નવરાત્રિમાં શક્તિપીઠ પાવાગઢમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, તવવીરો જોઈને કહેશો જય માં મહાકાળી

નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરવા માટે પાવાગઢ પહોંચી રહ્યાં છે. તો આ વર્ષે પાવાગઢ મંદિરમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ડ્રોન તસવીરમાં પાવાગઢ મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. 

નવરાત્રિમાં શક્તિપીઠ પાવાગઢમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, તવવીરો જોઈને કહેશો જય માં મહાકાળી

જયેન્દ્ર ભોઈ, પંચમહાલઃ નવરાત્રિનો તહેવાર જામી રહ્યો છે અને આજે ચોથું નોરતું છે. રાજ્યમાં માતાજીની ભક્તિ સાથે ગરબાનો માહોલ જામ્યો છે. નવરાત્રી સમયે શક્તિપીઠ દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે અમાસના દિવસથી જ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. મહાકાળી માતાજીના પૂર્ણ અને વિશેષ સુવિધાઓ સભર મંદિરનું નવીનિકરણ થયા બાદ ભક્તોની આસ્થામાં વધારો થયો હોય છે. હવે અહીં દર રવિવારે ભક્તોના ઘોડાપૂર ઉમટે છે. 

ભક્તોની આસ્થાને ધ્યાને રાખી મહાકાળી મંદીર ટ્રસ્ટ દ્વારા પણ મંદિરને સુશોભિત અને આકર્ષણમાં ઉમેરો કરી ભક્તોની આસ્થાને કેન્દ્રીત કરવા નવા-નવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. હાલ નવરાત્રીના સમયે મંદિર ગર્ભગૃહ અને બહારની બાજુએ જે લાઇટિંગ કરવા માં આવ્યું છે, તે મંદિરની શોભામાં અનેક ગણો વધારો કરી રહ્યું છે. તેમાંય જો આ લાઇટિંગનો એરિયલ વ્યૂ ડ્રોનની નજરે જોશો તો આશ્ચર્ય ચકિત થઈ જશો. જો સુખદ આશ્ચર્ય સાથે જય માં મહાકાળી અવશ્ય બોલી ઉઠશો ! 

ઉલ્લેખનિય છે કે બીજા નોરતે રાજ્ય સરકાર દ્વારા પાવાગઢ ચાચર ચોકમાં કીર્તિદાન ગઢવીના સુર સાથે ભવ્ય ગરબાનું આયોજન કર્યા બાદ હવે ડુંગર ઉપર  નિજ મંદિર પરિસરમાં પણ ગરબાની રમઝટ જામવા લાગી છે. ગતરોજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાંથી આવેલા ભક્તો સહિત મંદિરના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ પણ ગરબે ઘૂમ્યા હતા. નિજ મંદિર પરિસરમાં માં મહાકાળી સન્મુખ સૌએ ગરબા રમી ધન્યતા અનુભવી હતી. જો કે નિજ મંદિર પાસે અગાઉની સ્થિતિએ આ સંભવ નહોતું. પરંતુ જ્યારથી મંદિર નવીનિકરણ થયું છે, ત્યારથી તમામ સુવિધાઓ સાથે ભક્તો શાંતિથી દર્શન સહિત રાત્રીના સમયે ગરબાનો પણ લ્હાવો લઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news