુધી તેની મંજૂરી આપી નથી. 

5. પાકિસ્તાનનો દાવો છે કે તેના સુરક્ષાદળોએ 3 માર્ચ, 2016ના રોજ અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાંથી જાધવને એ સમયે પકડ્યો હતો જ્યારે તે કથિત રીતે ઈરાનમાંથી ઘુસ્યો હતો. જોકે, ભારતે જણાવ્યું કે, જાધવનું ઈરાનમાંથી અપહરણ કરાયું હતું જ્યાં નૌકાદળમાંથી નિવૃત્ત થયા બાદ તેના વ્યવસાયિક હિત હતા. જાધવની સજા અંગે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. 
6. સુનાવણીમાં ભારતે પાકિસ્તાન પર ICJનો દુષ્પ્રચાર માટે ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. 
7. સુનાવણી દરમિયાન સાલ્વેએ જણાવ્યું કે, પાકિસ્તાને જાધવની ધરપકડના એક મહિના બાદ એફઆઈઆર દાખલ કરી હતી. સાલ્વેએ જણાવ્યું કે, "એપ્રિલ 2016માં જાધવ સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી અને મે, 2016માં તેની પુછપરછ કરાઈ હતી. ભારતે મે, જૂન અને જુલાઈમાં રાજકીય સંપર્ક માટે રિમાન્ડર મોકલ્યા હતા."

8. ભારતીય રાજદૂતને મળવાની મંજૂરી આપવા માટે ભારત તરફથી પાકિસ્તાનને 13 રિમાન્ડર મોકલવામાં આવ્યા છે, પરંતુ એક પણ રિમાન્ડરનો જવાબ મળ્યો નથી કે કોઈ કાર્યવાહી કરાઈ નથી. 
9. સાલ્વેએ જણાવ્યું કે, પાકિસ્તાન જાધવ સામે લગાયેલા આરોપોના ખુલાસા અંગે શરમજનક સ્થિતિમાં મુકાયેલું છે. 
10. પાકિસ્તાને જાધવને તેના અધિકાર પણ હજુ સુધી જણાવ્યા નથી. 

હવે આ કેસમાં બીજી સુનાવણી 19 ફેબ્રુઆરીના મંગળવારે બપોરે 2.30 કલાકથી સાંજે 5.00 કલાક સુધી ચાલશે, જેમાં પાકિસ્તાન પોતાનો પક્ષ રજુ કરશે. ત્યાર પછી 20 ફેબ્રુઆરીના રોજ સાંજે 7.30 કલાકથી રાત્રે 9.00 કલાક સુધી ચાલશે, જેમાં ભારત પોતાનો પક્ષ રજૂ કરશે. 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9.00થી 10.30 કલાક દરમિયાન પાકિસ્તાન પોતાનો પક્ષ રજૂ કરશે. જેનો જવાબ ભારત આપશે અને ત્યાર પછી 21 ફેબ્રુઆરીએ ભારત પોતાનો અંતિમ પક્ષ રજૂ કરશે. 

ભારત તરફથી આંતરરાષ્ટ્રીય અદાલતમાં હરીશ સાલ્વે કોર્ટમાં હાજર થઈ રહ્યા છે, જ્યારે પાકિસ્તાન તરપથી ખ્વાર કુરેશી હાજર થયા છે. પાકિસ્તાને આ કેસ માટે પોતાની એક વિશેષ ટીમ મોકલી છે, જેની આગેવાની ત્યાંના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાન કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news