RBI MPC Meeting: લોન મોંઘી થશે કે વ્યાજના બોજમાંથી રાહત મળશે? ત્રણ દિવસમાં નક્કી થઈ જશે તમારા EMIનો નિર્ણય

RBI MPC June 2023 Meeting: રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની જૂન મહિનાની બેઠક મંગળવારથી શરૂ થઈ રહી છે. આ બેઠકમાં નક્કી થશે કે આવનારા સમયમાં વ્યાજદર વધશે કે સ્થિર રહેશે. 

RBI MPC Meeting: લોન મોંઘી થશે કે વ્યાજના બોજમાંથી રાહત મળશે? ત્રણ દિવસમાં નક્કી થઈ જશે તમારા EMIનો નિર્ણય

નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષના સમયગાળામાં દેશમાં તમામ પ્રકારની લોન મોંઘી થઈ છે. પછી તે હોમ હોન (Home Loan) હોય કે કાર લોન (Car Loan),પર્સનલ લોન (Personal Loan) હોય કે કોઈ અન્ય ઈએમઆઈ (EMI)... દરેક વધારે પૈસા ભરવા પડી રહ્યાં છે. આ કારણે લોકો લાંબા સમયથી આ મોર્ચે રાહતની આશા કરી રહ્યાં છે. હવે લોકોને રાહતના સમાચાર મળી શકે છે કારણ કે સોમવારથી રિઝર્વ બેન્કની મહત્વની બેઠક શરૂ થવાની છે. 

વર્ષમાં આટલો થયો વધારો
વિશ્વભરમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયેલા ફુગાવાને અંકુશમાં લેવા માટે સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરોમાં વધારો કરવાનો આશરો લીધો છે. ભારત પણ આ બાબતમાં અપવાદ ન હતું અને રિઝર્વ બેંકે ઝડપથી વ્યાજ દરમાં વધારો કર્યો. ગયા વર્ષે મે મહિનામાં રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટીની ઈમરજન્સી બેઠક યોજીને વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ એક વર્ષમાં રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વર્તમાન રેપોરેટ
ફુગાવાને અંકુશમાં લેવા માટે મે 2022 થી કરવામાં આવેલા સતત વધારાને કારણે, પોલિસી રેટ રેપો 2.5 ટકા વધારીને ફેબ્રુઆરી 2023 માં 6.5 ટકા સુધી પહોંચ્યો હતો. તે પછી, રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક એપ્રિલ 2023 માં યોજાઈ હતી, જે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન MPCની પ્રથમ બેઠક હતી. તે બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આ રીતે રેપો રેટ હવે 6.5 ટકા છે.

રેપો રેટ સ્થિર રહેવાની અપેક્ષા
પીટીઆઈના અહેવાલ મુજબ, એપ્રિલ મહિના દરમિયાન છૂટક ફુગાવામાં ઘટાડો અને વધુ રાહતની અપેક્ષાને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ 8મી જૂને પોલિસી રેટ રેપોને 6.5 ટકા પર યથાવત રાખી શકે છે. નિષ્ણાતો માને છે કે જો રિઝર્વ બેન્ક દરો સ્થિર રાખે છે, તો તે સૂચવે છે કે ફુગાવાને કાબૂમાં લેવા માટે તેણે જે પગલાં લીધાં છે તે અસરકારક સાબિત થયા છે.

8મી જૂને થશે જાહેરાત
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી અથવા MPCની બેઠક મંગળવાર, 6 જૂનથી શરૂ થઈ રહી છે. આ બેઠક 8 જૂન, ગુરુવાર સુધી ચાલશે. મીટિંગ પછી, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ ગુરુવારે નિર્ણયો વિશે માહિતી આપશે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની આ બીજી અને 43મી બેઠક હશે.

અત્યારે આટલો છે રિટેલ ફુગાવો
MPCની આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI આધારિત છૂટક ફુગાવો એપ્રિલમાં 4.7 ટકાના 18 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. આરબીઆઈ ગવર્નરે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે મે મહિનામાં આ આંકડો એપ્રિલથી પણ નીચે જઈ શકે છે. મે મહિનાના રિટેલ ફુગાવાના આંકડા 12 મેના રોજ બેઠક પૂરી થયા બાદ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતા ઓછી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news