ખાનગી પેટ્રોલ કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું, ડીઝલના સીધા 31 રૂપિયા વધારી દીધા

Petrol Diesel Price Hike : ખાનગી કંપનીઓને પેટ્રોલ-ડીઝલનો ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલે મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ ભાવની અપાઈ છે. ભાવની છૂટ મળતા જ ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું. સરકારના એક નિર્ણયથી ખાનગી પેટ્રોલ કંપનીઓએ મનમાની શરૂ કરી, ડીઝલના બેફામ ભાવ ગ્રાહકો પાસેથી વસૂલવાનુ શરૂ કર્યું
 

ખાનગી પેટ્રોલ કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું, ડીઝલના સીધા 31 રૂપિયા વધારી દીધા

ગૌરવ પટેલ/અમદાવાદ :રશિયા-યુક્રેન યુદ્ધની જ્વાળાઓ હજી પણ અનેક વસ્તુઓ પર ભાવ વધારો બનીને પ્રકટી રહી છે. આ યુદ્ધને કારણે જેમાં સૌથી વધુ અસર પડી છે, તે પેટ્રોલ-ડીઝલના ભાવ છે. જ્યારથી યુદ્ધ શરૂ થયા છે, ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી ગયા છે. આવામાં ખાનગી કંપનીઓ મનફાવે તેમ ભાવો વધારીને ગ્રાહકોને લૂંટી રહી છે. એક તરફ મોંઘવારીનો માર, અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવ. જ્યાં સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીના પંપ પર ડીઝલમાં લગભગ 25 થી 31 રૂપિયાનો ભાવ ફેર બતાવે છે. સરકારના જ એક પરિપત્રને કારણે આ નોબત આવી છે. 

અમદાવાદમાં ડીઝલનો ભાવ ઐતિહાસિક 125 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. તો પેટ્રોલનો ભાવ પણ 105 થી વધુ નોંધાયો છે. પરંતુ આ ભાવ વધારા વચ્ચે એક વાત આંખે ઉડીને વળગે તેવી છે કે, ખાનગી કંપનીના પંપ અને સરકારી પંપ પર મોટો ભાવ ફેર જોવા મળ્યો છે. ડીઝલમાં સરકારી અને ખાનગી કંપનીના ડીઝલના ભાવમાં 31 રૂપિયાનો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સરકારી કંપની એચપી, બીપીસીએલ, ઇન્ડિયન ઓઇલમાં ભાવ એક સમાન છે, પરંતુ શેલ, નાયરા અને રિલાયન્સ કપંનીઓના પેટ્રોલ પંપ પર વધુ ભાવ લેવાઈ રહ્યાં છે. એમ કહો કે ગ્રાહકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યાં છે. આવું કેમ છે, તે જાણવાનો ZEE 24 કલાક દ્વારા પ્રયાસ કરાયો. જેમાં ચોંકાવનારું કારણ સામે આવ્યું. 

સરકારી કંપનીઓના પંપ કરતા ખાનગી કંપનીઓએ વધારે ભાવ લેવાની શરૂઆત કરી છે. આખરે ખાનગી કંપનીઓએ આ મનમાની કેમ શરૂ કરી છે. પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે ખાનગી કંપનીઓ બેફામ બની છે. જે પાછળ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ યુએસઓ છે. ભારત સરકારના એક પરિપત્રથી ખાનગી પેટ્રોલિયમ કંપનીઓને મનફાવે એ ભાવ લેવાનો પરવાનો મળી ગયો છે. તાજેતરમાં પંપો પર ડીઝલ-પેટ્રોલની અછતના બનાવો બાદ સરકારે કંપનીઓ માટે યુએસઓ ઓર્ડર કર્યો છે. આ યુએસઓ હેઠળ પેટ્રોપ પંપ પર જથ્થો રાખવો ફરજિયાત છે. સાથે જ ખાનગી કંપનીઓને ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલ મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ ભાવની અપાઈ છે. ત્યારે ભાવની છૂટ મળતા જ ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું છે. 

ખાનગી કંપનીઓની વાત કરીએ તો, નાયરાના પંપમાં ડીઝલમાં 3 રૂપિયા વધારે લેવામાં આવી રહ્યાં છે. નાયરા કંપની ડીઝલના 97.18 રૂપિયા ભાવે ડીઝલ વેચી રહી છે. તો શેલ કંપનીએ ડીઝલ પર સીધો 31 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે. 

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ વિશેનુ કારણ જણાવ્યુ કે, રશિયા-યુક્રેન યુદ્ધની અસર હજી પણ ભારત પર પડી રહી છે. આ કારણે અને પેટ્રોલિયમનો પુરતો સપ્લાય ન હોવાનો કારણે ક્રુડના ભાવ ઉંચકાયા છે. ઓપેક ભાવ ઘટાડવા સહમત ન હોવાથી ભાવ આસમાને ગયા છે. પેટ્રોલ પંપ પર ઇંધણની તંગી દુર કરવા સરકારે યુએસઓની જાહેરાત કરી છે. તેને કારણે જ ખાનગી અને સરકારી કંપનીના પેટ્રોલ પંપ પર ભાવમા ભારે તફાવત છે. સરકારી કંપનીની સરખામણીમાં ખાનગી કંપનીમાં ડીઝલમાં 5 રૂપિયાથી માંડી 31 રૂપિયા જેટલુ મોંઘું છે. રશિયા પાસેથી ભારતે ખરીદેલુ ક્રુડ આવતા હજુ બે મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી આવી સ્થિતિ રહેશે. 

શું છે યુએસઓ (યુનિવર્સિલ સર્વિસ ઓર્ડર)
તાજેતરમાં પેટ્રોલ-ડીઝલની અછતને પગલે પેટ્રોલ પંપ બંધ રહેતા સરકાર એક્શનમાં આવી હતી. ખાનગી કંપનીઓ પોતાનું નુકસાન ટાળવા માટે પેટ્રોલ પંપ બંધ કરી રહી હતી. આ સ્થિતિને રોકવા માટે સરકારે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ) નો વ્યાપ વિસ્તાર્યો છે. જે મુજબ, જે કંપનીઓએ પેટ્રોલ પંપનું લાયસન્સ મેળવ્યું છે, તેમણે તેમના તમામ પેટ્રોલ પંપ પર અમુક સમય માટે એટલે કે નિર્ધારિત કામના કલાકોમાં તેલ વેચવું પડશે. પેટ્રોલ પંપ પણ દૂરના વિસ્તારોમાં ન હોવા જોઈએ. ખાનગી પેટ્રોલ પંપોએ હવે તમામ સંજોગોમાં તેલ વેચવું પડશે. ભલે તે માત્ર થોડા કલાકો માટે પણ કેમ ન હોય. ઓઇલ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, તમામ પેટ્રોલ પંપને USOના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પછી હવે જે પણ કંપનીને પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ માટે લાયસન્સ મળ્યું છે. તેણે તેના તમામ રિટેલ આઉટલેટ્સ પર તેલ વેચવું પડશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું લાઇસન્સ રદ થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news